સકારાત્મક રહો… ખુશ રહો…. સ્વસ્થ રહો…
એ જ સુખી અને આનંદમય જીવનનો મૂળ મંત્ર…
ઘણીવાર બધા મને પૂછે, “તને ક્યારેય ગુસ્સો નથી આવતો?”
તો હું કહું હા, એક સમય એવો પણ હતો જ્યારે મને ખુબ ગુસ્સો આવતો, પણ જ્યારે મેં મૌનનો નિયમ લીધો ત્યારે સમજાયું કે ગુસ્સો કરવાનો કોઈ ફાયદો નથી. ગુસ્સાથી માત્ર નુકસાન જ છે, આપણુ અને બીજાનું પણ… બીજુ એ પણ સમજાયું કે મૌન રહેવાથી આપણને આપણી ભૂલ, ગુસ્સો આવ્યો એ સમયની પરિસ્થિતિ વગેરે સમજાય છે. અંતરમનમાં શાંતિ અને હળવાશની અનૂભુતિ થાય છે. સકારાત્મક બની શકાય છે. જેને કારણે આવેલ મુશ્કેલીને દુર કરવાના ઉપાયો આપમેળે સુઝવા લાગે છે. અને જ્યારે આપણી મુશ્કેલીઓ દુર થઈ જાય એટલે આપણુ મન પ્રસન્ન… અને મન પ્રસન્ન તો આપણુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
જીવનના દરેક તબક્કે સકારાત્મક્તાથી પરિસ્થિતિ સ્વીકારવાનુ વલણ રાખીએ તો હંમેશા ખુશ રહી શકાય. અને આપણુ પ્રસન્ન મન આપણી આભાને સકારાત્મક બનાવી વાતાવરણને ખુશનુમા કરી દે છે. સ્વાર્થીપણે પણ આપણી તબિયત સારી રાખવા પણ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ. આપણી આસપાસ રહેલા વ્યક્તિઓ પર પણ એનો પ્રભાવ પડે છે. અને સંબંધોમાં મીઠાશ લાવી શકાય છે. પતિ-પત્ની, પિતા-પુત્ર, ભાઈ-બંધુઓ, મિત્રો બધા જ સંબંધો વચ્ચેના મતભેદ, ક્યારેક મનભેદને પણ આ જ સકારાત્મક્તાથી દૂર કરી શકાય છે. દાંપત્ય જીવન, ગ્રહસ્થ જીવન કે પછી સામાજિક જીવન હોય એને આનંદમય અને ખુશહાલ બનાવી શકાય છે.
સકારાત્મક કેવી રીતે રહેવું?
સૌથી પહેલા તો મન પ્રસન્ન રાખવા અકારણ પણ હંમેશા ચહેરા પર સ્મિત રાખવું જોઈએ. કોઈને પણ મળીએ તો સ્મિત સાથે જ… આ પણ એક રીત છે સકારાત્મક રહેવાની. પોતાના રોજીંદા જીવનમાંથી થોડો સમય પોતાની મનગમતી પ્રવૃતિ માટે ફાળવવો કારણ કે મનગમતી પ્રવૃતિ મનને પ્રફુલ્લિત કરે છે. અને પ્રફુલ્લિત મન સકારાત્મક વિચારોથી આપણને મુશ્કેલીઓને દૂર કરવાના ઉપાયોના માર્ગે આગળ વધારે છે. સકારાત્મક્તા આપણી અંદર લાવવા કોઈ એક નિયમ જીવનમાં જરૂર લો. નિયમથી તમારી અંદર શિસ્ત, નિયમિતતા જેવા ગૂણોનો સંચાર થાય છે જે એક પ્રકારની સકારાત્મક્તા જ છે. રોજ સવારે અમુક સમય માટે મૌન રાખવુ, કઈપણ ખાદ્ય પદાર્થ મોંમાં લેતા પહેલા જે ભગવાનમાં માનતા હોય એમનુ નામ લેવુ, રોજ એક માળા કરવી, રોજ અમુક પ્રકારનુ દાન કરવું, સવારે વહેલા ઉઠી યોગ અને કસરત કરવી, વગેરે…. આ તો માત્ર ઉદાહરણ છે. આવો કોઈપણ નિયમ, સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. અને સકારાત્મક અભિગમ આપણને શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રદાન કરે છે, સમૃદ્ધિ અને સફળતા પણ અપાવે છે…
માટે જ સકારાત્મક રહો…. સુખી(ખુશ) રહો…. સ્વસ્થ રહો…
હાર્દિક કલ્પદેવ પંડ્યા
ખૂબ સુંદર લેખ…સકારાત્મક વહેવાર હશે તો આપોઆપ પોતાની આસપાસ સકારાત્મક ઊર્જા ઉદ્દભવશે.
LikeLike
આભાર… પ્રતિભાવ આપવા બદલ આભાર..
LikeLike
ખુબ જ સુંદર લેખ
LikeLiked by 1 person