સફળતા… આ સફળતા કોને કહેવાય? અને એ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે? આજના સમયમાં સૌ કોઈના મનમાં આ સવાલો છે. અને સૌની સફળતાની વ્યાખ્યા પણ અલગ અલગ હશે. પણ આ સફળતા મેળવવા ઘણા ખોટા રસ્તા પણ અપનાવવામાં આવતા હોય છે. પણ એ સફળતા લાંબો સમય ટકતી નથી. જો સફળતા, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિને લાંબો સમય ટકાવી રાખવી હોય તો અમુક સિદ્ધાંતોનું અમલીકરણ અનિવાર્ય છે. આજે આ લેખમાં આ સફળતાના સિદ્ધાંતો વિશે જ વાત કરવાની છે.
સફળતાના આમ જુઓ તો ઘણા સિદ્ધાંતો અને ચાવી છે. પણ મારા મતે જો આ ત્રણ ચાવી કે સિદ્ધાંતોને પણ જો અનુસરીએ તો પણ સફળતા, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિને આજીવન ટકાવી રાખી શકીએ છીએ.
૧) પોતાના કરતાં પહેલા બીજા માટે વિચારો તથા કામ કરો.: આજના સમયમાં માણસ એટલો સ્વાર્થી થઇ ગયો છે કે એ માત્ર પોતાનું જ વિચારે છે અને હાલના સમયમાં નિષ્ફળતાનું સૌથી મોટું અને મુખ્ય કારણ આ જ છે. કોઈ બીજાના માટે વિચારતા જ નથી. તમે જુઓ જે કોઈ સફળતાના શિખરે બેઠા છે એમણે પણ કંઈક ને કંઈક સમાજ અને દેશને આપ્યું છે. કંઈક એવું કર્યું છે જેમાં સમાજ અને દેશનો ફાયદો હોય. અને એટલે જ આજે તેઓ સફળતાના શિખરે બિરાજમાન છે. મિત્રો, એ તો વિધિનું વિધાન છે અને આપણા પૂર્વજો પણ કહેતા આવ્યા છે કે આપણે જો બીજાનું ભલું કરીશું કે બીજાના ફાયદા માટે વિચારીશું તો એ પરમ કૃપાળુ પરમાત્મા આપણા ભલા માટે ચોક્કસ વિચારશે. અને ઉત્તમ ફળ પણ આપશે જ.
૨) વિનમ્ર રહો.: જીવનમાં જે વિનમ્ર નથી રહેતા તેની સફળતા ક્યારેય સાર્થક નથી થતી. ક્યારેય આપણે એકલા હાથે સફળ નથી થઇ શકતા. આપણી સફળતા પાછળ કોઈને કોઈનો હાથ હોય છે. કોઈને કોઈ વ્યક્તિ હંમેશા આપણા માટે ત્યાગ કરે જ છે. તો કોઈને કોઈ આપણી મદદે ખડે પગ ઉભા હોય છે. આ સૌનો આભાર માનવો એ સૌથી જરૂરી છે. આભાર માનવો એ વિનમ્રતાની સૌથી ઉત્તમ નિશાની છે. અને જો આ વિનમ્રતા નથી દાખવતા તો આપણી સફળતા પણ કાયમી નથી રહેતી. આ સિવાય બીજા કોઈનો નહિ તોય એ પરમ કૃપાળુ પરમાત્મા જેણે આ માનવ જન્મ આપી આ સફળતાને લાયક બનાવ્યા એમનો આભાર રોજ માનવો જ રહ્યો. એક નિયમ બનાવવો જોઈએ રોજ રાત્રે સુતા પહેલા એ સૌનો આભાર માનવો જેમણે એ દિવસ સફળતા પૂર્વક પૂરો કરવામાં ભાગ ભજવ્યો હોય. અથવા જે-તે દિવસે જે કોઈ કામ સફળતા પૂર્વક પૂરું કરી શકાયું એની પાછળ જે જે લોકોનો સાથ હોય એ સૌનો આભાર માનવો. અને પછી જ સુઈ જવું. સફળ વ્યક્તિઓ હંમેશા આ ધ્યાન રાખતા હોય છે અને એટલે જ એમની એ સફળતા આજીવન ટકી રહે છે.
૩) શીખતા રહો.: ઘણા લોકોનો સ્વભાવ એવો હોય છે કે એમને કશું નવું શીખવાની જરૂર નથી. અને આ કશું નવું ન શીખવાની વિચારસરણી જ એમના નિષ્ફળ થવાનું મોટું કારણ હોય છે. કારણ કે તેમના મનમાં “મને બધું આવડે”ની વિચારસરણી હોય છે. અને એ જ તેમને સફળ થવાથી અટકાવે છે. આપણે કંઈક નવું કરવું હોય, કંઈક એવું કરવું હોય કે આખી દુનિયા તમને યાદ રાખે, જો સફળતાના શિખરે પહોંચી તે જગ્યાને અકબંધ રાખવી હોય તો જરૂરી છે પોતાને શીખતા રાખવા.. નવું નવું જેમ આવતું જાય એમ શીખતા રહેવું. આજે આધુનિક જમાનો છે. ટેકનોલોજી અને કામ કરવાની રીતભાત, બધામાં કંઈક ને કંઈક બદલાવ સમયાંતરે આવતો જ રહે છે. અને જો આપણે એ બદલાવ સામે પોતાની જાતને નહિ બદલી શકીએ તો આપણે આગળ નહિ વધી શકીએ. આપણી પ્રગતિ અવરોધાશે. માટે હંમેશા શીખતા રહીએ અને આગળ વધતા રહીએ.
આમ જો આ ત્રણ સિદ્ધાંતોને પણ આપણે જીવનમાં આપનાવીએ તો આપણે સફળતા અચૂક મેળવી શકીશું. ચાલો સિદ્ધાંતોને અનુસરીએ અને સાર્થક સફળતાને પ્રાપ્ત કરીએ. સફળતાને જીવનભર અકબંધ રાખીએ.
હાર્દિક કલ્પ્દેવ પંડ્યા
One thought on “સફળતાના સિદ્ધાંતો..!”