સફળતા સૌને ગમે છે. સૌ કોઈ સફળ થવા માંગે છે, પણ સફળ થવા માટે વર્તમાનમાં જીવવું અને મળેલ જીવનને માણવું જરૂરી છે એ વાત કોઈ સમજતું નથી. કેટલાક ભૂતકાળને વળગીને બેસી રહે છે. તો કેટલાક ભવિષ્યના પરિણામોની ચિંતામાં જોખમ લેતા ગભરાય છે. અને વર્તમાન સમય નિષ્કર્મ રહી વેડફી નાખે છે. પછી એમ કહીને કે “મારા નસીબમાં સફળતા લખી જ નથી.” પોતાના નસીબ પર દોષનો પોટલો થોપી દે છે. પણ કર્મ કરો નહીં, જોખમ ઉઠાવો નહીં તો સફળતા મળે જ કઈ રીતે?
જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો વર્તમાનમાં જીવતા શીખવું પડશે. સફળ થવા માટે અસફળતાના પણ ઘૂંટ પીવાની તૈયારી રાખવી પડશે. ભૂતકાળની ઘટનાઓને યાદ કરી પસ્તાવાથી કે ભવિષ્યની ચિંતામાં સમય બગાડવાથી કંઈ જ પ્રાપ્ત નહીં થાય. જીવનની સાચી સફળતા વર્તમાનમાં જ જીવવામાં છે. જો વર્તમાનમાં જીવતા આવડી ગયું તો પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપોઆપ આવી જશે, મુશ્કેલીઓના ઉકેલ આપણી આંખો સમક્ષ આવીને ઊભા રહેશે. થઈ ગયેલી ભૂલને વળગી બેસી રહેવાથી ઉકેલ આવવાનો નથી. વર્તમાનમાં રહી કર્મ કરવું પડશે, આવેલ મુશ્કેલીનો ઉકેલ શોધવા મહેનત કરવી પડશે, તો જ એમાંથી બહાર આવવામાં સફળ થઈ શકાશે. એવી જ રીતે ભવિષ્યની ચિંતા કરવાથી કે કોઈપણ કામનું શું પરિણામ આવશે એના વિચારો કર્યા કરવાથી આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જઈશું… આગળ વધવાની અને સફળ થવાની તકો આપણાથી દૂર થતી જશે.
સફળ થવું હોય તો જોખમ લેવું જ રહ્યું..
સફળતા મેળવવા માટે ઘણા સૂત્રો છે, પણ એ એકેય સૂત્રો કામના નથી જો આપણને વર્તમાનમાં જીવતા ન આવડે. કારણ કે સફળ થવા જે કરવાનું છે એ આજે અને અત્યારે જ કરવાનું છે. વિચારતાં બેસી રહીશું અને અત્યારે કરવાનું કામ મોડા કરીશું તો અસફળ થવાની શક્યતાઓ વધી જશે. ભૂતકાળના અનુભવોમાંથી શીખી વર્તમાનમાં એ બાબતને ધ્યાનમાં રાખી આગળ વધવું જ પડશે. અને પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વિના જોખમ લેવા પણ તૈયાર રહેવું પડશે. તો જ સફળતા આપણાં આંગણે આવીને ઊભી રહેશે. અત્યાર સુધીમાં જે કોઈ સફળ વ્યક્તિઓ થઈ ગયા તેઓએ પણ હંમેશા વર્તમાનમાં રહીને આજે શું કરવું જેથી સફળતા પ્રાપ્ત થાય?? એના જ વિચારો પોતાના મન-મસ્તિસ્ક ઉપર રાખ્યા હશે અને એટલે જ તેઓ સફળ થઈ ગયા.
“આજમાં જીવવું અને આજે એવું તે શું કરવું કે
સફળતા સામેથી આવીને હાથ ઝાલે, બસ એ જ વિચાર કરવો.”
ઉદાહરણ સ્વરૂપે સફળ લોકોના નામ જોઈએ તો અનેકાનેક નામ મળશે. આજે એવા જ એક સફળ સાહિત્ય સેવકની વાત કરીએ. જેઓ પોતે તો સફળ છે જ, સાથે અનેક સાહિત્ય રસિકોને પણ તેમણે સફળતા અપાવી છે, લેખક તરીકે આગળ આવવાનું પ્રોત્સાહન આપ્યું છે. એમનું નામ છે શ્રી જીજ્ઞેશ અધ્યારૂ… તેઓ કર્મે સિવિલ એંજિનિયર છે. બાળપણથી વાંચનના શોખને કારણે તેઓ સાહિત્ય લેખન તરફ આકર્ષાયા અને સાહિત્ય જગતને મળ્યા એક ઉત્તમ લેખક, વિવેચક, સંપાદક, શોર્ટફિલ્મ મેકર.. અક્ષરનાદ, રીડગુજરાતી અને માઈક્રોસર્જન જેવી વેબસાઈટ દ્વારા તેમણે અનેક નવોદિત અને પ્રખ્યાત લેખકોને લેખનનું મંચ પૂરું પાડ્યું. અને સાહિત્યની સેવા હાથ ધરી. “આજમાં જીવવું અને આજે શું એવું કરવું કે સફળતા સામેથી આવીને હાથ ઝાલે, બસ એ જ વિચાર કરવો.” આ જ સૂત્ર તેમણે પણ અપનાવ્યું હશે. ગુજરાતી સાહિત્યમાં માઈક્રોફિકશન વાર્તા પ્રકારને ઓળખાવનાર શ્રી ડો. હાર્દિક નિકુંજ યાજ્ઞિકની સાથે મળી શ્રી જીજ્ઞેશભાઇએ “સર્જન” નામથી વ્હાટ્સએપ ગ્રુપની શરૂઆત કરી અને સાહિત્ય લેખનમાં રસ ધરાવતા સૌ નવોદિત તેમજ પ્રખ્યાત લેખકોને એકઠા કરી સાહિત્યના નવા વાર્તા પ્રકાર માઈક્રોફિકશનની ઓળખાણ કરાવી. મહેનત, કર્તવ્યનિષ્ઠ ભાવના સાથે તેઓ આગળ વધતાં ગયા. હા, એમનાથી પણ ઘણી ભૂલો થઈ જ હશે, એમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે, પણ તેઓ વિના ભયભીત થયે આગળ વધતાં રહ્યા. ભૂતકાળના અનુભવોને વળગીને બેસી રહેવાની જગ્યાએ અનુભવોમાંથી શીખી નવસર્જનના માર્ગે ચાલતા રહ્યા અને આ જ કારણ છે કે આજે સાહિત્ય જગતમાં એમનું નામ ઊંચાઈએ પહોંચ્યું છે, વાર્તાલેખનથી માંડી શોર્ટફિલ્મ બનાવવાના ક્ષેત્રે પણ તેઓ સફળ થયા છે. એટલું જ નહીં લગભગ સો જેટલા લેખકોને સાથે લઈ સાહિત્યની સેવા કરી રહ્યા તેમણે અનેક નવોદિત કલાકારોને અવનવા મંચ પ્રદાન કર્યા છે પોતાની પ્રતિભાને બહાર લાવવા… તેઓ એક સફળ લેખક, સંપાદક અને સંચાલક બની શક્યા છે.
આ બધુ જ કઈ રીતે? જો તેમણે લેખનની શરૂઆતમાં થયેલ ક્ષતિઓને મનમાં ભરી રાખી લખવાનું છોડી દીધું હોત તો? વ્હોટ્સએપ ગ્રુપ બનાવવાનો વિચાર માત્ર વિચારોમાં રાખી એના પરિણામોની ચિંતામાં સમય વેડફ્યો હોત તો? એમને પણ આટલા બધા લોકોને સાથે લઈ ચાલતા કેટલાય કડવા અનુભવ થયા હશે. જો શ્રી ડો. હાર્દિક નિકુંજ યાજ્ઞિક અને શ્રી જીજ્ઞેશ અધ્યારૂ એ કડવા અનુભવોથી વ્યથિત થઈ ત્યાં જ રોકાઈ ગયા હોત, તો શું ગુજરાતી સાહિત્યના નવા વાર્તા પ્રકાર “માઈક્રોફિકશન”એ આજે આટલી પ્રસિદ્ધિ મેળવી હોત? શું આપણને આવા સરસ સૂક્ષ્મ વાર્તા સ્વરૂપ થકી સમાજમાં જાગૃતતા લાવનાર એવા ઉત્તમ લેખકો મળ્યા હોત? શું આ બેય વ્યક્તિઓ પણ પ્રસિદ્ધિ મેળવી શક્યા હોત? ના… સો ટકા ના… તેમણે ભૂતકાળના અનુભવોથી શીખ લઈ વર્તમાનમાં જીવી, સખત મહેનત કરવાનો રસ્તો અપનાવ્યો એટલે જ તેઓ આજે સફળતાના શિખરો ઉપર બિરાજમાન છે.
એક વાત હંમેશા યાદ રાખવી કે ના તો ભૂતકાળ બદલી શકાય છે, ના તો ભવિષ્ય જોઈ શકાય છે, યોગ્ય એ જ છે કે આપણે વર્તમાનમાં જીવતા શીખીએ, જીવનની દરેક પળને માણીએ અને આવેલી મુશ્કેલીઓનો સામનો હસતાં હસતાં કરીએ. બસ આટલું કરવાની જરૂર છે અને પછી જોશો કે પરિણામ આપણું જોઈતું જ આવશે અને સફળતા આપણો દરવાજો સામેથી આવીને ખખડાવશે.
“ભૂતકાળના અનુભવોથી શીખી વર્તમાનમાં જે જીવે,
મહેનતથી જે આગળ વધે, સફળતા એને આપમેળે જઈ વરે.“
હાર્દિક કલ્પદેવ પંડ્યા