તમે નાના બાળકોને જોયાં છે? એ હંમેશાં ખુશ અને આનંદમાં રહે છે. એમને દુઃખી કરવા અથવા ગુસ્સે કરવા ખુબ જ અઘરા છે. જ્યારે મોટી ઉંમરના લોકોને જોયા છે? એ હંમેશાં સ્ટ્રેસમાં જ રહે છે. એમને હસાવવા એટલા જ મુશ્કેલ છે જેટલા નાના બાળકોને રડાવવા… હા બધી જગ્યાએ એક સરખું નથી હોતું..
પણ આવું હોવાનું કારણ શું?
આની પાછળ કારણ છે આપણું મગજ. આપણું મગજ તર્ક-વિતર્કોના આધારે નક્કી કરે છે કે આપણે કોનાથી દૂર રહેવું અને કોની સાથે લડી લેવું. શું કરવું, શું ન કરવું. અને આ પરથી જ નક્કી થાય છે આપણુ ખુશ થવું અથવા દુઃખી થવું. જો આપણી ખુશીનું પ્રભારણ (ચાર્જ) આપણા મગજ પાસે રહેશે તો કદાચ આમ જ થવાનું..
આપણી ખુશીની ચાવી આપણે આપણા હાથમાં રાખવી પડશે. તો જ આપણે ખુશ રહી શકીશું. વિચાર એ વાતનો કરો કે હું ખુશ કેવી રીતે રહી શકું. એક વાત એ પણ છે કે જો તમારી ખુશીનો આધાર બાહ્ય પરિબળો પર હશે તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. “પેલા એ આમ કર્યું, આણે તેમ કર્યું…” બસ આમ જ ફરિયાદ કરતાં રહેશો તો તમે હંમેશા દુઃખી જ થશો. હંમેશાં જે જેમ છે તેમ જ તેને સ્વીકારી આગળ વધો અને જે નથી એની ફરિયાદ કરવાને બદલે જે છે તેને સ્વીકારીને ચાલો તો હંમેશા ખુશ રહેશો.
આજે આપણે વાત કરીશું એ મુદ્દાઓ પર જે તમને ખુશ રહેવામાં મદદરૂપ થશે. તો ચાલો જાણીએ જાતને ખુશ રાખવાના થોડાક ઉપાયો:
૧) આભાર માનવો : હંમેશાં તમે જે કાંઈ પણ મેળવ્યું છે તેના માટે આભાર માનવો જોઈએ. અને આભાર માનવામાં ક્યારેય મોડું ન કરવું. આમ તો જો મારી સલાહ માનો તો રોજ રાત્રે સૂતા પહેલાં એ દિવસ સફળતાપૂર્વક પૂરો થયો તે માટે કોણ કોણ જવાબદાર?? એ સૌના નામની યાદી તૈયાર કરવી જોઈએ અને બીજા દિવસે બીજું નવું કામ શરૂ કરતાં પહેલાં એ બધાંયનો મનોમન અથવા બની શકે તો એ વ્યક્તિને પર્સનલી કહીને આભાર માનવો જોઈએ. આજના સારા કે નરસા ગમે તેવો દિવસ રહ્યો હોય, આજના દિવસ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ,આ કામને પોતાની રોજિંદી ક્રિયાઓમાં સ્થાન આપવું જોઈએ. માત્ર પાંચ મિનિટ આભાર માનવા માટે ફાળવવાથી તમને જે હાશકારો થશે એ આનંદનો અનુભવ અનેરો હશે. કરી જો જો એક વાર…
૨) વ્યસન છોડો : આંતરિક ખુશી માટે બીજો મુદ્દો છે વ્યસન છોડો… દારૂ પીવો, તમાકુ ખાવું આ તો બધા અતિશય ખરાબ વ્યસન છે પણ એ સિવાય પણ બીજા વ્યસનો છે જેમ કે વધુ પડતું ટીવી જોવું, આજના આધુનિક યુગમાં ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ પણ વ્યસન જ કહેવાય. એ સિવાય વધુ પડતું ખાવું, ખોટાં ખોટાં નકારાત્મક વિચારો કરવા, આ બધા જ વ્યસન છે જેને સારી આદતો સાથે બદલવા જરૂરી છે. કારણકે આ આદતોને એમનેમ છોડવા ખુબ જ મુશ્કેલ છે. માટે જો ખુશ રહેવું હોય તો તેનું સારી આદતો સાથે રિપ્લેસમેન્ટ અનિવાર્ય છે. સારી આદતોમાં ઘણી બાબતો આવી શકે, જેમ કે ટીવી જોવાના બદલે મ્યુઝીક સાંભળવું, અથવા જુના મિત્રોને મળવું, ઇન્ટરનેટના ઉપયોગ કરવાને બદલે ગાર્ડનમાં ચાલવા જવું, તમાકુ કે ગૂટખા ખાવાના બદલે એલાઈચી કે ચોકલેટ ખાવી! આમ જો મનમાં બદલવાની ભાવના હોય તો કશું અઘરું નથી.
૩) અર્થપૂર્ણ સંબંધો : આજના સમયમાં ફેસબુક, વ્હોટસએપ આવ્યાં છે ત્યારથી લોકો મોબાઈલ અને ઈન્ટરનેટ પર જ વધુ સમય વીતાવે છે. અને આ જ કારણ છે કે આપણને એકલતા કનડે છે. કોઈક ચેટ કરવા વાળું ના હોય કે એક દિવસ પણ ઇન્ટરનેટ બંધ હોય તો આપણે ઉદાસ અને એકલા પડી જઈએ છીએ. કારણ આપણે વર્ચ્યુલ (આભાસી) સંબંધોની બહાર કોઈ જીવંત સંબંધોમાં સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ નથી. કોઈ પ્રકારના સાચા સંબંધો જાણે રહ્યા જ નથી. માટે જો ખુશ રહેવું હોય તો વધુ નહીં પણ ઓછામાં ઓછા ચાર-પાંચ અર્થપૂર્ણ સંબંધો કેળવો કે જેમની સાથે વાત કરી તેમ તમારું મન હળવું કરી શકો. અને તમારી મૂંઝવણો દૂર કરી શકો. જીવનમાં ખુશ રહેવા માટે સાચા સંબંધો કેળવવા જરૂરી છે.
૪) યોગ : આજના સમયમાં આખું વિશ્વ યોગનો મહિમા જાણી રહ્યું છે. યોગને અપનાવી રહ્યું છે. યોગના ઘણા ફાયદા છે. યોગ તમારી અંદર સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. યોગ તમારી એકાગ્રતા વધારે છે, તમારી અંદર સ્ફૂર્તિ લાવે છે, તમારી સર્જનાત્મકતા વધારે છે. અને તમારું પ્રફુલ્લિત મન તમને આનંદમાં રાખે છે. દિવસમાં કોઈપણ સમયે યોગ કે કસરત માટે થોડો સમય ફાળવો, એ તમારા આયુષ્યની વૃદ્ધિ તો કરશે જ પણ તમારા હાલના શ્વાસોને પણ શુદ્ધ બનાવશે.
૫) પોતાને વ્યસ્ત રાખો : પોતાની જાતને હંમેશાં વ્યસ્ત રાખો. મન એકાગ્ર કરી કામ કરો. તમારું મન એક જ કામમાં વ્યસ્ત રહેશે તો એટલાં ઓછાં નકારાત્મક વિચારો આવશે અને એટલા જ તમે દુઃખી ઓછા થશો.
૬) જીવન-ધ્યેય: મિત્રો, આપણા જીવનમાં કોઈને કોઈ ધ્યેય હોવો જરૂરી છે. ધ્યેય વિનાનું જીવન વ્યર્થ છે. પોતાના કામની પસંદગી તમારી ઈચ્છા, શોખ, રસ મુજબ કરો..
આપણા સમાજમાં એક રિવાજ ચાલી આવ્યો છે કે બાળક માતા-પિતા, સમાજ, ગુરુજનો વગેરેની ઈચ્છા મુજબ પોતાની પ્રવૃત્તિઓ પસંદ કરતા હોય છે. મમ્મીએ કહ્યું બેટા ડૉક્ટર જ બનવાનું છે, પપ્પાએ કહ્યું બેટા એન્જીનિયર બનવાનું છે.. ને દીકરી કે દીકરો લાગી જાય એની પાછળ મહેનત કરવા… હા આ બધા વ્યવસાય સારા જ છે. પણ જો એમાં તમને રસ નહીં હોય તો તે કામને તમે માણી નહીં શકો. અને જો કામ માણશો નહીં તો તે બોજારૂપ લાગશે. માટે જે પણ કામ પસંદ કરો તે એવું કરો કે જેને તમે માણી શકો. તો તમે જોશો કે તમે કેટલા ખુશ રહી શકો છો.
Life’s Every Moment Is Precious Use It Wisely And Enjoy It Fully.
હાર્દિક કલ્પદેવ પંડ્યા