મનની શક્તિ અપાર છે.!

મન શું છે? મન એટલે અખંડ ઉર્જાનો સ્રોત. આધુનિક ભાષામાં જો સમજીએ તો જો આપણે આપણાં શરીરને એક કોમ્પ્યુટર ગણીએ તો આપણું મગજ એ આપણું હાર્ડવેર છે અને આપણું મન એ સોફ્ટવેર… હા, આપણું મગજ એ માત્ર આપણાં શરીરનું એક અંગ છે એની અંદર વિચારો અને નિર્ણયો લેવાની શક્તિ આપનાર ઉર્જાસ્રોત એટલે આપણું મન…

આપણાં મન પાસે અસીમ, અપાર શક્તિનો ભંડાર રહેલો છે.. મનની એ શક્તિ દ્વારા આપણે જે કંઈ પણ મેળવવું હોય તે મેળવી શકીએ છીએ. એવું કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ અને માનીએ છીએ એ જ આપણે બની જઈએ છીએ.

આ મનની શક્તિ બે ભાગમાં વહેંચાયેલી છે. (૧) જાગૃત મન અને (૨) અર્ધજાગૃત મન. એમાં પણ આપણું જાગૃત મન માત્ર ૧૦ ટકા જ કામ કરે છે બાકી ૯૦ ટકા અર્ધજાગૃત મન કામ કરતું હોય છે. આપણાં રોજિંદા જીવનમાં જે કંઈ કામ કરીએ છીએ એ આપણાં જાગૃત મનથી જ થાય છે. જેમાં મહદંશે આપણી શારીરિક શક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આપણી મનની શક્તિનો ઉપયોગ નહિવત જ આપણે કરીએ છીએ. પણ આવું કેમ છે. એનું એકમાત્ર કારણ એ જ કે આપણને આ મનની શક્તિનો કઈ રીતે અને કેટલો ઉપયોગ કરવો એ શીખવાડવામાં જ નથી આવ્યું. ન શાળામાં, ન કોલેજમાં ન કોઈ એવી યુનિવર્સિટી છે કે જ્યાં આ મનની શક્તિ વિશે જ્ઞાન આપવામાં આવે. તો ચાલો આપણે આજે આ મનની શક્તિ વિષે જ જાણીએ.

આપણાં મનમાં એક આખા દિવસમાં ૬૦ હજાર જેટલા વિચારો ઉત્પન્ન થતાં હોય છે પણ દુ:ખની વાત એ છે કે એમાંથી ૮૦ ટકા વિચારો નકારાત્મક જ હોય છે. માત્ર ૨૦ જ ટકા વિચારો સકારાત્મક હોય છે. જો આ પ્રમાણ ઊલટું કરી નાંખીએ અને ૮૦ ટકા વિચારોને સકારાત્મક બનાવી દઈએ તો આપણે કંઈક એવા સર્જનાત્મક કામ કરી શકીએ છીએ જે આપણાં જ નહીં પણ આપણી આસપાસના સૌના જીવનમાં બદલાવ લાવી શકે છે. જીવન સાર્થક બનાવી શકાય છે. હા, નકારાત્મક વિચારો આવશે જ… કારણ કે એનું નિર્માણ પણ એ પરમ કૃપાળુ પરમાત્માએ જ કર્યું છે, જો એ વિચારો મનમાં લાવવા જ ન હોત તો એનું નિર્માણ, એ શબ્દનું પણ નિર્માણ પરમાત્માએ કર્યું ન હોત.. પણ એ નકારાત્મક વિચારો પર જીત મેળવી એમાંથી પણ તક ઊભી કરી એને સકારાત્મક પરિસ્થિતિમાં પરિવર્તિત જે કરી દે એ જ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. પોતાના જીવનમાં  સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પણ આકર્ષી શકે છે… લાવી શકે છે.

એક ભ્રમણા એવી પણ છે કે જેટલા ભણેલા ગણેલા એટલા જ આપણે સફળ વધુ થઈ શકીએ છીએ. પણ એવું કંઈ જ નથી, ઓછું ભણેલ વ્યક્તિ પણ તેના આત્મવિશ્વાસ અને મનની શક્તિથી સફળતાના શિખરોને આંબી શકે છે. આપણું મન એ ફળદ્રુપ જમીન જેવુ છે, એમાં જે વાવીશું એ ઊગી નીકળશે. જો આપણે એમાં સકારાત્મક વિચારો, સખત અને સાચી દિશામાં ઈમાનદાર મહેનતના બીજ વાવીશું તો સફળતાનું વૃક્ષ ચોક્કસ ઊગશે… અને સુખ અને સમૃદ્ધિના મીઠા ફળ પણ આપશે. પણ જો એમાં નકારાત્મક વિચારો અને આળસના બીજ વાવીશું તો નિષ્ફળતા અને નિરાશાના જ ફળ પ્રાપ્ત થશે. માટે શું વાવવું એ પસંદગી આપણી પોતાની જ છે. આ મનની શક્તિ એ અખંડ અપાર છે. કારણ કે આ શક્તિ એ પરમ કૃપાળુ પરમાત્મા સાથે સીધી જોડાયેલી છે. કોઈપણ પરિસ્થિતિમાં જો આપણે બહારની દુનિયામાં ઉકેલ શોધવા કરતાં આપણાં અંતરઆત્માને જ ઉકેલ પૂછીશું તો ખરેખર સાચો જ જવાબ મળશે, કારણ કે એ પરમાત્માનો જ જવાબ હોય છે. હવે તમે જ કહો કે પરમાત્માનો જવાબ ક્યારેય ખોટો હોય શકે ખરો?? જરાય નહીં…. અને જો એ પરમાત્મા જ આપણી પાસે આપણી અંદર હાજરાહજૂર હોય તો બહાર ફાંફાં મારવાની જરૂર જ શું???

આપણું આ મન એ સ્મરણ શક્તિનો ભંડાર છે. એની અંદર આપણે જેટલું ભરવું હોય તે ભરી શકાય. પણ જો એમાં આપણે નકારાત્મક વિચારો, ભાવનાઓ અને નકારાત્મક ઉર્જા ભરીશું તો આપણી પ્રગતિ અવરોધશે, અને જો સકારાત્મક વિચારો, ભાવના અને સકારાત્મક ઉર્જાને ભરીશું તો પ્રગતિના પંથે આગળ વધી શકીશું. અને સફળતાને પામી શકીશું. પરંતુ શું આ સફળતા મેળવવી જ પૂરતી છે?? ના… સફળતા સાથે ભાવનાત્મક રીતે સશક્ત હોવું પણ એટલું જ જરૂરી છે. આપણે સૌ દિવ્ય ભરતી, હિટલર અને ગુરુ દત્ત આ સૌ ખ્યાતનામ વ્યક્તિઓને ઓળખીએ છીએ. આ સૌ સુખી અને સમૃદ્ધ હતા. પણ તેઓ ભાવનાત્મક રીતે સશક્ત ન હતા અને એટલે જ અંતે તેમણે આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. જો આપણે સફળતાના શિખરો પર હોઈશું, સમૃદ્ધ હોઈશું, પણ જો આપણે ભાવનાત્મક રીતે સશક્ત નહીં હોઈએ તો આ બધુ જ નકામું છે. માટે હંમેશા ભાવનાત્મક રીતે પણ સશક્ત રહેવું… અને જે પરિસ્થિતિ સર્જાય એમાંથી તક કાઢવા અને એમાંથી બહાર નીકળવા પ્રયત્નશીલ રહેવું. કારણ કે તક તો પરમાત્મા બધાને આપે જ છે. એને ઓળખી ઝડપી લેવી કે ન ઓળખીને છોડી દેવી એ આપના હાથમાં જ હોય છે.

આપણે સામાન્ય રીતે જ્યારે વહેલા ઊઠવું હોય ત્યારે એલાર્મ મૂકીએ છીએ. અને ઘણી વખત તો આપણે એલાર્મ પણ બંધ કરીને પાછા સૂઈ જતાં હોઈએ છીએ… અને વહેલા ઉઠાવનું આયોજન નિષ્ફળ થાય છે. કારણ કે એ રીતે ઉઠવામાં આપણી અંદર સ્ફૂર્તિનો અભાવ રહે છે. પણ આપણી પોતાની અંદર એક માનસિક ઘડિયાળ રહેલી છે, જો એને એમ કહી દઈએ કે “મારે આટલા વાગ્યે ઊઠવું છે તો એ માનસિક ઘડિયાળ જ આપણને ઉઠાડી દે છે, અને એ પણ સ્ફૂર્તિ સાથે… એકવાર પ્રયત્ન કરી જો જો ચોક્કસ વિના એલાર્મ ઉઠી શકશો…

મિત્રો, આપણું મન એટલું સશક્ત છે કે આપણે ઈચ્છીએ તો આપણી ગંભીરમાં ગંભીર બીમારી પણ મનની એ શક્તિથી દૂર થઈ શકે છે. અને જો આપણે મનમાં ભરી દઈએ કે આપણે બીમાર છીએ તો જો બીમાર ન પણ હોઈએ તો પણ થઈ શકીએ છીએ. માટે જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દવા અને ડોક્ટરની મદદ લેવાની સાથે મનની શક્તિને પણ મજબૂત કરી કહેવાનું રાખો કે “હું સ્વસ્થ થઈ ગયો/ગઈ છું. મારી બીમારી દૂર થઈ ગઈ છે” આપણાં મનની એ અસીમ શક્તિ આપણને ખુબ જ જલ્દી સાજા કરી દેશે.

આપણું મન એ અખંડ ઉર્જા શક્તિનો પાવર જનરેટર છે. એ જે વિચારે તે બધુ જ કરી શકે છે, આપને એક ઉદાહરણ આપું તો ગુજરાતમાં એક સંત છે કે જેઓએ છેલ્લા ૮૦ વર્ષથી કંઈ જ ખાધું પીધું નથી. તેમ છતાં તેઓ સક્રિય અને સ્વસ્થ રહે છે. એમને એક પત્રકારે પુછ્યું કે,”આ શક્ય કઈ રીતે છે?” ત્યારે તેમણે માત્ર એટલું કહ્યું હતું કે,”હું રોજ સવારે ૧૫ મિનિટ સૂર્ય પાસેથી ઉર્જા લઉં છુ અને આખો દિવસ ઉરજવાન રહી શકું છું.” વિચારો મિત્રો જો કોઈ વ્યક્તિ માત્ર ૧૫ મિનિટ સૂર્ય ઉર્જા લઈ જીવી જ નહીં પણ આટલા તંદુરસ્ત અને સક્રિય રહી શકતા હોય તો આપણે તો શું શું ન કરી શકીએ… બધુ જ કરી શકીએ.. બસ જરૂર છે મનની શક્તિ ને ઓળખવાની અને ઇનો સદુપયોગ કરવાની…

મિત્રો આપણાં આ મન પાસે એવી અપાર શક્તિ છે કે આપણે જે ઇચ્છીએ એને આપણી તરફ આકર્ષિત કરી શકીએ છીએ.. અશક્ય કંઈ જ નથી. જો કે આ મનની શક્તિ વિશે લખવા બેસીએ તો આખું પુસ્તક લખી શકાય.. આ અખંડ ઊર્જાના સ્રોત એવા આપણાં મનને ચાલો યોગ અને સાધના થકી ઓળખવા પ્રયત્ન કરીએ અને જીવનમાં કંઈક સર્જનાત્મ કામ કરીએ… જીવનમાં આપણાં પોતાના માટે તો ઘણું કર્યું, હવે આ મનની શક્તિનો સદુપયોગ કરી દુનિયા માટે કંઈક કરીએ… ખરેખર એક સુખદ અનુભવ થશે… સાથે આ મનની શક્તિ થકી આપણને પણ લાભ તો ખરો જ. ચાલો જીવન બદલાવાના પંથે અગ્રેસર થઈએ.. જીવન બદલીએ, સંસાર બદલીએ… પોતાની અંદર સકારાત્મકતા ભરી સંસારને સકારાત્મકતા વહેંચીએ. અને પોતાની મનની શક્તિથી જ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પ્રાપ્ત કરીએ.

હાર્દિક કલ્પદેવ પંડ્યા