ઉત્સાહિત વ્યક્તિત્વ સફળતાની એક ઉત્તમ ચાવી છે..!

માનવીની રચના કાંઈક એવી રીતે બની છે કે આપણો મૂડ એવો રહે છે કે ક્યારેક તે એકદમ ઉત્સાહિત થઇ જાય છે અને ક્યારેક તે સાવ હતોત્સાહ થઇ જાય છે. આમ થવું સાવ સ્વાભાવિક છે, તે કુદરતી છે. જયારે આપણે કોઈ અણગમતી પરિસ્થિતિ પર અટકી જઈએ છીએ ત્યારે આપણે દુ:ખી થઇ જઈએ છીએ. પણ જયારે આપણે કશુંક સકારાત્મક સાંભળીએ ત્યારે આપણો મૂડ સારો થવા લાગે છે. અને જયારે આપણો મૂડ વધારે સારો હોય ત્યારે આપણે તેને ઉત્સાહ કહીએ છીએ.

જયારે કશુંક નવું, ગમતું હોય તેવું થવાનું હોય ત્યારે આપણો ઉત્સાહ વધે છે પણ જો કોઈ કાર્ય કરવાનો આપણો મૂડ ન હોય ત્યારે આપણો ઉત્સાહ મંદ પડી જાય છે. આનો અર્થ એ થયો કે આપણા મનની સ્થિતિ અને ઉત્સાહનો આધાર આપણી જે તે સમયની પરિસ્થિતિ ઉપર રહેલો હોય છે. જો અવસર આનંદનો હોય તો આપણે ઉત્સાહિત રહી શકીએ છીએ. પરંતુ જો પરિસ્થિતિ હતાશાજનક હોય તો આપણે હતાશ કે દુ:ખી રહીએ છીએ. આપણું રોજિંદું જીવન પણ આ પ્રકારે પરિસ્થિતિ અનુસાર બદલાય છે. પરંતુ શું આપણો ઉત્સાહ આપણી પરિસ્થિતિ ઉપર આધારિત હોવો જોઈએ? વિચારી જુઓ.

  ચાલો આપણે ૨ અલગ પ્રકારના ઉત્સાહને સમજીએ:

  ૧) સકારાત્મક ઉત્સાહ (Positive Excitement)

2) નકારાત્મક ઉત્સાહ (Negative Excitement) 

સકારાત્મક ઉત્સાહ:

આપણે એવી દુનિયામાં રહીએ છીએ જે સમસ્યાઓથી (મુશ્કેલીઓથી) ભરેલી છે. આપણાં કંટાળાજનક જીવનમાંથી બહાર આવવા માટે આપણી પાસે કેવળ એક જ ઉપાય છે અને તે છે આપણો સકારાત્મક ઉત્સાહ, આપણું સકારાત્મક વલણ, દૃષ્ટિ. પણ શું તમે એમ માનો છો કે આ સકારાત્મક ઉત્સાહ આપણી અંદર આપોઆપ, સ્વાભાવિકપણે જાગશે?

કૃપા કરીને એ યાદ રાખો કે આપણાં જીવનમાં આપણો સકારાત્મક ઉત્સાહ જ આપણી મનઃસ્થિતિને સુધારવામાં મદદરૂપ થતો હોય છે.

પણ, જીવનમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે શું આપણે અલગ હોય એવું કાંઈક કરવું જ જોઈએ? આ પ્રશ્નનો જવાબ છે હા, આપણે કાંઈક નવું અને અલગ કરવું જ જોઈએ. અને એવું નવું કાંઈક કરતી વખતે તેની આડે કોઈપણ અવરોધ ન આવવા દેવો જોઈએ. જયારે આપણે કોઈપણ કાર્ય પહેલી વાર કરતા હોઈએ ત્યારે આપણી અંદર એક બહુ જ ખાસ પ્રકારની ઘટના બનતી અનુભવાય છે. આપણે અચાનક હકારાત્મક બની જઈએ છીએ અને કાંઈક નવું કરવા માટે ખૂબ જ ઉત્સાહિત થઇ જઈએ છીએ!

જીવનમાં સકારાત્મક ઉત્સાહ ધરાવવાથી ઘણા ફાયદાઓ મળે છે:

આ જીવંત ઉત્સાહ આપણો વિકાસ કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. પણ ઘણી વાર એવું બને છે કે આવો ઉત્સાહ આપણે સતત જાળવી શકતા નથી. મારી સલાહ છે કે એકવાર તમને ઉત્સાહિત થવા માટેનું ગમતું કારણ મળી જાય તો તે કામ કરવા તરત જ મંડી પડવું જોઈએ. જે શક્ય નહોતી એવી તક પ્રભુએ આપી, તેમ વિચારીને હંમેશાં ખુશ થવું જોઈએ અને તેની કદર કરવી જોઈએ. જયારે આપણે આપણાં કામની કદર કરતાં શીખી જશું તો આપણો ઉત્સાહ શરૂઆત વખતે જેવો હતો તેવો જ અંત સુધી જળવાઈ રહેશે.

જયારે આપણને આપણું કામ બહુ ગમવા લાગશે ત્યારે આપણે તેને વધારે સારું કરવાનો, તેને સુધારવાનો પ્રયત્ન પણ કરવા લાગશું. આપણો એ ઉત્સાહ આપણને સર્જનાત્મક બનાવતો રહેશે અને તેથી આપણી કાર્યક્ષમતા પણ વધતી રહેશે.

જયારે આપણે ખાસ કોઈ પ્રયત્ન કર્યા વગર જ આપણાં કાર્યને સમર્પિત થઇ જશું તો આપણું તે કાર્ય જ અણમોલ ઉપહાર જેવું બની જશે. અને જો આપણે આપણું રોજિંદું કામ પણ એટલા જ ઉત્સાહથી કરતાં રહીશું તો તે આપણો એવો મજબૂત આધાર બની જશે કે જે આપણને રોજબરોજના કાર્યોમાં સતત વ્યસ્ત રાખશે અને પછી તો આપણને આપણી અપેક્ષા કરતાં પણ વધારે સારું કાર્ય કરવા માટે પ્રેરણા મળતી રહેશે!

આપણે આપણાં લક્ષ્યો નક્કી કરીને તેનું આયોજન કરવાની શરૂઆત કરવી જોઈએ. આપણે જે સિદ્ધિઓ મેળવવાની છે તેની યાદી તૈયાર કરવી જોઈએ. અને પછી જોશો કે આપણાં નિર્ધારિત કાર્યમાં આપણને મદદરૂપ થાય તેવા અને આપણે આગળ વધી શકીએ તેવા કેટકેટલા ઉપાયો અને યુક્તિઓ આપણી સામે આવી જાય છે! 

સુપરમેનની જેમ હીરોગીરી કરવાથી આપણને પરમ શક્તિ (સુપર પાવર) મળી જવાની નથી. એવી રીતનું વર્તન કરવાથી આપણી અંદર અલબત, સકારાત્મક જોશ ઉભરાવા લાગે છે. પણ એવી કાલ્પનિક બાબતોમાં રાચીને શેખચલ્લીની જેમ છત પરથી છલાંગ લગાવવાથી ઊડી શકાશે એવું વિચારવું એ ઉત્સાહનો અતિરેક છે.

નકારાત્મક ઉત્સાહ:

જયારે આપણે સકારાત્મક ઉત્સાહ વિશે વાંચીએ ત્યારે તે બિલકુલ સાચું લાગે છે અને તેમાંની અમુક બાબતો આપણાં જીવનમાં બની પણ શકે છે. પરંતુ થોડીક વાતો એવી છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી અંદર સકારાત્મક ઉત્સાહનો અતિરેક આપણી ક્ષમતાથી વધારે પડતો ન થઇ જાય. ઘણી વાર સકારાત્મક ઉત્સાહનો અતિરેક આપણી અંદર અતિ-આત્મવિશ્વાસ લાવી દે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આપણી સમસ્યાઓના    સમાધાન માટે જ ઉત્સાહ ધરાવીએ છીએ. અને આપણો હેતુ તેને લીધે નવી મુશ્કેલી ઊભી કરવાનો નથી.

સામાન્ય રીતે એ વાત આપણને સમજાતી નથી પણ અતિ ઉત્સાહને કારણે આપણે તે વસ્તુની વધુને વધુ ઈચ્છા કરીએ છીએ અને તેના પ્રત્યે લોભ વધતાં તેને માટે આપણે વધારે લોભામણા થઇ જઈએ છીએ. એ લોભ અને લાલચમાં આપણે ઘણીવાર આપણે ન કરવાનું હોય તેવું કાંઇક કરી બેસીએ છીએ. અને આપણે એમ માનીને ખોટો નિર્ણય લઇ બેસીએ છીએ કે ઉત્સાહથી આપણાં જીવનમાં ઈચ્છિત ફેરફાર થઇ જ જશે. પણ અહીં જ આપણે ખોટા પડીએ છીએ.  ઉત્સાહ આપણા માટે ત્યારે જ સાચી રીતે કામ કરે કે જ્યારે આપણને ખાતરી હોય કે તે આપણા માટે સકારાત્મક પ્રતિભાવ અપાવશે.

ઉત્સાહના અતિરેકમાં આપણે બહુ ઉતાવળે પછીનું પગલું ભરીએ છીએ કે જેના માટે આપણી તૈયારી હોતી નથી.

તમારા ઉત્સાહને વધારવાના પગથિયાં        

દરેક માણસે એ સમજી લેવું જોઈએ કે જો તમે મૂડમાં ન હો તો તેને માટે તમે પોતે જ જવાબદાર છો. તમારો મૂડ બદલવા માટે બીજી કોઈપણ વ્યક્તિ તમને  મદદ કરી ન શકે. તમારા નજીકના અને વહાલાં લોકો તમને ખુશ રાખવા માટે પ્રયત્ન જરૂર કરી શકે પણ જો તમે પોતે તમારો મૂડ બદલવા માટે કોઈ પ્રયત્ન ન કરો તો તમે તમારો મૂડ બદલી નહીં શકો. કારણ કે તમે તમારા મનથી દુ:ખી રહેવાનું જ નક્કી કર્યું છે. તમારે તમારા ઉત્સાહને તમારી ઈચ્છા મુજબ જાળવી રાખવાનું શીખવું પડશે. જયારે તમે ગમતું કામ કરવાનું શરુ કરો છો ત્યારે તમારો મૂડ (મનની સ્થિતિ) બદલાય છે. ત્યારે તમે હતાશામાંથી (ડિંપ્રેશન) બહાર આવવાની યાત્રા શરુ કરો છો અને તમે નોર્મલ (સામાન્ય) બનતા જાઓ છો.

જયારે તમે કંઈક કરો ત્યારે તમે ઈચ્છો કે તમે ફરી તમારી સામાન્ય મનઃસ્થિતિ પર પહોંચી જાઓ. મનની આ જે સામાન્ય સ્થિતિ છે તે તમને તમારી ભૂલો શોધવામાં અને તેને સુધારવામાં મદદ કરશે. અને તેથી તમને ફરીવાર એવી કોશિશ કરવાનું મન થશે. કોઈ કોઈ વાર એવું પણ બને કે તમારા મનની સ્થિતિ સામાન્ય ન થાય. જો તમારા મનની સ્થિતિ સામાન્ય ન થાય તો તમારે બીજો વિકલ્પ વિચારવો જોઈએ કે જેમાં તમારે તમારા મનને થોડો આરામ આપવો જોઈએ અને તેને તાજુંમાજું (ફ્રેશ) કરવું જોઈએ. આમ કરવું બહુ જ જરૂરી છે.

આરામ કર્યા પછી તમે જયારે જાગો છો ત્યારે તમારું મન ફ્રેશ (તાજાં) થઇ ગયું હોય છે, પણ તેમ છતાં યે જો તમે હતાશા અનુભવતા હો તો બીજો ઝડપી ઉપાય મનને કોઈ મનોરંજન કાર્યક્રમ તરફ વાળવું એ છે. તેમાં નૃત્ય કરવા કે ટીવી જોવા જેવી પ્રવૃત્તિ કરી શકાય અને મનોરંજન મળવાથી તે હળવું પણ બને અને તમારું કામ સરળ બને. એ માટે તમારે એ કાર્યમાં ઓતપ્રોત થઇ જવાનું છે. તમે તમને ગમતી રમતગમતમાં પણ ભાગ લઇ શકો.

આટલું કર્યા પછી પણ જો તમે પોતાને મુશ્કેલીમાં છો એવું અનુભવતા હો તો છેલ્લો ઉપાય  એ છે કે તમારા હિતેચ્છુ મિત્ર કે સલાહકારને મળો. જયારે તમે તેની પાસે જઈને તેને તમારી પરિસ્થિતિ વિષે જણાવશો ત્યારે તમને સમજાશે કે બીજા લોકોની સરખામણીમાં તમારી મુશ્કેલી તો સાવ નાની છે અને જયારે તમે તમારી મુશ્કેલીને બીજાની નજરે જોશો ત્યારે તમને સમજાશે કે તમારામાં ઉત્સાહનો જે અભાવ છે એ તમારી મુશ્કેલીને કારણે નથી પણ તમારા વિચારો જ તમારા ઉત્સાહને અવરોધે છે. એટલે કે જયારે તમે તમારા મિત્ર પાસેથી એ જાણો છો અને તમને એ હકીકત સમજાય છે કે જીવનમાં બધું જ શક્ય છે. પણ તમારી માન્યતાઓ અને નકારાત્મક વિચારો જ તમને ઉત્સાહિત થતાં અટકાવે છે. જયારે તમે તમારા મનને હકારાત્મક વિચારો તરફ વાળો છો ત્યારે તમને સમજાય છે કે તમારાં જીવનમાં જે કાંઈ છે તે તમારા મન દ્વારા જ સર્જાયું છે. અને તમારા મનની જે અમાપ શક્તિ છે એ શક્તિને તમે પોતે જ મુક્ત કરી શકો.

હાર્દિક કલ્પદેવ પંડયા