આરોગ્યમ ધન સંપદા…

આપણું આરોગ્ય જ આપણી સાચી સંપત્તિ છે. જેનું આરોગ્ય સારું તેનું આખું જીવન તહેવાર થઇ જાય છે. સ્વાસ્થયનો મતલબ માત્ર શારીરિક રીતે સ્વસ્થ બનવું નથી, પણ માનસિક રીતે પણ સ્વસ્થ થવું જરૂરી છે. કારણ કે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય કે ન હોય જો માનસિક રીતે જો તે સ્વસ્થ હશે તો પોતાની શારીરિક બીમારીને પણ સારી કરી શકશે. અને એ વાત તો તબીબી વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જો મનોબળ મજબુત રાખીએ તો ગંભીરથી ગંભીર બીમારી પણ દુર કરી શકાય છે.

મનની તંદુરસ્તી માટે સકારાત્મક વિચારો કરો અને અને આ સકારાત્મક વિચારોનું ઉદ્ગમ બિંદુ એટલે સકારાત્મક વાંચન… હા વાંચન અને એ પણ સકારાત્મક વાંચન એ સૌથી ઉત્તમ ઉપાય છે વિચારોમાં સકારાત્મકતા લાવવા માટે… આ વિચારોની સકારાત્મકતા આપણા દ્રષ્ટિકોણમાં પણ બદલાવ લાવે છે. અને આપણા દ્રષ્ટિકોણને બદલીને જ તો આપણે દુનિયા બદલી શકીએ છીએ… તો આપાણી સ્વાસ્થયની પરિસ્થિતિ શા માટે નાં બદલાય?

મનની તંદુરસ્તી માટે એક ઉત્તમ ઉપાય એ પણ છે કે આપણી અંદર એક બાળક આજીવન જીવતો રાખવો જોઈએ. હા, એક બાળક જ છે જે મનથી હંમેશા ખુશ રહે છે. કોઈ પણ જાતની ચિંતા વિના જીવનને તહેવારની જેમ માણે છે. અને એટલે જ બાળકોમાં સ્ફૂર્તિ અને જોશ વધુ હોય છે. જે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. માટે અંતરમનમાં હંમેશા એક બાળકને જીવંત રાખો… આજીવન નીરોગી રહી શકશો. બાળકોની રમતો રમો, બાળકોની જેમ નિખાલસ બની કોઈપણ શિસ્તનો વિચાર કાર્ય વિના થોડો સમય ધમાલ મસ્તી માટે કાઢો. મનની તંદુરસ્તી માટે આ પણ એક ઉત્તમ ઉપાય છે.

ચાલો આ મનની તંદુરસ્તીના તો કેટલાક ઉપાય તમને આપ્યા. પણ એ સાથે જો તન પણ તંદુરસ્ત રહે તો કેટલું સારું, નહિ? અરે તમે ચોક્કસ કહેશો એ તો સોને પે સુહાગા જેવું…. બરાબર ને.. તો ચાલો વાત કરીએ હવે તનની તંદુરસ્તી માટે…

તનની તંદુરસ્તી માટે રોજ સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછું અડધો કલાક કસરત, યોગ વગેરેને આપવો. રોજ ઓછામાં ઓછું આઠથી દસ આંટા મારવા, પ્રાણાયામ, અનુલોમ-વિલોમ વગેરે કરવું. બીજું કંઈ નહિ તોય જો સૂર્ય નમસ્કાર એકવાર કરવામાં આવે તો પણ એક ઉત્તમ ઉર્જા આપણી અંદર ઉદ્ભવી શકે છે. કારણ કે આપ સૌ એ તો જાણો અને માનો જ છો કે સૂર્ય એટલે ઉર્જાનો ઉત્તમ સ્રોત.. અને હા, આ તનની તંદુરસ્તીમાં ખોરાકનો પણ એટલો જ મહત્વનો ફાળો છે હોં.. આ આજના આધુનિક સમયમાં જયારે ફાસ્ટ ફૂડ જોરમાં છે ત્યારે તનની તંદુરસ્તી બગડવાનું એક મુહ્ય કારણ આપનો ખોરાક પણ છે. માટે સાત્વિક અને પૌષ્ટિક ખોરાક તો ખરો જ…

તો ચાલો આજે ખુબ જ નાની અમથી પણ મહત્વની વાત કરી “આરોગ્યમ ધન સંપદા” જો કે આ વિષય પર તજજ્ઞો તો આખેઆખા પુસ્તકો લખી ચુક્યા છે.. ને હું પણ માનું છું કે આ વિષય પર એક આખો ગ્રંથ લખી શકાય એમ છે.. પણ આ નાની નાની વાતો પણ જો ધ્યાનમાં લેવાય તો પણ તન અને મનની તંદુરસ્તી જાળવી રાખી શકાય.. માટે બસ એટલું જ કહીશ..

સ્વસ્થ રહો… સુખી રહો… સમૃદ્ધિને વરો…

હાર્દિક કલ્પ્દેવ પંડ્યા

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.

સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.

ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ

અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા