આપણું આરોગ્ય જ આપણી સાચી સંપત્તિ છે. જેનું આરોગ્ય સારું તેનું આખું જીવન તહેવાર થઇ જાય છે. સ્વાસ્થયનો મતલબ માત્ર શારીરિક રીતે સ્વસ્થ બનવું નથી, પણ માનસિક રીતે પણ સ્વસ્થ થવું જરૂરી છે. કારણ કે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય કે ન હોય જો માનસિક રીતે જો તે સ્વસ્થ હશે તો પોતાની શારીરિક બીમારીને પણ સારી કરી શકશે. અને એ વાત તો તબીબી વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જો મનોબળ મજબુત રાખીએ તો ગંભીરથી ગંભીર બીમારી પણ દુર કરી શકાય છે.
મનની તંદુરસ્તી માટે સકારાત્મક વિચારો કરો અને અને આ સકારાત્મક વિચારોનું ઉદ્ગમ બિંદુ એટલે સકારાત્મક વાંચન… હા વાંચન અને એ પણ સકારાત્મક વાંચન એ સૌથી ઉત્તમ ઉપાય છે વિચારોમાં સકારાત્મકતા લાવવા માટે… આ વિચારોની સકારાત્મકતા આપણા દ્રષ્ટિકોણમાં પણ બદલાવ લાવે છે. અને આપણા દ્રષ્ટિકોણને બદલીને જ તો આપણે દુનિયા બદલી શકીએ છીએ… તો આપાણી સ્વાસ્થયની પરિસ્થિતિ શા માટે નાં બદલાય?
મનની તંદુરસ્તી માટે એક ઉત્તમ ઉપાય એ પણ છે કે આપણી અંદર એક બાળક આજીવન જીવતો રાખવો જોઈએ. હા, એક બાળક જ છે જે મનથી હંમેશા ખુશ રહે છે. કોઈ પણ જાતની ચિંતા વિના જીવનને તહેવારની જેમ માણે છે. અને એટલે જ બાળકોમાં સ્ફૂર્તિ અને જોશ વધુ હોય છે. જે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. માટે અંતરમનમાં હંમેશા એક બાળકને જીવંત રાખો… આજીવન નીરોગી રહી શકશો. બાળકોની રમતો રમો, બાળકોની જેમ નિખાલસ બની કોઈપણ શિસ્તનો વિચાર કાર્ય વિના થોડો સમય ધમાલ મસ્તી માટે કાઢો. મનની તંદુરસ્તી માટે આ પણ એક ઉત્તમ ઉપાય છે.
ચાલો આ મનની તંદુરસ્તીના તો કેટલાક ઉપાય તમને આપ્યા. પણ એ સાથે જો તન પણ તંદુરસ્ત રહે તો કેટલું સારું, નહિ? અરે તમે ચોક્કસ કહેશો એ તો સોને પે સુહાગા જેવું…. બરાબર ને.. તો ચાલો વાત કરીએ હવે તનની તંદુરસ્તી માટે…
તનની તંદુરસ્તી માટે રોજ સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછું અડધો કલાક કસરત, યોગ વગેરેને આપવો. રોજ ઓછામાં ઓછું આઠથી દસ આંટા મારવા, પ્રાણાયામ, અનુલોમ-વિલોમ વગેરે કરવું. બીજું કંઈ નહિ તોય જો સૂર્ય નમસ્કાર એકવાર કરવામાં આવે તો પણ એક ઉત્તમ ઉર્જા આપણી અંદર ઉદ્ભવી શકે છે. કારણ કે આપ સૌ એ તો જાણો અને માનો જ છો કે સૂર્ય એટલે ઉર્જાનો ઉત્તમ સ્રોત.. અને હા, આ તનની તંદુરસ્તીમાં ખોરાકનો પણ એટલો જ મહત્વનો ફાળો છે હોં.. આ આજના આધુનિક સમયમાં જયારે ફાસ્ટ ફૂડ જોરમાં છે ત્યારે તનની તંદુરસ્તી બગડવાનું એક મુહ્ય કારણ આપનો ખોરાક પણ છે. માટે સાત્વિક અને પૌષ્ટિક ખોરાક તો ખરો જ…
તો ચાલો આજે ખુબ જ નાની અમથી પણ મહત્વની વાત કરી “આરોગ્યમ ધન સંપદા” જો કે આ વિષય પર તજજ્ઞો તો આખેઆખા પુસ્તકો લખી ચુક્યા છે.. ને હું પણ માનું છું કે આ વિષય પર એક આખો ગ્રંથ લખી શકાય એમ છે.. પણ આ નાની નાની વાતો પણ જો ધ્યાનમાં લેવાય તો પણ તન અને મનની તંદુરસ્તી જાળવી રાખી શકાય.. માટે બસ એટલું જ કહીશ..
સ્વસ્થ રહો… સુખી રહો… સમૃદ્ધિને વરો…
હાર્દિક કલ્પ્દેવ પંડ્યા