મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ… સ્વતંત્રતા દિન… આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે દેશની સેવા કરવાનું વિચાર્યું છે ખરું? દેશની સેવા કરવી એટલે કંઈ દેશની સીમા પર જઈ સુરક્ષામાં તૈનાત થવાની જરૂર નથી. દેશ પ્રત્યેની આપણી અમુક મૂળભૂત ફરજો અને જવાબદારીને નિષ્ઠા પૂર્વક નિભાવીએ એ પણ દેશની સેવા જ છે.

ચાલો જાગ્યા ત્યારથી સવાર કહેવતને સાચી પાડી આજથી જાગી જઈએ અને કંઈક નવું વિચારીએ… આપણાં મહાન ભારત દેશને એક નવો દૃષ્ટિકોણ આપીએ.

આ હડતાળ, દંગા, ફસાદના નામે કામ રોકી સાર્વજનિક જગ્યાએ તોડફોડ અને ધમાલ કરી જે વિરોધ નોંધાવી છીએ શું એની ખરેખર જરૂર છે ખરી? જો વિરોધ કરવો જ હોય તો કંઈક ક્રિએટિવ રીતે ન કરી શકાય…

જેમ કે… થોડા સમય પહેલાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફના હડતાળના સમાચાર મળ્યા હતા. એ વખતે કેટલાય દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હડતાળના નામે ઈલાજ રોકવાની જગ્યાએ એ જ ડૉક્ટરો હોસ્પિટલના ખર્ચે દર્દીઓ પાસેથી પૈસા લીધા વગર સારવાર કરે તો? ખર્ચો વધશે પણ કમાણી નહીં થાય તો હોસ્પિટલ મેનેજમેન્ટ ડોકટોરોની વાત માની જ લેશે ને. અને દર્દીઓ પણ સચવાઈ જશે. દર્દીઓના અને તેમના સગાસંબંધીઓના આશિષ મળશે એ તો પાછું બોનસ… કહો શું આ રસ્તો ખોટો છે કે સાચો??

ફેક્ટરી વર્કર અને નોકરિયાતો પણ પગાર વધારા માટે હડતાળ કરે છે. પણ વિચરતા નથી કે નુકસાન કેટલું થાય છે. પોતાના જ ઘરમાં પૈસાની ખેંચ જે પહેલાથી હતી એ વધે… માનસિક તાણ વધે… મજૂર કક્ષાના છોકરાછૈયાં તો બિચારા ભૂખ્યા મરે… પણ હવે જો વિરોધનાં નામે એવું કરે કે ડબલ ટ્રીપલ પ્રોડક્શન/માર્કેટિંગ વધારી દે તો ફેક્ટરી/કંપની માલિકોને માલ/સેવા વેચવામાં નાકે દમ આવી જાય તો બોલો શું એ તમારી માંગ પૂરી ન કરે??

હવે વાત કરીએ ફિલ્મોની… તો પી.કે.થી લઈને ઓહ માય ગોડ ને એવી કેટલીયે ફિલ્મોના વિરોધ અને વિરોધના નામે તોડફોડ, દંગા એનો તો જાણે ટ્રેન્ડ છે. શું આપણી શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક ભાવના એટલી ખોખલી છે કે ફિલ્મના એક નાનકડા દૃશ્ય કે ડાયલોગ દ્વારા એ આહત થઈ જાય?? ફિલ્મ જોવી, ન જોવી એ આપનો અંગત વિષય છે આપણે ન જોવી હોય તો ન જોઈએ.. વધુમાં વધુ આપણાં પ્રિયજનો અને ઓળખીતાને આગ્રહ કરીએ કે એ પણ ન જૂએ. અને એમને કહીએ કે એ એમના ઓળખીતાઓને ના પાડે.. આમ શાંતિ પૂર્વક વિરોધ ન કરી શકાય? ફિલ્મ બનાવવી એ પ્રોડ્યુસર, ડાઈરેકક્ટરનું કામ છે. એ પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા આ કામ કરે છે. અને સાથે જ કેટકેટલા નાનામોટા કર્મચારીઓનું પેટ પાળે છે. ફિલ્મો એ આપણાં સમાજનું જ એક દર્પણ છે પણ એ દર્પણ બતાવવામાં જો એ કોઈ ભૂલ કરતાં હોય તો ભૂલ બતાવો પણ શાંતિથી… કોઈ ફિલ્મ જોવા જશે જ નહીં તો ૨-૪ દિવસમાં ફિલ્મ ઉતરી જશે. પેલા ડાઈરેકક્ટરને પણ સમજાઈ જશે કે એની ફિલ્મમાં કંઈક ખોટું હશે એટલે જ ફિલ્મ ન ચાલી… કિસ્સો પૂરો. એમાં બસો અને બાઈકો બાળવાની ને લોકોના હાડકાં તોડવાની, હુલ્લડો કરવાની શું જરૂર છે?

આ બધાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે ટ્રાફિક નિયમોને પણ તાક પર મૂકી દઈને વાહન ચલાવીએ છીએ. શું એ ખોટું નથી?? આપણાં પોતાના માટે જ જોખમી નથી? આ ટ્રાફિકના નિયમો પાળી “દુર્ઘટના કરતાં દેરી ભલી” કહેવતને માની ન શકીએ?? આપણાં અને બીજાના પણ જીવનું રક્ષણ આ નિયમ પાલનથી કરીએ તો એ પણ દેશ સેવા જ છે ને???

એમ જ કાર, સ્કુટર વગેરે વાહનોની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાહનોમાં ઈન-બીલ્ટ સ્પુટમ ટેન્ક અને ડસ્ટબીન મૂકે તો કેવું? પબ્લિક પણ એનો આગ્રહપૂર્વક ઉપયોગ કરે તો કેટલું સરસ? આ તૈયાર નાસ્તાના પેકેટ બનાવતી કંપનીઓ એવી ઑફર કાઢે કે ખાલી પેકેટ પાછા આપો અને ૫૦% પૈસા પાછા મેળવો. ૧૦૱. નું એક પેકેટ(ખાલી) દુકાન પર પાછું આપો તો ૫૱ પરત મેળવો અને ૫ ૱ વાળું પેકેટ આપો તો ૨ ૱ પરત… બોલો કોઈ કચરો બહાર ફેંકી દે.? ખીસ્સામાં ભરી રાખે ને.. ખરું કે ખોટું?? દેશમાં સ્વચ્છતા લાવવાનો આ રસ્તો ન અપનાવી શકીએ આપણે??

પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવીએ. દેશમાં પ્રદૂષણ થતું અટકાવવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. કાપડની થેલી માટે કપાસનું ઉત્પાદન વધારીએ.. તમાકુની ખેતી કરવાની જગ્યાએ વરિયાળીની ખેતી કરીએ.. તમાકુની પ્રોડક્ટ જો બે ૱ એ વેચાતી હોય તો વરિયાળીના પેકેટ પાંચ ૱ માં વેચીએ. એલ્કોહોલિક પ્રોડક્ટની જગ્યાએ દુધ, છાશ, ને જ્યુસની ફેક્ટરી નાખીએ. ભલે એ દુધ, છાશ દસને બદલે ત્રીસમાં વેચીએ.. કમ સે કમ ભારતની યુવા શક્તિ વ્યસનથી તો મુક્ત રહેશે. આપણાં દેશનો યુવા, વૃદ્ધ, તરુણ વ્યાસંમુક્ત થશે તો સ્વસ્થ રહેશે. લાંબુ જીવશે. કર્મઠ બની કામ કરશે અને પોતાના પરિવારની સમૃદ્ધિની સાથે દેશમાં પ્રગતિ લાવવામાં પણ યોગદાન આપી શકશે. ચાલો આવા નાનામોટા સુધારા આપણી જાતે લાવી બને એટલું આપણે દેશને સુધારવામાં, દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવામાં યોગદાન આપીએ. અને આ સ્વતંત્રતાના પર્વને એક અનોખી રીતે ઉજવીએ. આખું વર્ષ ઉજવીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના… જરાય નહીં.

આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો વાત. અને આ ડરને દૂર કરવા અને પરીક્ષાથી બચવા આપઘાત જેવા ખોટા રસ્તે ચાલી નીકળે છે. જે ખરેખર ખોટું છે. મિત્રો, પરીક્ષા એ આપણને ડરાવવા કે હેરાન કરવા માટે નથી, બલ્કે આ પરીક્ષા એ આપના સર્વાંગી વિકાસ માટે અને આપની લાયકાતને પારખવા અને વધારવા માટેની પગદંડી છે. જેને પાર કરી આપણે સફળતાના મુકામે પહોંચીએ છીએ. માટે ક્યારેય પરીક્ષાથી ગભરાવું જોઈએ નહીં. બલ્કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત કરવી જોઈએ અને પોતાની મહેનત ઉપર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

જો કે હા, આવા પ્રેરક લેખ, પ્રેરક વકતાવ્યો માત્ર પ્રેરણા પૂરી પાડી શકે છે, બાકી આત્મવિશ્વાસ સૌએ પોતાની અંદરથી જાતે જ જગાવવો પડે. અંદરથી આત્મવિશ્વાસ ન જાગે ત્યાં સુધી કંઈ જ શક્ય નથી. માટે આત્મવિશ્વાસ કેળવો અને સાચા રસ્તે મહેનત કરવા કટિબદ્ધ રહો. કારણ કે મહેનત વગર કંઈ જ મળતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ મહેનત કરવા તૈયાર જ નથી હોતો, એને મહેનત વિના જ ઘણું બધુ મેળવવું હોય છે, અને એ નિષ્ક્રિય બેસી રહે છે. અને પરીક્ષાની ઘડીએ આ આળસ જ ભયને જન્મ આપે છે. માટે એ પણ કહીશ કે ક્યારેય મહેનત કરવામાં આળસ કરવી જોઈએ નહીં. કારણ કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત એ જ સફળતાની ચાવી છે, જેનો કોઈ ટૂંકો રસ્તો નથી.

આજે વાત કરીએ ધોરણ દસ અને બારમાં ભણી રહેલા અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે, અને સાથે જ બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા મિત્રો માટે…! થોડા ઘણા સૂચનો અને ઉપાયો કે જે આ કહેવાતા પરીક્ષાના ભયને દૂર કરવામાં મદદ કરી શકે છે. પણ હા એક વાત યાદ રાખજો મિત્રો આ બધા જ ઉપાય કે સૂચન ત્યારે જ કામ લાગે છે જ્યારે આપણને પોતાને એના ઉપર વિશ્વાસ હોય. એ વગર એ સૂચનોનો કોઈ મતલબ નથી. માટે વિશ્વાસ કેળવી આ સૂચનોનું અનુસરણ કરજો.

વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું એમ કહીશ કે મમ્મી-પપ્પા, ગુરૂજનો અને વડીલો તમારા ઉપર જે અપેક્ષા રાખે છે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવો. માટે એ અપેક્ષાઓ પ્રત્યે જે ભય મનમાં હોય એને કાઢી નાખો. અને વિશ્વાસ રાખો કે તમે એ અપેક્ષાઓને પૂરી કરવા સક્ષમ છો એટલે જ તમારા વડીલો અને ગુરૂજનો આપેક્ષા રાખી રહ્યા છે. હવે જ્ઞાન મેળવવાનો સૌથી ઉત્તમ ઉપાય એટલે વાંચન. થોડું થોડું કરીને પણ રોજ વાંચન ચાલુ રાખવું જોઈએ. અરીસા સામે ઊભા રહી મોટા અવાજે વાંચવું જોઈએ. અને આ વાંચન દ્વારા મેળવેલું જ્ઞાન સ્થાયી રૂપે યાદ રાખવું હોય તો એને લખવાનું રાખવું જોઈએ. પરીક્ષાની તૈયારી માત્ર પરીક્ષા આવે ત્યારે નહીં પણ આખું વર્ષ મહેનત કરો. વાંચન અને લેખન દ્વારા જ્ઞાનનું સિંચન પોતાના મગજમાં કરો. રોજ સવારના ત્રણથી ચાર કલાક વાંચન માટે ફાળવો. સવારનો સમય ખૂબ જ લાભદાયી રહે છે, કારણ કે આપણું મન એ ખૂબ અતિક્રિયાશીલ હોય છે, અતિ ચંચલ હોય છે, અને એટલે જ વિચારોનો વંટોળ આપણી એકાગ્રતાને ભંગ કરી શકે છે, રાત્રિના આઠ કલાકના આરામ બાદ જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા મન મગજમાં વિચારોના વંટોળની ગતિ મંદ હોય છે જેને નિયંત્રિત કરી આપણે મનને વાંચનમાં એકાગ્ર કરી શકીએ છીએ. અને એકાગ્રતા પૂર્વક કરેલું કોઈ પણ કામ સફળ જ નીવડે… પછી એ વાંચન જ કેમ ના હોય…! સવાર સવારમાં વાંચન અને લેખન કરેલું જલ્દી યાદ રહી જાય છે. આ સિવાય શાળા અને ટ્યુશન ક્લાસમાં ગંભીરતા પૂર્વક ધ્યાન આપો. વિષયોને માત્ર રટો નહીં. શબ્દે શબ્દ સમજીને વાંચો, લખો. જો સમજીને વાંચશો અને લખવાની પ્રેક્ટિસ રાખશો તો ચોક્કસ યાદ રહી જશે અને ક્યારેય ભૂલી નહીં જવાય. વાંચન અને લેખન માટે સમય પત્રક બનાવવું જોઈએ. અને શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરી ભણવું જોઈએ. જ્યારે પણ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા બેસો ત્યારે આપણાં મગજમાં એકમાત્ર વિષય, અભ્યાસક્રમ, અને પ્રશ્નપત્ર હોવું જોઈએ. એ સિવાય કોઈપણ પ્રકારના પાસ, નાપાસ, સફળ, અસફળ વગેરે જેવા વિચારો મનમાં આવવા જોઈએ નહીં. બસ આત્મવિશ્વાસ પોતાના ઉપર અને શ્રદ્ધા ભગવાન ઉપર રાખી પ્રશ્નપત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષા આપવી.

આ સાથે એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુની અતિ હંમેશા નુકસાનકારક જ હોય છે. માટે ક્યારેય પુસ્તકિયા કીડા બનવા પ્રયત્ન ન કરવો. ભણતર, વાંચન અને લેખનની સાથે પોતાના મગજને આરામ અને મનોરંજન થકી રિફ્રેશ રાખવું પણ જરૂરી છે. તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દિવસમાં છ કલાકની ઊંઘ અને બે-ચાર કલાકની મનોરંજક પ્રવૃતિને પણ ભણતરની સાથે સ્થાન આપવું જોઈએ. સંગીત સાંભળવું, વાર્તા કે નવલકથાના પુસ્તક વાંચવા, થોડુઘણું ટીવી જોવું અથવા થોડીવાર બગીચામાં ફરવું, મિત્રો સાથે મજાક મસ્તી કરવી, પોતાની મનગમતી રમત રમવી. આમ મગજને સ્ફૂર્તિલૂ અને તરોતાજા રાખવા માટે પણ સમય ફાળવવો જોઈએ. જેથી આપણો સર્વાંગી વિકાસ સુદૃઢ રીતે થાય.

ચાલો આ સાથે સૌ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ…! અને જીવનની પરીક્ષા આપી રહેલા સૌ લોકોને પણ સકારાત્મક રહી બસ આવેલ પરીક્ષાને માણવા અને ભગવાન પર શ્રદ્ધા રાખી નિષ્ઠા પૂર્વક મહેનતથી પરીક્ષા પાર કરવી… સફળતાના રૂપમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય પણ મળશે જ.

હાર્દિક કલ્પદેવ પંડયા

નસીબ એટલે વળી શું??

આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.” કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે?

દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ “નસીબ” શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી છે. દરેક માણસ પોતાના જીવનકાળમાં અનેક ઘટનાઓમાંથી પસાર થાય છે, જન્મ, બાળપણ, શાળાજીવન, મિત્રમંડળ, જીવનસાથી, નોકરી-ધંધો, અને પછી પોતાના બાળકો… અને આમ જ જીવનકાળ અવિરત ચાલ્યા કરે છે.  અને આ બધી જ ઘટનાઓ દરમિયાન જે શબ્દ સૌથી વધારે આપણે સાંભળીએ છીએ તે છે “નસીબ”…

દોસ્તો, આ “નસીબ” એટલે આપણાં ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે આપણાં જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી હોતી. બસ એ ઘટના ઘટે છે અને એને આપણે માત્ર સ્વીકારવાની હોય છે. સ્વીકારવી જ પડે છે… જેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું. બસ આને કહેવાય “નસીબ”. પણ હા હોં! આ “નસીબ”ને આપણાં નિયંત્રણમાં લાવવું એટલું અઘરું પણ નથી જ. બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખી આગળ વધીએ અને સકારાત્મક્તા પૂર્વક સાચા રસ્તે સખત મહેનત કરીએ. બસ પછી જુઓ આપણું નસીબ કેવું બદલાય છે અને આપણી ઇચ્છા મુજબના પરિણામ આવે છે.

“જે છે, તે છે” બસ આ સ્વીકારી આગળ વધીશું તો ભયમુક્ત જીવન જીવી શકીશું. જે “નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે.” આ વાત સમજી ગયા એ સૌ સફળતા તરફ એક ડગલું આગળ વધી ગયા. કારણ કે તેમના જીવનમાં કોઈ પણ તકલીફો આવશે તોય એ ડગી નહીં જાય પણ “આ તો ભગવાન તરફથી થતી મારી પરીક્ષા છે. મને કંઈક સરસ પરિણામ આપવા માટે.” એમ કહી એ તકલીફ સામે લડી જશે. અને ક્યારેય એને અફસોસ પણ નહીં અનુભવાય, કારણ કે એ જાણે છે કે “મેં જે કર્યું છે એનું જ આ પરિણામ છે.” બસ આપણે પણ આ જ શીખવાનું છે. અને પછી જુઓ જીવન કેવું ખુશખુશાલ થઈ જાય છે.

આ નસીબ એટલે ભગવાન રામનું ચૌદ વર્ષનું વનવાસ, ભગવાન કૃષ્ણનું એક સામાન્ય શિકારી દ્વારા મોત, અને મીરાને ઝેર પીવાની ફરજ પડવી…. અને ઈતિહાસમાં અમર થઈ ગયેલ અનેક મહાનુભાવોના જીવનમાં આવેલ મુશ્કેલીઓ… તો પછી આપણે કોણ વળી?

બસ આટલું યાદ રાખો:

  • જે છે, તે છે…
  • જે થવાનું છે, તે તો થઈને જ રહેશે.
  • બસ એને સ્વીકારીને આગળ વધવું અને જીવનને માણવું.!

સ્વતંત્રતા કોને કહેવાય?

આ સ્વતંત્રતા એટલે શું? આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી.

લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે?

નાના ભૂલકાઓને પૂછશો સ્વતંત્રતા એટલે શું? તો સૌથી પહેલા તો એમને અંગ્રેજીમાં ભાષાંતરીત કરીને પૂછવું પડશે કે “વોટ ઈઝ ફ્રીડમ ફોર યૂ?” અને પછી એમનો જવાબ મળશે. ખેર અત્યારે ભાષાની ચર્ચા રહેવા દઈએ. વાત સ્વતંત્રતાની છે. એ ભૂલકાઓ કહેશે કે આખો દિવસ રમવાની અને ટીવી જોવાની વિના કોઈ રોકટોક પરવાનગી એટલે સ્વતંત્રતા… ભાઈ હવે આ અબોધ ઉંમરે તો આ જ માંગ હોય ને એમની… એય ખોટા તો નથી જ. અત્યારે લોકો છોકરાઓને હજી તો સરખું બોલતા પણ ના આવડતું હોય ને શાળાના બોઝા તળે મૂકી દે છે. શું કામ? તો જવાબ હોય આ દુનિયાની ભાગદોડમાં પોતાને સક્ષમ બનાવતા શીખે. માં-બાપથી છૂટો થાય. સ્વાવલંબી બને. અરે એમ કહોને કે બે-ચાર કલાક તમનેય એમના અબોધ નખરાં ઉઠાવવાથી છુટકારો(સ્વતંત્રતા) મળે.

કિશોરાવસ્થામાં તાજેતરમાં પ્રવેશેલા બાળકોને પુછો તો કહેશે અમને મન મરજી મુજબ ઘરની બહાર ફરવા મળે, શું કરીએ છીએ કોની સાથે ફરીએ છીએ, શું વાતો કરીએ છીએ એ પૂછતાછ ના થવી જોઈએ એ સ્વતંત્રતા. સાચે આ ઉંમરે જ્યારે બાળકોને માતપિતા કરતાં મિત્રોની વધુ જરૂર હોય છે ત્યારે મા-બાપનું માતપિતાપણું  બાળકોના મનમસ્તિસ્ક પર હાવી થવા તૈયાર જ બેઠું હોય છે. આ ખોટું છે એ જાણતાં હોવા છતાં…. ત્યારે સ્વતંત્રતાની વ્યાખ્યા તો આવી જ હોવાની ને?

યુવા વર્ગ… આ યુવાનીમાં સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેનો ફરક કરવાની સમજશક્તિ કેળવાયેલી નથી હોતી અને એ સમયે મા-બાપ નહીં પણ સાચા માર્ગદર્શકની જરૂર હોય છે જે સંતાનને તેમની જ ભાષામાં ફરક સમજાવે અને એ પ્રમાણે વર્તવાની સમજ આપે. અહીં પણ મા-બાપ સમાજની શરમના નામે, પોતાના સ્ટેટસના નામે સંતાનો પર પોતાનું માતપિતાપણું થોપે છે અને છેવટે સ્વતંત્રતાનો મતલબ પરિપક્વતાથી સમજવાની જગ્યાએ સ્વછંદતા સંતાનના મન અને મગજ પર વર્ચસ્વ પાડી દે છે. અને એમના જ પતનને  નોતરે છે. અહીં ભૂલ સંતાનોની નથી જ કે તેઓ ખોટા રસ્તે વળ્યા. ભૂલ છે માતપિતા અને વડીલોની… આ કટુસત્ય નિખાલસતા અને સકારાત્મકપણે સ્વીકારવું જ રહ્યું.

વૃદ્ધાવસ્થાનો સમય… આ એક એવો સમય છે જ્યારે વ્યક્તિનું મગજ પરિપક્વતા વાળું અને હૃદય અબોધ બાળક સમું હોય છે. આ સમયે વ્યક્તિ બીજું કશું જ ઇચ્છતી નથી હોતી સિવાય પ્રેમ, સ્નેહ અને માન-સન્માન… પણ યુવાપેઢી કે જેને સ્વચ્છંદતાની આદત પડી ગઈ છે એ વડીલોને પ્રેમ અને સ્નેહ તો ઠીક માન પણ આપવામાં માનતી નથી. બસ “તમને ખબર ના પડે..” “તમે જુનવાણી લોકો…” અને આવા જ કેટલાય હૃદયને વીંધી નાખે એવા શબ્દોથી અપમાન કરી દે છે. તેમની કોઈ પણ દલીલ આ યુવા વર્ગને ખોટી જ લાગે છે. અને છેવટે આ વડીલોની સ્વતંત્રતાનું કરૂણ મોત થાય છે.

હવે ખરેખર સ્વતંત્રતા એટલે શું?

દોસ્તો, પોતાની બધી જ ફરજોને ઈમાનદારી પૂર્વક નિભાવીને સ્વજનોની ઇચ્છા અને ભાવનાનું સન્માન કરી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સર્વાંગી સંમતિ પૂર્વક પરવાનગી મેળવવી અને ઈચ્છુક જીવન જીવવું એટલે સાચી સ્વતંત્રતા. સ્વતંત્રતા એમ જ નથી મળતી. સ્વતંત્રતા એક રીતે હકનું જ બીજું નામ છે. અને તમને ખબર જ હશે કે હક પોતાની સાથે ફરજ લઈને આવે છે. એ જો ના નિભાવી શકો તો તમને તમારા હકો પર અધિકાર બતાવવાનો પણ અધિકાર નથી.

બાળકો મા-બાપને સન્માન આપે એમની વાત માની તેઓ જે કહે છે એ એમના સારા માટે જ કહે છે એ વિશ્વાસ રાખી માં-બાપના કહ્યા મુજબ વર્તવાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો એમની ઇચ્છાને મા-બાપ પૂરી કરી એમને સ્વતંત્રતાનો અહેસાસ કરાવશે. જો યુવાવર્ગ નાનામાં નાની વાત માતાપિતા સાથે સાઝા કરશે અને એમના મંતવ્યોને ધ્યાનમાં લેવાની તૈયારી બતાવશે તો કોઈ પણ રોકટોક અને પૂછતાછ વગર મા-બાપ પણ તેમને બધા જ પ્રકારની છૂટ(સ્વતંત્રતા) આપશે. જો માં-બાપ પણ બાળકોના મિત્ર બની એમના સલાહકાર બનવાની જગ્યાએ માર્ગદર્શક બનશે તો સંતાન પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ફરક કરતાં આસાનીથી શીખશે. યાદ રાખો સલાહ આપનાર અને લેનાર બેય એમ જ વિચારે છે કે એ બીજા માટે છે. એટલે યુવાન સંતાનના સલાહકાર બનવા કરતાં માર્ગદર્શક બનો. અને છેલ્લે વાત વૃદ્ધાવસ્થાની…. જો શિશુહૃદય ધરાવતા વૃદ્ધ મા-બાપની ઇચ્છાઓને માન આપવાની ફરજ સાચા હૃદયથી સંતાનો નિભાવશે તો મા-બાપ પણ તેમની ઇચ્છા અને ભાવનાનું ધ્યાન રાખશે અને સંતાનો તથા મા-બાપ બેય પરસ્પર સ્વતંત્રતાનો અહેસાસ કરશે અને કરાવશે.

દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…

હાર્દિક કલ્પદેવ પંડ્યા