ઉત્સાહિત વ્યક્તિત્વ સફળતાની એક ઉત્તમ ચાવી છે..!

માનવીની રચના કાંઈક એવી રીતે બની છે કે આપણો મૂડ એવો રહે છે કે ક્યારેક તે એકદમ ઉત્સાહિત થઇ જાય છે અને ક્યારેક તે સાવ હતોત્સાહ થઇ જાય છે. આમ થવું સાવ સ્વાભાવિક છે, તે કુદરતી છે. જયારે આપણે કોઈ અણગમતી પરિસ્થિતિ પર અટકી જઈએ છીએ ત્યારે આપણે દુ:ખી થઇ જઈએ છીએ. પણ જયારે આપણે કશુંક સકારાત્મક સાંભળીએ ત્યારે આપણો મૂડ સારો થવા લાગે છે. અને જયારે આપણો મૂડ વધારે સારો હોય ત્યારે આપણે તેને ઉત્સાહ કહીએ છીએ.

જયારે કશુંક નવું, ગમતું હોય તેવું થવાનું હોય ત્યારે આપણો ઉત્સાહ વધે છે પણ જો કોઈ કાર્ય કરવાનો આપણો મૂડ ન હોય ત્યારે આપણો ઉત્સાહ મંદ પડી જાય છે. આનો અર્થ એ થયો કે આપણા મનની સ્થિતિ અને ઉત્સાહનો આધાર આપણી જે તે સમયની પરિસ્થિતિ ઉપર રહેલો હોય છે. જો અવસર આનંદનો હોય તો આપણે ઉત્સાહિત રહી શકીએ છીએ. પરંતુ જો પરિસ્થિતિ હતાશાજનક હોય તો આપણે હતાશ કે દુ:ખી રહીએ છીએ. આપણું રોજિંદું જીવન પણ આ પ્રકારે પરિસ્થિતિ અનુસાર બદલાય છે. પરંતુ શું આપણો ઉત્સાહ આપણી પરિસ્થિતિ ઉપર આધારિત હોવો જોઈએ? વિચારી જુઓ.

  ચાલો આપણે ૨ અલગ પ્રકારના ઉત્સાહને સમજીએ:

  ૧) સકારાત્મક ઉત્સાહ (Positive Excitement)

2) નકારાત્મક ઉત્સાહ (Negative Excitement) 

સકારાત્મક ઉત્સાહ:

આપણે એવી દુનિયામાં રહીએ છીએ જે સમસ્યાઓથી (મુશ્કેલીઓથી) ભરેલી છે. આપણાં કંટાળાજનક જીવનમાંથી બહાર આવવા માટે આપણી પાસે કેવળ એક જ ઉપાય છે અને તે છે આપણો સકારાત્મક ઉત્સાહ, આપણું સકારાત્મક વલણ, દૃષ્ટિ. પણ શું તમે એમ માનો છો કે આ સકારાત્મક ઉત્સાહ આપણી અંદર આપોઆપ, સ્વાભાવિકપણે જાગશે?

કૃપા કરીને એ યાદ રાખો કે આપણાં જીવનમાં આપણો સકારાત્મક ઉત્સાહ જ આપણી મનઃસ્થિતિને સુધારવામાં મદદરૂપ થતો હોય છે.

પણ, જીવનમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે શું આપણે અલગ હોય એવું કાંઈક કરવું જ જોઈએ? આ પ્રશ્નનો જવાબ છે હા, આપણે કાંઈક નવું અને અલગ કરવું જ જોઈએ. અને એવું નવું કાંઈક કરતી વખતે તેની આડે કોઈપણ અવરોધ ન આવવા દેવો જોઈએ. જયારે આપણે કોઈપણ કાર્ય પહેલી વાર કરતા હોઈએ ત્યારે આપણી અંદર એક બહુ જ ખાસ પ્રકારની ઘટના બનતી અનુભવાય છે. આપણે અચાનક હકારાત્મક બની જઈએ છીએ અને કાંઈક નવું કરવા માટે ખૂબ જ ઉત્સાહિત થઇ જઈએ છીએ!

જીવનમાં સકારાત્મક ઉત્સાહ ધરાવવાથી ઘણા ફાયદાઓ મળે છે:

આ જીવંત ઉત્સાહ આપણો વિકાસ કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. પણ ઘણી વાર એવું બને છે કે આવો ઉત્સાહ આપણે સતત જાળવી શકતા નથી. મારી સલાહ છે કે એકવાર તમને ઉત્સાહિત થવા માટેનું ગમતું કારણ મળી જાય તો તે કામ કરવા તરત જ મંડી પડવું જોઈએ. જે શક્ય નહોતી એવી તક પ્રભુએ આપી, તેમ વિચારીને હંમેશાં ખુશ થવું જોઈએ અને તેની કદર કરવી જોઈએ. જયારે આપણે આપણાં કામની કદર કરતાં શીખી જશું તો આપણો ઉત્સાહ શરૂઆત વખતે જેવો હતો તેવો જ અંત સુધી જળવાઈ રહેશે.

જયારે આપણને આપણું કામ બહુ ગમવા લાગશે ત્યારે આપણે તેને વધારે સારું કરવાનો, તેને સુધારવાનો પ્રયત્ન પણ કરવા લાગશું. આપણો એ ઉત્સાહ આપણને સર્જનાત્મક બનાવતો રહેશે અને તેથી આપણી કાર્યક્ષમતા પણ વધતી રહેશે.

જયારે આપણે ખાસ કોઈ પ્રયત્ન કર્યા વગર જ આપણાં કાર્યને સમર્પિત થઇ જશું તો આપણું તે કાર્ય જ અણમોલ ઉપહાર જેવું બની જશે. અને જો આપણે આપણું રોજિંદું કામ પણ એટલા જ ઉત્સાહથી કરતાં રહીશું તો તે આપણો એવો મજબૂત આધાર બની જશે કે જે આપણને રોજબરોજના કાર્યોમાં સતત વ્યસ્ત રાખશે અને પછી તો આપણને આપણી અપેક્ષા કરતાં પણ વધારે સારું કાર્ય કરવા માટે પ્રેરણા મળતી રહેશે!

આપણે આપણાં લક્ષ્યો નક્કી કરીને તેનું આયોજન કરવાની શરૂઆત કરવી જોઈએ. આપણે જે સિદ્ધિઓ મેળવવાની છે તેની યાદી તૈયાર કરવી જોઈએ. અને પછી જોશો કે આપણાં નિર્ધારિત કાર્યમાં આપણને મદદરૂપ થાય તેવા અને આપણે આગળ વધી શકીએ તેવા કેટકેટલા ઉપાયો અને યુક્તિઓ આપણી સામે આવી જાય છે! 

સુપરમેનની જેમ હીરોગીરી કરવાથી આપણને પરમ શક્તિ (સુપર પાવર) મળી જવાની નથી. એવી રીતનું વર્તન કરવાથી આપણી અંદર અલબત, સકારાત્મક જોશ ઉભરાવા લાગે છે. પણ એવી કાલ્પનિક બાબતોમાં રાચીને શેખચલ્લીની જેમ છત પરથી છલાંગ લગાવવાથી ઊડી શકાશે એવું વિચારવું એ ઉત્સાહનો અતિરેક છે.

નકારાત્મક ઉત્સાહ:

જયારે આપણે સકારાત્મક ઉત્સાહ વિશે વાંચીએ ત્યારે તે બિલકુલ સાચું લાગે છે અને તેમાંની અમુક બાબતો આપણાં જીવનમાં બની પણ શકે છે. પરંતુ થોડીક વાતો એવી છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી અંદર સકારાત્મક ઉત્સાહનો અતિરેક આપણી ક્ષમતાથી વધારે પડતો ન થઇ જાય. ઘણી વાર સકારાત્મક ઉત્સાહનો અતિરેક આપણી અંદર અતિ-આત્મવિશ્વાસ લાવી દે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આપણી સમસ્યાઓના    સમાધાન માટે જ ઉત્સાહ ધરાવીએ છીએ. અને આપણો હેતુ તેને લીધે નવી મુશ્કેલી ઊભી કરવાનો નથી.

સામાન્ય રીતે એ વાત આપણને સમજાતી નથી પણ અતિ ઉત્સાહને કારણે આપણે તે વસ્તુની વધુને વધુ ઈચ્છા કરીએ છીએ અને તેના પ્રત્યે લોભ વધતાં તેને માટે આપણે વધારે લોભામણા થઇ જઈએ છીએ. એ લોભ અને લાલચમાં આપણે ઘણીવાર આપણે ન કરવાનું હોય તેવું કાંઇક કરી બેસીએ છીએ. અને આપણે એમ માનીને ખોટો નિર્ણય લઇ બેસીએ છીએ કે ઉત્સાહથી આપણાં જીવનમાં ઈચ્છિત ફેરફાર થઇ જ જશે. પણ અહીં જ આપણે ખોટા પડીએ છીએ.  ઉત્સાહ આપણા માટે ત્યારે જ સાચી રીતે કામ કરે કે જ્યારે આપણને ખાતરી હોય કે તે આપણા માટે સકારાત્મક પ્રતિભાવ અપાવશે.

ઉત્સાહના અતિરેકમાં આપણે બહુ ઉતાવળે પછીનું પગલું ભરીએ છીએ કે જેના માટે આપણી તૈયારી હોતી નથી.

તમારા ઉત્સાહને વધારવાના પગથિયાં        

દરેક માણસે એ સમજી લેવું જોઈએ કે જો તમે મૂડમાં ન હો તો તેને માટે તમે પોતે જ જવાબદાર છો. તમારો મૂડ બદલવા માટે બીજી કોઈપણ વ્યક્તિ તમને  મદદ કરી ન શકે. તમારા નજીકના અને વહાલાં લોકો તમને ખુશ રાખવા માટે પ્રયત્ન જરૂર કરી શકે પણ જો તમે પોતે તમારો મૂડ બદલવા માટે કોઈ પ્રયત્ન ન કરો તો તમે તમારો મૂડ બદલી નહીં શકો. કારણ કે તમે તમારા મનથી દુ:ખી રહેવાનું જ નક્કી કર્યું છે. તમારે તમારા ઉત્સાહને તમારી ઈચ્છા મુજબ જાળવી રાખવાનું શીખવું પડશે. જયારે તમે ગમતું કામ કરવાનું શરુ કરો છો ત્યારે તમારો મૂડ (મનની સ્થિતિ) બદલાય છે. ત્યારે તમે હતાશામાંથી (ડિંપ્રેશન) બહાર આવવાની યાત્રા શરુ કરો છો અને તમે નોર્મલ (સામાન્ય) બનતા જાઓ છો.

જયારે તમે કંઈક કરો ત્યારે તમે ઈચ્છો કે તમે ફરી તમારી સામાન્ય મનઃસ્થિતિ પર પહોંચી જાઓ. મનની આ જે સામાન્ય સ્થિતિ છે તે તમને તમારી ભૂલો શોધવામાં અને તેને સુધારવામાં મદદ કરશે. અને તેથી તમને ફરીવાર એવી કોશિશ કરવાનું મન થશે. કોઈ કોઈ વાર એવું પણ બને કે તમારા મનની સ્થિતિ સામાન્ય ન થાય. જો તમારા મનની સ્થિતિ સામાન્ય ન થાય તો તમારે બીજો વિકલ્પ વિચારવો જોઈએ કે જેમાં તમારે તમારા મનને થોડો આરામ આપવો જોઈએ અને તેને તાજુંમાજું (ફ્રેશ) કરવું જોઈએ. આમ કરવું બહુ જ જરૂરી છે.

આરામ કર્યા પછી તમે જયારે જાગો છો ત્યારે તમારું મન ફ્રેશ (તાજાં) થઇ ગયું હોય છે, પણ તેમ છતાં યે જો તમે હતાશા અનુભવતા હો તો બીજો ઝડપી ઉપાય મનને કોઈ મનોરંજન કાર્યક્રમ તરફ વાળવું એ છે. તેમાં નૃત્ય કરવા કે ટીવી જોવા જેવી પ્રવૃત્તિ કરી શકાય અને મનોરંજન મળવાથી તે હળવું પણ બને અને તમારું કામ સરળ બને. એ માટે તમારે એ કાર્યમાં ઓતપ્રોત થઇ જવાનું છે. તમે તમને ગમતી રમતગમતમાં પણ ભાગ લઇ શકો.

આટલું કર્યા પછી પણ જો તમે પોતાને મુશ્કેલીમાં છો એવું અનુભવતા હો તો છેલ્લો ઉપાય  એ છે કે તમારા હિતેચ્છુ મિત્ર કે સલાહકારને મળો. જયારે તમે તેની પાસે જઈને તેને તમારી પરિસ્થિતિ વિષે જણાવશો ત્યારે તમને સમજાશે કે બીજા લોકોની સરખામણીમાં તમારી મુશ્કેલી તો સાવ નાની છે અને જયારે તમે તમારી મુશ્કેલીને બીજાની નજરે જોશો ત્યારે તમને સમજાશે કે તમારામાં ઉત્સાહનો જે અભાવ છે એ તમારી મુશ્કેલીને કારણે નથી પણ તમારા વિચારો જ તમારા ઉત્સાહને અવરોધે છે. એટલે કે જયારે તમે તમારા મિત્ર પાસેથી એ જાણો છો અને તમને એ હકીકત સમજાય છે કે જીવનમાં બધું જ શક્ય છે. પણ તમારી માન્યતાઓ અને નકારાત્મક વિચારો જ તમને ઉત્સાહિત થતાં અટકાવે છે. જયારે તમે તમારા મનને હકારાત્મક વિચારો તરફ વાળો છો ત્યારે તમને સમજાય છે કે તમારાં જીવનમાં જે કાંઈ છે તે તમારા મન દ્વારા જ સર્જાયું છે. અને તમારા મનની જે અમાપ શક્તિ છે એ શક્તિને તમે પોતે જ મુક્ત કરી શકો.

હાર્દિક કલ્પદેવ પંડયા

કરો સવારની સકારાત્મક શરૂઆત અને બનાવો દિવસ આખો તહેવાર..!!

એવું કહેવાય છે કે જેની સવાર સુધરી એનો આખો દિવસ સુધરી ગયો! પણ કેમ? કારણ કે સવાર એટલે નવા દિવસની શરૂઆત. નવો દિવસ એટલે નવું જીવન અને નવો પ્રારંભ…!!! અને એટલે જ કહેવાય છે કે દિવસની શરૂઆત એટલે કે સવાર સકારાત્મક રીતે થાય અને આનંદ પૂર્વક થાય એ ખૂબ સારું. અને એ માટે આપણે સૌએ કેટલી સકારાત્મક આદતોને કેળવવી જોઈએ. અને આજે એ જ વિષે હું વાત કરવા જઈ રહ્યો છુ.

દિવસની શરૂઆતના પહેલા બે કલાક ઓછામાં ઓછા આ સકારાત્મક પ્રવૃત્તિ માટે ફાળવવા જોઈએ. તો ચાલો જોઈએ એ સકારાત્મક પ્રવૃત્તિ કઈ છે. પહેલા તો ઊઠીને તરત મોબાઇલ અને એવા બીજા આધુનિક ઉપકરણોને હાથમાં લેવાની આદત છોડવી. અને ઉઠ્યા બાદ સીધા જ બીજા કામોમાં લાગ્યા વિના દસ મિનિટ મૌન પાળવું.. આમ તો હું લગભગ એક કલાક ઓછામાં ઓછું મૌન પાળવાની સલાહ આપું છું. પણ શક્ય ન હોય તો પણ દસ મિનિટ તો ચોક્કસ મૌન પાળવું અને એક જગ્યાએ ચૂપચાપ બેસી રહેવું. હા, મનોમન જે ભગવાનને માનતા હોઈએ એમનું નામ જપ કરી શકાય, મંત્રોચ્ચાર કરી શકાય. ત્યાર પછી એક ચિત્ત થઈ ધ્યાન કરવું અને આપણાં અંતરની સફરે નીકળવું. ધ્યાન એટલે આપણાં અંતરમાં વિરાજમાન ભગવાન સાથે વાતો કરવાનો એક સોનેરી અવસર.. જ્યારે આપણે ભગવાન સાથે એકાંતનો સમય ગાળી શકીએ છીએ. અને આપણાં પ્રશ્નોનાં ઉકેલ પણ મેળવી શકીએ છીએ. અને સાચું માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ખરેખર આ ધ્યાન એ મનની શાંતિ અને પ્રફુલ્લિતતા મેળવવા માટે ખૂબ કારગર સાબિત થઈ શકે છે.

ત્યાર બાદ હળવી પણ શરીરને સ્વસ્થ રાખવા જરૂરી એવી કસરતો કરવી. કસરત અને યોગાસન માટે વધુ નહીં તો પણ વીસથી પચ્ચીસ મિનિટનો સમય ફાળવવો જોઈએ. આપણી તન્દુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિની વૃદ્ધિ માટે એ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કસરત અને યોગાસન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે શરીરની એક એક માંસપેશીઓ ખુલી જાય છે, જકડન જેવુ ક્યાંય પણ હોય તો તે નીકળી જાય છે. અને લોહીનું ભ્રમણ આખા શરીરમાં સપ્રમાણ થવા લાગે છે. આ પ્રવૃત્તિ એટલે આપણી અંદર એક ઉર્જાનો સંચાર કરવાનો ઉત્તમ ઉપાય. શરીરની તન્દુરસ્તી માટે જેટલી જરૂરી કસરત છે એટલું જ જરૂરી પ્રાણાયામ પણ છે. પ્રાણાયામ એટલે આપણાં શરીરની બોત્તેર હજાર નાડીઓમાં સપ્રમાણ ઑક્સીજન પહોંચાડવાનો સરસ ઉપાય. આ પ્રાણાયામ દ્વારા આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરી શકીએ છીએ. આમ તો પ્રાણાયામ ઘણા પ્રકારના છે. અને દરેક પ્રાણાયામનું એક આગવું મહત્વ છે. પણ સર્વ સામાન્ય પ્રાણાયામ એટલે અનુલોમ વિલોમ… ઓછામાં ઓછા બાર સાઇકલ આ અનુલોમ વિલોમ કરવાથી આપણાં શરીરની બધી જ નાડીઓમાં સપ્રમાણ ઑક્સીજન પહોંચી શકે છે. અને એ સાથે જ આપણાં શરીરમાં વહેતા લોહીનું શુદ્ધિકરણ ખૂબ જ સરસ રીતે થાય છે.

ત્યાર બાદ આપણે થોડો સમય આપણાં ધ્યેયની પૂર્તિ માટે પણ ફાળવવો જોઈએ. અહીં હું એમ કહીશ કે એક નોટબૂક બનાવવી જોઈએ, જેમાં આપણે રોજ પોતાનો ધ્યેય એટલે કે “GOAL” લખીએ અને પછી તેને ત્રણ વખત મોટેથી વાંચીએ. આમ કરવાથી આપણાં અર્ધજાગૃત મનને આપણે તૈયાર કરી શકીએ છીએ આપણાં સપનાઓ અને ઇચ્છાઓને પૂરા કરવા કાર્યરત થવા માટે. આ લખાણ પૂરું કર્યા પછી આપણે વિઝ્યુલાઇઝેશન અને એફરમેશનની પ્રવૃત્તિ એટલે કે આપણાં સ્વપ્નના જીવનને મનની આંખો આગળ કાલ્પનિક રીતે ચિત્રબદ્ધ કરવું અને તેને સત્ય માનવા આપણાં અર્ધજાગૃત મનને તૈયાર કરવું. આ એક આકર્ષણના સિદ્ધાંત રૂપ પ્રવૃત્તિ છે જેના દ્વારા આપણે આપણાં સપનાઓ સાકાર કરી શકીએ છીએ.

અને ત્યાર બાદ સૌથી છેલ્લે “love yourself” પ્રવૃત્તિ એટલે કે પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું… ચોક્કસ આ પ્રવૃત્તિ કરવી જોઈએ. આપણી અંદર સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે આ ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિ છે. કારણ કે જો આપણે પોતાની જાતને પ્રેમ નહીં કરી શકીએ તો પછી આપણે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકીશું? અને એ સાથે જ આપણે આપણાં કામને પણ કેવી રીતે પ્રેમથી નિષ્ઠાપૂર્વક કરી શકીશું? બસ આ બધુ પૂરું કરવામાં આપણને આ પ્રવૃત્તિ ખરેખર મદદરૂપ થાય છે. આપણને આપણાં નિર્ણયો પર પણ ઘણી વખત અવિશ્વાસ ઊભો થતો હોય છે અને એ જ અપૂરતો વિશ્વાસ જ આપણી નિષ્ફળતાનું કારણ બને છે. માટે જો આપણે આ પ્રવૃત્તિ કરીએ તો ચોક્કસ આપનો આત્મવિશ્વાસ વધશે અને આપણે આત્મવિશ્વાસ સાથે પોતાના નિર્ણયો લઈ શકીશું. અને સફળતા પણ પ્રાપ્ત કરી શકીશું.

આટલું પણ કરીને જો આપણે આપણાં દિવસની શરૂઆત કરીએ તો જે સકારાત્મક ઉર્જા આપણી અંદર ઉદ્દભવે છે તે આપણને આખો દિવસ સકારાત્મક અને સ્ફૂર્તિવાન બની રહેવામાં મદદ કરે છે અને આપણાં બધા જ કામ સફળ થાય છે. એટલું જ નહીં પણ ઘર પરિવારમાં પણ સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે અને પ્રેમ અને સ્નેહભર્યા સંબંધો વધુ મજબૂત થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થય અને સફળતા લાવવા આપણી દિવસની શરૂઆત ચોક્કસ આ પ્રકારની સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કરવી જોઈએ.

તો ચાલો કરીએ શરૂઆત આજથી જ સકારાત્મક સવારની… આ સરસ મજાની પ્રવૃતિઓથી સવારને સકારાત્મક બનાવી દિવસની શરૂઆત કરીએ. આપણાં ઇચ્છિત ભવિષ્યની ડોર આપણાં હાથમાં લઈએ. બનાવીએ આપણાં જીવનને તહેવાર આ સકારાત્મક આદતો કેળવીને..!!

હાર્દિક કલ્પદેવ પંડ્યા

જીવન એક તહેવાર છે..!

આપણું આખું જીવન એક તહેવાર છે… જો આપણે તેને સમજી અને અનુભવી શકીએ તો ચોક્કસ માણી પણ શકીએ અને હંમેશા ખુશ અને હસતાં પણ રહી શકીએ. ભલે ને પછી ગમે તેવી પરિસ્થિતિમાં આપણે કેમ ન મુકાઈએ. આપણને સૌને એક સર્વોત્તમ યોનિમાં જન્મ મળ્યો છે. માનવ જન્મ… આ પરમ કૃપાળુ પરમાત્માએ આપેલ એક સર્વોત્તમ ભેટ છે. અને આપણી ફરજ છે કે આ અમૂલ્ય ભેટનું આપણે સન્માન કરીએ. અને સન્માન કરવાનો એકમાત્ર રસ્તો છે આ જીવનને તહેવાર સમું માણવું. આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણા ખરા લોકો અને એકંદરે આપણે પણ હંમેશા ચિંતા, તણાવ અને ઉકળાટમાં જીવીએ છીએ. એક માત્ર તહેવાર જ એવો સમય હોય છે કે જ્યારે આપણે સંપૂર્ણ આનંદથી દિવસ વિતાવીએ છીએ. તો જો આપણે આપણાં આખા જીવનને એટલે કે જીવનની પળે પળને તહેવાર સમી જીવતા શીખી જઈએ તો કેટલું ઉત્તમ?

હવે જો આપણે આપણાં જીવનને સંપૂર્ણ તહેવાર સમું માણવું હોય તો જીવનના બધા જ રંગોને સકારાત્મકતાથી સ્વીકારવા પડે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમ સમજવું પડે કે આ પરીક્ષા છે જે મારો ભગવાન લઈ રહ્યો છે. અને એ ભગવાનનો આભાર માનવો કે એમણે આપણને એ પરીક્ષામાંથી પસાર થવા લાયક ગણ્યા. કારણ કે જ્યાં સુધી આપણાં એ ભગવાન આપણને કોઈપણ પરીક્ષામાંથી પસાર થવા લાયક નથી બનાવતા ત્યાં સુધી એ ક્યારેય પરીક્ષા લેતા પણ નથી જ. આપણે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાઈએ કે તરત જ આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. પણ એ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો પહેલાથી જ ભગવાને નક્કી કરી રાખ્યો હોય છે. બસ આપણે તેને શોધવાનો અને પરખવાનો હોય છે. પણ એ પહેલા એ પરિસ્થિતિને સ્વીકારી એને પડકાર સ્વરૂપે સ્વીકારી એનો સામનો કરવા સજ્જ થવું પડે. આપણે સૌ પેલી કહેવત તો જાણીએ જ છીએ.”ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે.” બસ આ એના જેવુ જ છે. જો આપણે જાતે જ દૂ:ખી થતાં રહીશું તો ભગવાન પણ આપણને ખુશ નહીં કરી શકે. અને એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે તહેવારોના દિવસે પણ દૂ:ખી અને ઉદાસ રહીશું. માટે પળેપળને એ પરમ કૃપાળુ પરમાત્માની અમુલ્ય ભેટ માની એને માણવા પ્રયત્ન કરીએ.

આ એટલું અઘરું પણ નથી. જો દૃઢ નિશ્ચય કરીએ અને થોડો અભ્યાસ(practice) કરીએ તો આપણે તહેવાર સમું જીવન જીવી જ શકીએ. અને એ માટે સૌથી પહેલા અકારણ હસવાનું શીખીએ. લોકો ઉપર હસતાં આપણને આવડે છે પણ પોતાના જીવનને સ્વીકારી હસીને જીવતા આપણને નથી આવડતું માટે એ સૌથી પહેલા શીખવું જોઈએ. નવેનવ રસથી સંપન્ન એવા આ જીવનને માણવા દરેકે દરેક રસ એટલે કે ભાવનાઓને સમજતા અને અનુભવતા શીખવું પડે. ત્યારે જ આપણે સતત કોઈપણ પરિસ્થિતિમાં તટસ્થ રહી જીવનનો આનંદ માણી શકીએ છીએ. જો આ ભાવનાઓ આપણે બરાબર ન અનુભવીએ તો સુખમાં છલકાઈ જવાનો અને દૂ:ખમાં ભાંગી પાડવાનો ભય રે છે. માટે આ નવેનવ રસ એટલે કે ભાવનાઓને સમજીએ અને માણીએ એ જરૂરી છે. ત્યાર બાદ બાળક બની બાળકની એ નિખાલસતા અને નિર્દોષતાને અપનવીએ. જીવનભર આપણી અંદર એક બાળક જીવંત રાખીએ. બાળકો સાથે બાળકોની સાવ બાલિશ એટલે કે છોકરમતવાળી રમતો રમીએ. આપણે મોટા થતાં જઈએ છીએ અને આપણી પરિપક્વતા આપણી અંદર રહેલા બાળકને મારી નાખે છે અને એટલે જ આપણે ખરા અર્થમાં બાળકોની જેમ જીવનને માણી નથી શકતા.

નકારાત્મક આદતો છોડી સકારાત્મક આદતોને જીવનમાં અપનવીએ. એ પણ આપણને અંતરમનથી ખુશ રાખવામાં મદદરૂપ થશે. આપણી શોખની પ્રવૃત્તિઓ અને મનોરંજન માટે સમય ફાળવીએ. બીજું કશું નહીં તો પણ આ આધુનિક યુગમાં આપણે સૌથી આગળ નીકળી જવાની હોડમાં આપણાં મન પર અને મગજ પર જે ભૂતકાળની ભૂલોના પસ્તાવા અને ભવિષ્ય કેવું હશે એની ચિંતાની જે પરત બનાવી છે એને હટાવી વર્તમાનમાં જીવતા શીખી જઈએ. જે મળ્યું છે તેનો આભાર માની જે નથી મળ્યું તે મળી જ જશે એ વિશ્વાસ સહ કાર્યરત બનીએ. કારણ કે વર્તમાનમાં નહીં જીવીએ તો કાર્યરત બની આપણાં સપનાઓ પૂરા પણ નહીં કરી શકીએ. આ જ રીતે આપણાં સપના પૂરા કરતાં કરતાં આપણે આ તહેવાર સમા જીવનને માણી શકીએ છીએ.

ચાલો પહેલા જીવન એક તહેવાર છે એ વાતને સ્વીકારીએ અને પછી તેનો અનુભવ કરવા સજ્જ થઈએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

શું તમે પ્રભાવશાળી વ્યક્તિત્વ વિકસાવવા માંગો છો?

આપણે સૌ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ વિકસાવવા માંગીએ છીએ. ઈચ્છીએ છીએ કે લોકો આપણને વધુ ને વધુ પસંદ કરે. આપણી વાત માને અને અને આપણા મુજબ જ વર્તન કરે. પણ આવું સર્વોત્તમ વ્યક્તિત્વ એમ જ કાંઈ વિકસી નથી જતું. એ માટે અમુક આદતો જીવનમાં અપનાવવી પડે છે. આ અડતો એવી છે જે આપણા વ્યક્તિત્વમાં નીખર લાવે છે અને આપણે કોઈને પણ આસાનીથી આકર્ષિત અથવા પ્રભાવિત કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ એ આદતો વિશે જે આપણને પ્રભાવશાળી બનાવી શકે છે.

હંમેશા જયારે પણ કોઈ તકલીફ આવે ત્યારે એને વાગોળવા કરતા એને ઉકેલવાના ઉપાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને એ માટે ખરાબ પરિસ્થિતિમાં ઉદાસ રહેવાનું છોડી સક્રિયતાને અપનાવવી જોઈએ. આ જ આદત પરિસ્થિતિ સાથે લડવાની શક્તિ આપે છે. અને આ જ છે પ્રથમ પગથીયું કે પહેલી આદત જે કેળવી માત્ર પ્રભાવશાળી નહિ પણ એક સકારાત્મક જીવન મેળવવામાં પણ મદદરૂપ થાય છે

જયારે પણ કોઈ કામ કરીએ ત્યારે એના પહેલા તમે એ કામ શ માટે કરો છો અને એનું કેવું પરિણામ ઈચ્છો છો. એ બે સવાલોના જવાબ મનોમન નિર્ધારિત કરી લેવા જોઈએ. એટલે કે આપણું ધ્યેય હંમેશા નક્કી હોવું જોઈએ. અને જયારે એ ધ્યેય નક્કી કરી લો ત્યારે તે પ્રાપ્ત કરવા માટે કયા કયા પગલા લેવા પડશે એ પગલાઓને ઊંધેથી એટલે કે છેલ્લા પગલાથી લઈને પ્રથમ પગલા સુધી વિચારો અને સૂચી બનાવો. કોઈપણ કામમાં કે ધ્યેયમાં સફળતા પ્રાપ્ત કરવાનો ઉત્તમ ઉપાય છે. અને આ રીતે તૈયારી પૂર્વકનું કામ કરવાની આદત એ વ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે.

આપણે જીવનમાં ઘણું બધું કરવા અને પામવા ઈચ્છીએ છીએ અને એ માટે સખત મહેનત પણ કરીએ છીએ. પણ ઘણીવાર એ સખત મહેનત પણ આપણને સફળતા નથી અપાવતી કારણ કે આપણે જે કંઈ મેળવવું છે એમાં સૌથી મહત્વપૂર્ણ શું છે અને પહેલા શું મેળવવું છે એ વિશે આપણા મનમાં જ સ્પષ્ટતા નથી હોતી. માટે આપણા બધા જ સપનાઓ અને ઈચ્છાઓની સૂચી તૈયાર કરી એમાંથી પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. જે આ જ આદત આપણને જીવનમાં સફળતા અપાવે છે. અને આપણી સફળતા એટલે કે આપણા સપનાઓ તરફ આગળ વધવાના રસ્તાઓ શાધી અને ખોલી આપે છે…. એ પણ સ્પષ્ટતા સાથે.. કયા રસ્તે જવું? એવી કોઈપણ મૂંઝવણ ઉભી કાર્ય વિના…

હંમેશા જીત પ્રાપ્ત થાય એ માટે આપણી વિચારસરણી પણ એ મુજબની હોવી જોઈએ. “હા હું હંમેશા જીતું જ છું.” એવું પળેપળ પોતાની જાતને કહેતા રહેવું જોઈએ. આ પોતાની અંદર આત્મવિશ્વાસને જગાવવા અને ટકાવી રાખવાનો ઉત્તમ ઉપાય છે. હંમેશા વિન વિન સિચ્યુએશન ઉત્પન્ન કરવા પ્રયત્ન કરો. એટલે કે હંમેશા જીતવા અને હારને દુર રળ્ખાવાના પ્રયત્નો કરો. આ આદત આપણને ઘણી વાર સંબંધો સુધારવામાં અને તેને મજબુત કરવામાં પણ મદદ કરે છે.

આપણે હંમેશા એવી અપેક્ષા રાખીએ છીએ કે લોકો આપણને સમજે અને આપણી વાત માની એ મુજબ વર્તે. પણ આપણે કોઈને સમજવા તૈયાર નથી હોતા. આપણે જે અપેક્ષા બીજા પાસે રાખીએ એવું વર્તન પહેલા આપણે કરવું પડે.. એટલે કે જો કોઈ આપણને સમજે એવી આપણી ઈચ્છા હોય તો પહેલા એને સમજવા આપણે પ્રયત્ન કરવો જોઈએ.. આપણી આ આદત જ એ વ્યક્તિને આપણને અને આપણા દ્રષ્ટિકોણને સમજવા માટે પ્રેરણા આપશે.

દિવસે દિવસે આપણે એકલા અટુલા અને સ્વાર્થી થતા જઈએ છીએ. જેને કારણે આપણે આપણા સંસાર આપણી દુનિયા વિશે નથી વિચારતા. આવી નકારાત્મક આદત આપણને આપણા પતન તરફ જ દોરી જશે. માટે આદત અપનાવો સાથે મળીને કામ કરવાની અને સાથે મળીને પ્રગતિ કરવાની. જે પોતાની પ્રગતિ સાથે સજામ, દેશ અને દુનિયાની પ્રગતિ માટે પણ વિચારે છે એ હંમેશા સફળ થાય જ છે. આદત કેળવો મદદ માંગવાની સાથે નિસ્વાર્થ ભાવે મદદ કરવાની પણ… અંગ્રેજીમાં કહું તો “Align With Universe & Work Accordingly”

પોતાની જાતને શારીરિક, માનસિક, સામાજિક અને અધ્યાત્મિક રીતે સુધારો કરવા કટિબદ્ધ રાખવું જોઈએ. આ જીવન વિદ્યાર્થી બની નવું નવું શાખાતા રહી પોતાનામાં સુધારો અને વધારો કરવાની આ આદત આપણને સફળતા તરફ આપણને સફળ બનાવે છે. ઘણીવાર મુશ્કેલી એ થાય છે કે આપણે પોતાને સુધારવા કે મઠારવા તૈયાર જ નથી હોતા. આપણે પેલી કહેવત જેવું વર્તન કરીએ છીએ કે “મને બધું આવડે.” અને એટલે જ આપણે નવું શીખવા તૈયાર નથી થતા. ક્યારેક અસક્ષમતાની લઘુતાગ્રંથીને લીધે તો ક્યારેક અહંને વશ થઈને આપણે આમ કરતા હોઈએ છીએ. માટે આજીવન વિદ્યાર્થી બની નવું નવું શીખવાની આદત કેળવો.

આમ તો આ સિવાય પણ ઘણી એવી આદતો છે જે અપનાવી જીવનમાં સફળ થવાની સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ મેળવી શકાય છે.

પણ વધુ નહિ તોય જો આટલી આદતો પણ જીવનમાં અપનાવીએ તો ચોક્કસ કોઈને પણ આકર્ષિત કરવામાં અને દુનિયામાં પોતાનો પ્રભાવ પાડવામાં આપણે સફળ થઇ શકીશું.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

 

બાળપણ ખોવાઈ રહ્યું છે!!

બાળપણ… આહા… શબ્દ સાંભળતા જ મનમાં એક બાળક જન્મ લઈ લે… આખાય ચહેરા પર ચમક આવી જાય. અંતરમન ખેલકૂદ કરવા થનગની ઊઠે. પણ ખરેખર આજે જોઈએ તો બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે.

નાના બાળકોની વાત કરીએ તો, બાળકોમાં પણ બાળપણથી જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે એમનું બાળપણ એમની પાસેથી છીનવી લીધું છે. અને આ જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે પણ બાળક બની બાળકો સાથે રમવાની એ મજા ને ભૂલી ગયા છીએ.

યાદ કરવા બેસીએ કે છેલ્લે ક્યારે નિખાલસ બાળક બની એક બાળકની જેમ બાળકો સાથે રમ્યા હતાં??? તો કદાચ દિવસ આખો નીકળી જશે પણ એક દિવસ શું, એક ક્ષણ પણ એવી યાદ નહીં આવે. ઘણું તો આપણે બાળકની નિખાલસતા અને પ્રમાણિક્તા પણ આપણા બાળપણમાં જ છોડી આવ્યા છીએ. લાલચ અને લોભ, ઈર્ષા અને દ્વેષ ભાવ એટલી હદે આપણે પોતાની અંદર ભરી દીધા છે કે આપણે સાચું ખોટું બધુ જ ભૂલી ગયા છીએ. બાળકોને આપણે સાચું બોલવાના, પ્રમાણિક્તા અને ઈમાનદારીના પાઠ ભણવીએ પણ આપણે પોતે જ એમાંથી કશું આપણા જીવનમાં ન ઊતારીએ તો બાળકોમાં એ સંસ્કાર ક્યાંથી આવે? બાળકો બાળપણમાં જે કંઈ શીખે છે એમાંથી નેવું ટકા નિરિક્ષણ દ્વારા… જે જુએ છે એ જ શીખે છે… હવે આપણે જ ઘૂસખોરી, અપ્રમાણિકતા, અને ભ્રષ્ટાચારને આદરીશું તો બાળકો બીજું શું શીખશે.? આપણે જ વાતે વાતે ગુસ્સા, ઝગડા અને વાદવિવાદ કરીશું અને પોતાને સાચા પાડવાના ખોટી રીતે પ્રયત્ન કરીશું તો બાળકો બીજું શું શીખશે?

ખેર… આજે તો વાત માત્ર એ બાળપણને જીવવાની અને એ બાળપણ સમું જીવન માણવાની જ કરવી છે… તમે ક્યારેય નાના ભૂલકાઓને ચિંતાતુર જોયા છે ખરાં??? ના જરાય નહીં… એ હંમેશા નિશ્ચિંત જ જોવા મળે… કારણ કે એમને જીવન જીવતા નહીં પણ માણતા આવડે છે. એ જીવનની દરેકે દરેક પળને માણી જાણે છે. અને એટલે જ એમના ચહેરા પર સ્મિત કાયમી અકબંધ રહે છે. અને ભગવાન પણ એ ભોળા બાળપણમાં જ વસે છે… બાળકો જે કંઈપણ નવું કરે એમાં જલ્દી સફળ થાય છે, પ્રાથમિક ધોરણોમાં તેઓ હંમેશા પહેલા ને બીજા નંબરે પાસ થાય છે, એનું કારણ ખબર છે? કારણ કે એ સમયે એ માત્ર સફળતાની હોડમાં દોડ નથી લગાવતા પણ જે કંઈ કામ કરે એ પોતાના આનંદ માટે અને કંઈક નવું શીખવાની જિજ્ઞાશા સહ કરે છે. અને એ જ ગુણ એમને સફળતા અપાવે છે. કારણ કે એ જે-તે કામ(ભણતર)માં પોતાને ખુશ રહેવાનુ કારણ શોધતા હોય છે… પોતાનો આનંદ શોધતા હોય છે. પણ એ આનંદમાં ક્યારેય કોઈનું નુકસાન કરવાની ભાવના નથી હોતી. અને એ જ પવિત્રતા એમના જલ્દી સફળ થવાનું મુખ્ય કારણ છે. આપણે જેમ જેમ મોટા થતાં જઈએ છીએ એમ એમ આપણી અંદર પોતાની પ્રગતિના વિચારો કરતાં બીજાની અધોગતિ અથવા બીજાની પ્રગતિ પ્રત્યે ઈર્ષાભાવ પહેલા આવે છે અને એ જ કારણ છે કે આપણે સફળતાને પામી શકતા નથી. આપણાં ભાવ અને વિચાર જો બાળક જેવા સકારાત્મક,  શુદ્ધ અને પવિત્ર જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે તો આપણે જીવનમાં જે સફળતા જોઈએ છે એ પ્રાપ્ત કરી જ શકીએ અને એટલું જ નહીં એ સફળતા અને સુખને માણી પણ શકીએ.

જીવનનો કોઈપણ તબક્કો હોય એમાં આપણી અંદર એક બાળક હંમેશા જીવંત રહેવું જ જોઈએ. એની એ નિખાલસતા, ભોળાપણું, અને પવિત્રતા એ આપણાં જીવનને ઉત્તમ અને આદર્શ બનાવવા માટેના મૂળભૂત મૂલ્યો છે. આ બાળપણ જ છે જે જીવનનો સાચો અર્થ શીખવે છે… જીવનનો સાચો અર્થ જીવન માત્ર જીવી નાંખવામાં નહીં પણ જીવનને માણવામાં છે.. દરેકે દરેક દિવસ અને દરેકે દરેક પળ એક તહેવારની જેમ માણવી જોઈએ…

પણ આ બાળકને શોધવા અને એ બાળકને આપણાં જીવનમાં જીવંત રાખવા કરવું તો શું??

૧) પોતાના જીવનમાં એક બાળક જીવંત રાખવા હંમેશા અકારણ સ્મિત રાખી સૌને મળીએ.

૨) નાનામાં નાની પ્રવૃત્તિ વિના કોઈ સંકોચ કરવા તૈયાર રહેવું.

૩) રમતો રમવામાં ક્યારેય શરમ ન અનુભવતા નિખાલસ બની રમવી.

૪) જાતને ખુશી ક્યાંથી મળે એ શોધવામાં રસ કેળવવો.

૫) હંમેશા પોતાની સાથે બીજા માટે પણ સકારાત્મક વલણ અને મદદની ભાવના કેળવવી.

૬) બાળકની જેમ કોઇની સાથે ઝગડો થાય તોય અંતે તો સામે ચાલીને એ મન મુટાવ દૂર કરીએ…

આવા કેટલાય ગૂણો છે બાળકો પાસે શીખવાના… બસ એ જ શીખી પોતાની અંદર જીવનભર જીવંત રાખીએ અને આપણાં બાળકોને પણ શીખવીએ…

ચાલો, ફરી એ ખોવાઈ ગયેલા આપણી અંદરના બાળકને શોધી લઈએ અને જીવનને માણવાની શરૂઆત કરીએ.. જીવનને સાર્થક બનાવીએ.

હાર્દિક કલ્પદેવ પંડયા

મનની શક્તિ અપાર છે.!

મન શું છે? મન એટલે અખંડ ઉર્જાનો સ્રોત. આધુનિક ભાષામાં જો સમજીએ તો જો આપણે આપણાં શરીરને એક કોમ્પ્યુટર ગણીએ તો આપણું મગજ એ આપણું હાર્ડવેર છે અને આપણું મન એ સોફ્ટવેર… હા, આપણું મગજ એ માત્ર આપણાં શરીરનું એક અંગ છે એની અંદર વિચારો અને નિર્ણયો લેવાની શક્તિ આપનાર ઉર્જાસ્રોત એટલે આપણું મન…

આપણાં મન પાસે અસીમ, અપાર શક્તિનો ભંડાર રહેલો છે.. મનની એ શક્તિ દ્વારા આપણે જે કંઈ પણ મેળવવું હોય તે મેળવી શકીએ છીએ. એવું કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ અને માનીએ છીએ એ જ આપણે બની જઈએ છીએ.

આ મનની શક્તિ બે ભાગમાં વહેંચાયેલી છે. (૧) જાગૃત મન અને (૨) અર્ધજાગૃત મન. એમાં પણ આપણું જાગૃત મન માત્ર ૧૦ ટકા જ કામ કરે છે બાકી ૯૦ ટકા અર્ધજાગૃત મન કામ કરતું હોય છે. આપણાં રોજિંદા જીવનમાં જે કંઈ કામ કરીએ છીએ એ આપણાં જાગૃત મનથી જ થાય છે. જેમાં મહદંશે આપણી શારીરિક શક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આપણી મનની શક્તિનો ઉપયોગ નહિવત જ આપણે કરીએ છીએ. પણ આવું કેમ છે. એનું એકમાત્ર કારણ એ જ કે આપણને આ મનની શક્તિનો કઈ રીતે અને કેટલો ઉપયોગ કરવો એ શીખવાડવામાં જ નથી આવ્યું. ન શાળામાં, ન કોલેજમાં ન કોઈ એવી યુનિવર્સિટી છે કે જ્યાં આ મનની શક્તિ વિશે જ્ઞાન આપવામાં આવે. તો ચાલો આપણે આજે આ મનની શક્તિ વિષે જ જાણીએ.

આપણાં મનમાં એક આખા દિવસમાં ૬૦ હજાર જેટલા વિચારો ઉત્પન્ન થતાં હોય છે પણ દુ:ખની વાત એ છે કે એમાંથી ૮૦ ટકા વિચારો નકારાત્મક જ હોય છે. માત્ર ૨૦ જ ટકા વિચારો સકારાત્મક હોય છે. જો આ પ્રમાણ ઊલટું કરી નાંખીએ અને ૮૦ ટકા વિચારોને સકારાત્મક બનાવી દઈએ તો આપણે કંઈક એવા સર્જનાત્મક કામ કરી શકીએ છીએ જે આપણાં જ નહીં પણ આપણી આસપાસના સૌના જીવનમાં બદલાવ લાવી શકે છે. જીવન સાર્થક બનાવી શકાય છે. હા, નકારાત્મક વિચારો આવશે જ… કારણ કે એનું નિર્માણ પણ એ પરમ કૃપાળુ પરમાત્માએ જ કર્યું છે, જો એ વિચારો મનમાં લાવવા જ ન હોત તો એનું નિર્માણ, એ શબ્દનું પણ નિર્માણ પરમાત્માએ કર્યું ન હોત.. પણ એ નકારાત્મક વિચારો પર જીત મેળવી એમાંથી પણ તક ઊભી કરી એને સકારાત્મક પરિસ્થિતિમાં પરિવર્તિત જે કરી દે એ જ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. પોતાના જીવનમાં  સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પણ આકર્ષી શકે છે… લાવી શકે છે.

એક ભ્રમણા એવી પણ છે કે જેટલા ભણેલા ગણેલા એટલા જ આપણે સફળ વધુ થઈ શકીએ છીએ. પણ એવું કંઈ જ નથી, ઓછું ભણેલ વ્યક્તિ પણ તેના આત્મવિશ્વાસ અને મનની શક્તિથી સફળતાના શિખરોને આંબી શકે છે. આપણું મન એ ફળદ્રુપ જમીન જેવુ છે, એમાં જે વાવીશું એ ઊગી નીકળશે. જો આપણે એમાં સકારાત્મક વિચારો, સખત અને સાચી દિશામાં ઈમાનદાર મહેનતના બીજ વાવીશું તો સફળતાનું વૃક્ષ ચોક્કસ ઊગશે… અને સુખ અને સમૃદ્ધિના મીઠા ફળ પણ આપશે. પણ જો એમાં નકારાત્મક વિચારો અને આળસના બીજ વાવીશું તો નિષ્ફળતા અને નિરાશાના જ ફળ પ્રાપ્ત થશે. માટે શું વાવવું એ પસંદગી આપણી પોતાની જ છે. આ મનની શક્તિ એ અખંડ અપાર છે. કારણ કે આ શક્તિ એ પરમ કૃપાળુ પરમાત્મા સાથે સીધી જોડાયેલી છે. કોઈપણ પરિસ્થિતિમાં જો આપણે બહારની દુનિયામાં ઉકેલ શોધવા કરતાં આપણાં અંતરઆત્માને જ ઉકેલ પૂછીશું તો ખરેખર સાચો જ જવાબ મળશે, કારણ કે એ પરમાત્માનો જ જવાબ હોય છે. હવે તમે જ કહો કે પરમાત્માનો જવાબ ક્યારેય ખોટો હોય શકે ખરો?? જરાય નહીં…. અને જો એ પરમાત્મા જ આપણી પાસે આપણી અંદર હાજરાહજૂર હોય તો બહાર ફાંફાં મારવાની જરૂર જ શું???

આપણું આ મન એ સ્મરણ શક્તિનો ભંડાર છે. એની અંદર આપણે જેટલું ભરવું હોય તે ભરી શકાય. પણ જો એમાં આપણે નકારાત્મક વિચારો, ભાવનાઓ અને નકારાત્મક ઉર્જા ભરીશું તો આપણી પ્રગતિ અવરોધશે, અને જો સકારાત્મક વિચારો, ભાવના અને સકારાત્મક ઉર્જાને ભરીશું તો પ્રગતિના પંથે આગળ વધી શકીશું. અને સફળતાને પામી શકીશું. પરંતુ શું આ સફળતા મેળવવી જ પૂરતી છે?? ના… સફળતા સાથે ભાવનાત્મક રીતે સશક્ત હોવું પણ એટલું જ જરૂરી છે. આપણે સૌ દિવ્ય ભરતી, હિટલર અને ગુરુ દત્ત આ સૌ ખ્યાતનામ વ્યક્તિઓને ઓળખીએ છીએ. આ સૌ સુખી અને સમૃદ્ધ હતા. પણ તેઓ ભાવનાત્મક રીતે સશક્ત ન હતા અને એટલે જ અંતે તેમણે આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. જો આપણે સફળતાના શિખરો પર હોઈશું, સમૃદ્ધ હોઈશું, પણ જો આપણે ભાવનાત્મક રીતે સશક્ત નહીં હોઈએ તો આ બધુ જ નકામું છે. માટે હંમેશા ભાવનાત્મક રીતે પણ સશક્ત રહેવું… અને જે પરિસ્થિતિ સર્જાય એમાંથી તક કાઢવા અને એમાંથી બહાર નીકળવા પ્રયત્નશીલ રહેવું. કારણ કે તક તો પરમાત્મા બધાને આપે જ છે. એને ઓળખી ઝડપી લેવી કે ન ઓળખીને છોડી દેવી એ આપના હાથમાં જ હોય છે.

આપણે સામાન્ય રીતે જ્યારે વહેલા ઊઠવું હોય ત્યારે એલાર્મ મૂકીએ છીએ. અને ઘણી વખત તો આપણે એલાર્મ પણ બંધ કરીને પાછા સૂઈ જતાં હોઈએ છીએ… અને વહેલા ઉઠાવનું આયોજન નિષ્ફળ થાય છે. કારણ કે એ રીતે ઉઠવામાં આપણી અંદર સ્ફૂર્તિનો અભાવ રહે છે. પણ આપણી પોતાની અંદર એક માનસિક ઘડિયાળ રહેલી છે, જો એને એમ કહી દઈએ કે “મારે આટલા વાગ્યે ઊઠવું છે તો એ માનસિક ઘડિયાળ જ આપણને ઉઠાડી દે છે, અને એ પણ સ્ફૂર્તિ સાથે… એકવાર પ્રયત્ન કરી જો જો ચોક્કસ વિના એલાર્મ ઉઠી શકશો…

મિત્રો, આપણું મન એટલું સશક્ત છે કે આપણે ઈચ્છીએ તો આપણી ગંભીરમાં ગંભીર બીમારી પણ મનની એ શક્તિથી દૂર થઈ શકે છે. અને જો આપણે મનમાં ભરી દઈએ કે આપણે બીમાર છીએ તો જો બીમાર ન પણ હોઈએ તો પણ થઈ શકીએ છીએ. માટે જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દવા અને ડોક્ટરની મદદ લેવાની સાથે મનની શક્તિને પણ મજબૂત કરી કહેવાનું રાખો કે “હું સ્વસ્થ થઈ ગયો/ગઈ છું. મારી બીમારી દૂર થઈ ગઈ છે” આપણાં મનની એ અસીમ શક્તિ આપણને ખુબ જ જલ્દી સાજા કરી દેશે.

આપણું મન એ અખંડ ઉર્જા શક્તિનો પાવર જનરેટર છે. એ જે વિચારે તે બધુ જ કરી શકે છે, આપને એક ઉદાહરણ આપું તો ગુજરાતમાં એક સંત છે કે જેઓએ છેલ્લા ૮૦ વર્ષથી કંઈ જ ખાધું પીધું નથી. તેમ છતાં તેઓ સક્રિય અને સ્વસ્થ રહે છે. એમને એક પત્રકારે પુછ્યું કે,”આ શક્ય કઈ રીતે છે?” ત્યારે તેમણે માત્ર એટલું કહ્યું હતું કે,”હું રોજ સવારે ૧૫ મિનિટ સૂર્ય પાસેથી ઉર્જા લઉં છુ અને આખો દિવસ ઉરજવાન રહી શકું છું.” વિચારો મિત્રો જો કોઈ વ્યક્તિ માત્ર ૧૫ મિનિટ સૂર્ય ઉર્જા લઈ જીવી જ નહીં પણ આટલા તંદુરસ્ત અને સક્રિય રહી શકતા હોય તો આપણે તો શું શું ન કરી શકીએ… બધુ જ કરી શકીએ.. બસ જરૂર છે મનની શક્તિ ને ઓળખવાની અને ઇનો સદુપયોગ કરવાની…

મિત્રો આપણાં આ મન પાસે એવી અપાર શક્તિ છે કે આપણે જે ઇચ્છીએ એને આપણી તરફ આકર્ષિત કરી શકીએ છીએ.. અશક્ય કંઈ જ નથી. જો કે આ મનની શક્તિ વિશે લખવા બેસીએ તો આખું પુસ્તક લખી શકાય.. આ અખંડ ઊર્જાના સ્રોત એવા આપણાં મનને ચાલો યોગ અને સાધના થકી ઓળખવા પ્રયત્ન કરીએ અને જીવનમાં કંઈક સર્જનાત્મ કામ કરીએ… જીવનમાં આપણાં પોતાના માટે તો ઘણું કર્યું, હવે આ મનની શક્તિનો સદુપયોગ કરી દુનિયા માટે કંઈક કરીએ… ખરેખર એક સુખદ અનુભવ થશે… સાથે આ મનની શક્તિ થકી આપણને પણ લાભ તો ખરો જ. ચાલો જીવન બદલાવાના પંથે અગ્રેસર થઈએ.. જીવન બદલીએ, સંસાર બદલીએ… પોતાની અંદર સકારાત્મકતા ભરી સંસારને સકારાત્મકતા વહેંચીએ. અને પોતાની મનની શક્તિથી જ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પ્રાપ્ત કરીએ.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ… સ્વતંત્રતા દિન… આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે દેશની સેવા કરવાનું વિચાર્યું છે ખરું? દેશની સેવા કરવી એટલે કંઈ દેશની સીમા પર જઈ સુરક્ષામાં તૈનાત થવાની જરૂર નથી. દેશ પ્રત્યેની આપણી અમુક મૂળભૂત ફરજો અને જવાબદારીને નિષ્ઠા પૂર્વક નિભાવીએ એ પણ દેશની સેવા જ છે.

ચાલો જાગ્યા ત્યારથી સવાર કહેવતને સાચી પાડી આજથી જાગી જઈએ અને કંઈક નવું વિચારીએ… આપણાં મહાન ભારત દેશને એક નવો દૃષ્ટિકોણ આપીએ.

આ હડતાળ, દંગા, ફસાદના નામે કામ રોકી સાર્વજનિક જગ્યાએ તોડફોડ અને ધમાલ કરી જે વિરોધ નોંધાવી છીએ શું એની ખરેખર જરૂર છે ખરી? જો વિરોધ કરવો જ હોય તો કંઈક ક્રિએટિવ રીતે ન કરી શકાય…

જેમ કે… થોડા સમય પહેલાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફના હડતાળના સમાચાર મળ્યા હતા. એ વખતે કેટલાય દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હડતાળના નામે ઈલાજ રોકવાની જગ્યાએ એ જ ડૉક્ટરો હોસ્પિટલના ખર્ચે દર્દીઓ પાસેથી પૈસા લીધા વગર સારવાર કરે તો? ખર્ચો વધશે પણ કમાણી નહીં થાય તો હોસ્પિટલ મેનેજમેન્ટ ડોકટોરોની વાત માની જ લેશે ને. અને દર્દીઓ પણ સચવાઈ જશે. દર્દીઓના અને તેમના સગાસંબંધીઓના આશિષ મળશે એ તો પાછું બોનસ… કહો શું આ રસ્તો ખોટો છે કે સાચો??

ફેક્ટરી વર્કર અને નોકરિયાતો પણ પગાર વધારા માટે હડતાળ કરે છે. પણ વિચરતા નથી કે નુકસાન કેટલું થાય છે. પોતાના જ ઘરમાં પૈસાની ખેંચ જે પહેલાથી હતી એ વધે… માનસિક તાણ વધે… મજૂર કક્ષાના છોકરાછૈયાં તો બિચારા ભૂખ્યા મરે… પણ હવે જો વિરોધનાં નામે એવું કરે કે ડબલ ટ્રીપલ પ્રોડક્શન/માર્કેટિંગ વધારી દે તો ફેક્ટરી/કંપની માલિકોને માલ/સેવા વેચવામાં નાકે દમ આવી જાય તો બોલો શું એ તમારી માંગ પૂરી ન કરે??

હવે વાત કરીએ ફિલ્મોની… તો પી.કે.થી લઈને ઓહ માય ગોડ ને એવી કેટલીયે ફિલ્મોના વિરોધ અને વિરોધના નામે તોડફોડ, દંગા એનો તો જાણે ટ્રેન્ડ છે. શું આપણી શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક ભાવના એટલી ખોખલી છે કે ફિલ્મના એક નાનકડા દૃશ્ય કે ડાયલોગ દ્વારા એ આહત થઈ જાય?? ફિલ્મ જોવી, ન જોવી એ આપનો અંગત વિષય છે આપણે ન જોવી હોય તો ન જોઈએ.. વધુમાં વધુ આપણાં પ્રિયજનો અને ઓળખીતાને આગ્રહ કરીએ કે એ પણ ન જૂએ. અને એમને કહીએ કે એ એમના ઓળખીતાઓને ના પાડે.. આમ શાંતિ પૂર્વક વિરોધ ન કરી શકાય? ફિલ્મ બનાવવી એ પ્રોડ્યુસર, ડાઈરેકક્ટરનું કામ છે. એ પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા આ કામ કરે છે. અને સાથે જ કેટકેટલા નાનામોટા કર્મચારીઓનું પેટ પાળે છે. ફિલ્મો એ આપણાં સમાજનું જ એક દર્પણ છે પણ એ દર્પણ બતાવવામાં જો એ કોઈ ભૂલ કરતાં હોય તો ભૂલ બતાવો પણ શાંતિથી… કોઈ ફિલ્મ જોવા જશે જ નહીં તો ૨-૪ દિવસમાં ફિલ્મ ઉતરી જશે. પેલા ડાઈરેકક્ટરને પણ સમજાઈ જશે કે એની ફિલ્મમાં કંઈક ખોટું હશે એટલે જ ફિલ્મ ન ચાલી… કિસ્સો પૂરો. એમાં બસો અને બાઈકો બાળવાની ને લોકોના હાડકાં તોડવાની, હુલ્લડો કરવાની શું જરૂર છે?

આ બધાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે ટ્રાફિક નિયમોને પણ તાક પર મૂકી દઈને વાહન ચલાવીએ છીએ. શું એ ખોટું નથી?? આપણાં પોતાના માટે જ જોખમી નથી? આ ટ્રાફિકના નિયમો પાળી “દુર્ઘટના કરતાં દેરી ભલી” કહેવતને માની ન શકીએ?? આપણાં અને બીજાના પણ જીવનું રક્ષણ આ નિયમ પાલનથી કરીએ તો એ પણ દેશ સેવા જ છે ને???

એમ જ કાર, સ્કુટર વગેરે વાહનોની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાહનોમાં ઈન-બીલ્ટ સ્પુટમ ટેન્ક અને ડસ્ટબીન મૂકે તો કેવું? પબ્લિક પણ એનો આગ્રહપૂર્વક ઉપયોગ કરે તો કેટલું સરસ? આ તૈયાર નાસ્તાના પેકેટ બનાવતી કંપનીઓ એવી ઑફર કાઢે કે ખાલી પેકેટ પાછા આપો અને ૫૦% પૈસા પાછા મેળવો. ૧૦૱. નું એક પેકેટ(ખાલી) દુકાન પર પાછું આપો તો ૫૱ પરત મેળવો અને ૫ ૱ વાળું પેકેટ આપો તો ૨ ૱ પરત… બોલો કોઈ કચરો બહાર ફેંકી દે.? ખીસ્સામાં ભરી રાખે ને.. ખરું કે ખોટું?? દેશમાં સ્વચ્છતા લાવવાનો આ રસ્તો ન અપનાવી શકીએ આપણે??

પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવીએ. દેશમાં પ્રદૂષણ થતું અટકાવવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. કાપડની થેલી માટે કપાસનું ઉત્પાદન વધારીએ.. તમાકુની ખેતી કરવાની જગ્યાએ વરિયાળીની ખેતી કરીએ.. તમાકુની પ્રોડક્ટ જો બે ૱ એ વેચાતી હોય તો વરિયાળીના પેકેટ પાંચ ૱ માં વેચીએ. એલ્કોહોલિક પ્રોડક્ટની જગ્યાએ દુધ, છાશ, ને જ્યુસની ફેક્ટરી નાખીએ. ભલે એ દુધ, છાશ દસને બદલે ત્રીસમાં વેચીએ.. કમ સે કમ ભારતની યુવા શક્તિ વ્યસનથી તો મુક્ત રહેશે. આપણાં દેશનો યુવા, વૃદ્ધ, તરુણ વ્યાસંમુક્ત થશે તો સ્વસ્થ રહેશે. લાંબુ જીવશે. કર્મઠ બની કામ કરશે અને પોતાના પરિવારની સમૃદ્ધિની સાથે દેશમાં પ્રગતિ લાવવામાં પણ યોગદાન આપી શકશે. ચાલો આવા નાનામોટા સુધારા આપણી જાતે લાવી બને એટલું આપણે દેશને સુધારવામાં, દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવામાં યોગદાન આપીએ. અને આ સ્વતંત્રતાના પર્વને એક અનોખી રીતે ઉજવીએ. આખું વર્ષ ઉજવીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.

સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.

ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ

અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના… જરાય નહીં.

આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો વાત. અને આ ડરને દૂર કરવા અને પરીક્ષાથી બચવા આપઘાત જેવા ખોટા રસ્તે ચાલી નીકળે છે. જે ખરેખર ખોટું છે. મિત્રો, પરીક્ષા એ આપણને ડરાવવા કે હેરાન કરવા માટે નથી, બલ્કે આ પરીક્ષા એ આપના સર્વાંગી વિકાસ માટે અને આપની લાયકાતને પારખવા અને વધારવા માટેની પગદંડી છે. જેને પાર કરી આપણે સફળતાના મુકામે પહોંચીએ છીએ. માટે ક્યારેય પરીક્ષાથી ગભરાવું જોઈએ નહીં. બલ્કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત કરવી જોઈએ અને પોતાની મહેનત ઉપર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

જો કે હા, આવા પ્રેરક લેખ, પ્રેરક વકતાવ્યો માત્ર પ્રેરણા પૂરી પાડી શકે છે, બાકી આત્મવિશ્વાસ સૌએ પોતાની અંદરથી જાતે જ જગાવવો પડે. અંદરથી આત્મવિશ્વાસ ન જાગે ત્યાં સુધી કંઈ જ શક્ય નથી. માટે આત્મવિશ્વાસ કેળવો અને સાચા રસ્તે મહેનત કરવા કટિબદ્ધ રહો. કારણ કે મહેનત વગર કંઈ જ મળતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ મહેનત કરવા તૈયાર જ નથી હોતો, એને મહેનત વિના જ ઘણું બધુ મેળવવું હોય છે, અને એ નિષ્ક્રિય બેસી રહે છે. અને પરીક્ષાની ઘડીએ આ આળસ જ ભયને જન્મ આપે છે. માટે એ પણ કહીશ કે ક્યારેય મહેનત કરવામાં આળસ કરવી જોઈએ નહીં. કારણ કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત એ જ સફળતાની ચાવી છે, જેનો કોઈ ટૂંકો રસ્તો નથી.

આજે વાત કરીએ ધોરણ દસ અને બારમાં ભણી રહેલા અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે, અને સાથે જ બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા મિત્રો માટે…! થોડા ઘણા સૂચનો અને ઉપાયો કે જે આ કહેવાતા પરીક્ષાના ભયને દૂર કરવામાં મદદ કરી શકે છે. પણ હા એક વાત યાદ રાખજો મિત્રો આ બધા જ ઉપાય કે સૂચન ત્યારે જ કામ લાગે છે જ્યારે આપણને પોતાને એના ઉપર વિશ્વાસ હોય. એ વગર એ સૂચનોનો કોઈ મતલબ નથી. માટે વિશ્વાસ કેળવી આ સૂચનોનું અનુસરણ કરજો.

વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું એમ કહીશ કે મમ્મી-પપ્પા, ગુરૂજનો અને વડીલો તમારા ઉપર જે અપેક્ષા રાખે છે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવો. માટે એ અપેક્ષાઓ પ્રત્યે જે ભય મનમાં હોય એને કાઢી નાખો. અને વિશ્વાસ રાખો કે તમે એ અપેક્ષાઓને પૂરી કરવા સક્ષમ છો એટલે જ તમારા વડીલો અને ગુરૂજનો આપેક્ષા રાખી રહ્યા છે. હવે જ્ઞાન મેળવવાનો સૌથી ઉત્તમ ઉપાય એટલે વાંચન. થોડું થોડું કરીને પણ રોજ વાંચન ચાલુ રાખવું જોઈએ. અરીસા સામે ઊભા રહી મોટા અવાજે વાંચવું જોઈએ. અને આ વાંચન દ્વારા મેળવેલું જ્ઞાન સ્થાયી રૂપે યાદ રાખવું હોય તો એને લખવાનું રાખવું જોઈએ. પરીક્ષાની તૈયારી માત્ર પરીક્ષા આવે ત્યારે નહીં પણ આખું વર્ષ મહેનત કરો. વાંચન અને લેખન દ્વારા જ્ઞાનનું સિંચન પોતાના મગજમાં કરો. રોજ સવારના ત્રણથી ચાર કલાક વાંચન માટે ફાળવો. સવારનો સમય ખૂબ જ લાભદાયી રહે છે, કારણ કે આપણું મન એ ખૂબ અતિક્રિયાશીલ હોય છે, અતિ ચંચલ હોય છે, અને એટલે જ વિચારોનો વંટોળ આપણી એકાગ્રતાને ભંગ કરી શકે છે, રાત્રિના આઠ કલાકના આરામ બાદ જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા મન મગજમાં વિચારોના વંટોળની ગતિ મંદ હોય છે જેને નિયંત્રિત કરી આપણે મનને વાંચનમાં એકાગ્ર કરી શકીએ છીએ. અને એકાગ્રતા પૂર્વક કરેલું કોઈ પણ કામ સફળ જ નીવડે… પછી એ વાંચન જ કેમ ના હોય…! સવાર સવારમાં વાંચન અને લેખન કરેલું જલ્દી યાદ રહી જાય છે. આ સિવાય શાળા અને ટ્યુશન ક્લાસમાં ગંભીરતા પૂર્વક ધ્યાન આપો. વિષયોને માત્ર રટો નહીં. શબ્દે શબ્દ સમજીને વાંચો, લખો. જો સમજીને વાંચશો અને લખવાની પ્રેક્ટિસ રાખશો તો ચોક્કસ યાદ રહી જશે અને ક્યારેય ભૂલી નહીં જવાય. વાંચન અને લેખન માટે સમય પત્રક બનાવવું જોઈએ. અને શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરી ભણવું જોઈએ. જ્યારે પણ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા બેસો ત્યારે આપણાં મગજમાં એકમાત્ર વિષય, અભ્યાસક્રમ, અને પ્રશ્નપત્ર હોવું જોઈએ. એ સિવાય કોઈપણ પ્રકારના પાસ, નાપાસ, સફળ, અસફળ વગેરે જેવા વિચારો મનમાં આવવા જોઈએ નહીં. બસ આત્મવિશ્વાસ પોતાના ઉપર અને શ્રદ્ધા ભગવાન ઉપર રાખી પ્રશ્નપત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષા આપવી.

આ સાથે એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુની અતિ હંમેશા નુકસાનકારક જ હોય છે. માટે ક્યારેય પુસ્તકિયા કીડા બનવા પ્રયત્ન ન કરવો. ભણતર, વાંચન અને લેખનની સાથે પોતાના મગજને આરામ અને મનોરંજન થકી રિફ્રેશ રાખવું પણ જરૂરી છે. તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દિવસમાં છ કલાકની ઊંઘ અને બે-ચાર કલાકની મનોરંજક પ્રવૃતિને પણ ભણતરની સાથે સ્થાન આપવું જોઈએ. સંગીત સાંભળવું, વાર્તા કે નવલકથાના પુસ્તક વાંચવા, થોડુઘણું ટીવી જોવું અથવા થોડીવાર બગીચામાં ફરવું, મિત્રો સાથે મજાક મસ્તી કરવી, પોતાની મનગમતી રમત રમવી. આમ મગજને સ્ફૂર્તિલૂ અને તરોતાજા રાખવા માટે પણ સમય ફાળવવો જોઈએ. જેથી આપણો સર્વાંગી વિકાસ સુદૃઢ રીતે થાય.

ચાલો આ સાથે સૌ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ…! અને જીવનની પરીક્ષા આપી રહેલા સૌ લોકોને પણ સકારાત્મક રહી બસ આવેલ પરીક્ષાને માણવા અને ભગવાન પર શ્રદ્ધા રાખી નિષ્ઠા પૂર્વક મહેનતથી પરીક્ષા પાર કરવી… સફળતાના રૂપમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય પણ મળશે જ.

હાર્દિક કલ્પદેવ પંડયા