મનની શક્તિ અપાર છે.!

મન શું છે? મન એટલે અખંડ ઉર્જાનો સ્રોત. આધુનિક ભાષામાં જો સમજીએ તો જો આપણે આપણાં શરીરને એક કોમ્પ્યુટર ગણીએ તો આપણું મગજ એ આપણું હાર્ડવેર છે અને આપણું મન એ સોફ્ટવેર… હા, આપણું મગજ એ માત્ર આપણાં શરીરનું એક અંગ છે એની અંદર વિચારો અને નિર્ણયો લેવાની શક્તિ આપનાર ઉર્જાસ્રોત એટલે આપણું મન…

આપણાં મન પાસે અસીમ, અપાર શક્તિનો ભંડાર રહેલો છે.. મનની એ શક્તિ દ્વારા આપણે જે કંઈ પણ મેળવવું હોય તે મેળવી શકીએ છીએ. એવું કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ અને માનીએ છીએ એ જ આપણે બની જઈએ છીએ.

આ મનની શક્તિ બે ભાગમાં વહેંચાયેલી છે. (૧) જાગૃત મન અને (૨) અર્ધજાગૃત મન. એમાં પણ આપણું જાગૃત મન માત્ર ૧૦ ટકા જ કામ કરે છે બાકી ૯૦ ટકા અર્ધજાગૃત મન કામ કરતું હોય છે. આપણાં રોજિંદા જીવનમાં જે કંઈ કામ કરીએ છીએ એ આપણાં જાગૃત મનથી જ થાય છે. જેમાં મહદંશે આપણી શારીરિક શક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આપણી મનની શક્તિનો ઉપયોગ નહિવત જ આપણે કરીએ છીએ. પણ આવું કેમ છે. એનું એકમાત્ર કારણ એ જ કે આપણને આ મનની શક્તિનો કઈ રીતે અને કેટલો ઉપયોગ કરવો એ શીખવાડવામાં જ નથી આવ્યું. ન શાળામાં, ન કોલેજમાં ન કોઈ એવી યુનિવર્સિટી છે કે જ્યાં આ મનની શક્તિ વિશે જ્ઞાન આપવામાં આવે. તો ચાલો આપણે આજે આ મનની શક્તિ વિષે જ જાણીએ.

આપણાં મનમાં એક આખા દિવસમાં ૬૦ હજાર જેટલા વિચારો ઉત્પન્ન થતાં હોય છે પણ દુ:ખની વાત એ છે કે એમાંથી ૮૦ ટકા વિચારો નકારાત્મક જ હોય છે. માત્ર ૨૦ જ ટકા વિચારો સકારાત્મક હોય છે. જો આ પ્રમાણ ઊલટું કરી નાંખીએ અને ૮૦ ટકા વિચારોને સકારાત્મક બનાવી દઈએ તો આપણે કંઈક એવા સર્જનાત્મક કામ કરી શકીએ છીએ જે આપણાં જ નહીં પણ આપણી આસપાસના સૌના જીવનમાં બદલાવ લાવી શકે છે. જીવન સાર્થક બનાવી શકાય છે. હા, નકારાત્મક વિચારો આવશે જ… કારણ કે એનું નિર્માણ પણ એ પરમ કૃપાળુ પરમાત્માએ જ કર્યું છે, જો એ વિચારો મનમાં લાવવા જ ન હોત તો એનું નિર્માણ, એ શબ્દનું પણ નિર્માણ પરમાત્માએ કર્યું ન હોત.. પણ એ નકારાત્મક વિચારો પર જીત મેળવી એમાંથી પણ તક ઊભી કરી એને સકારાત્મક પરિસ્થિતિમાં પરિવર્તિત જે કરી દે એ જ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. પોતાના જીવનમાં  સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પણ આકર્ષી શકે છે… લાવી શકે છે.

એક ભ્રમણા એવી પણ છે કે જેટલા ભણેલા ગણેલા એટલા જ આપણે સફળ વધુ થઈ શકીએ છીએ. પણ એવું કંઈ જ નથી, ઓછું ભણેલ વ્યક્તિ પણ તેના આત્મવિશ્વાસ અને મનની શક્તિથી સફળતાના શિખરોને આંબી શકે છે. આપણું મન એ ફળદ્રુપ જમીન જેવુ છે, એમાં જે વાવીશું એ ઊગી નીકળશે. જો આપણે એમાં સકારાત્મક વિચારો, સખત અને સાચી દિશામાં ઈમાનદાર મહેનતના બીજ વાવીશું તો સફળતાનું વૃક્ષ ચોક્કસ ઊગશે… અને સુખ અને સમૃદ્ધિના મીઠા ફળ પણ આપશે. પણ જો એમાં નકારાત્મક વિચારો અને આળસના બીજ વાવીશું તો નિષ્ફળતા અને નિરાશાના જ ફળ પ્રાપ્ત થશે. માટે શું વાવવું એ પસંદગી આપણી પોતાની જ છે. આ મનની શક્તિ એ અખંડ અપાર છે. કારણ કે આ શક્તિ એ પરમ કૃપાળુ પરમાત્મા સાથે સીધી જોડાયેલી છે. કોઈપણ પરિસ્થિતિમાં જો આપણે બહારની દુનિયામાં ઉકેલ શોધવા કરતાં આપણાં અંતરઆત્માને જ ઉકેલ પૂછીશું તો ખરેખર સાચો જ જવાબ મળશે, કારણ કે એ પરમાત્માનો જ જવાબ હોય છે. હવે તમે જ કહો કે પરમાત્માનો જવાબ ક્યારેય ખોટો હોય શકે ખરો?? જરાય નહીં…. અને જો એ પરમાત્મા જ આપણી પાસે આપણી અંદર હાજરાહજૂર હોય તો બહાર ફાંફાં મારવાની જરૂર જ શું???

આપણું આ મન એ સ્મરણ શક્તિનો ભંડાર છે. એની અંદર આપણે જેટલું ભરવું હોય તે ભરી શકાય. પણ જો એમાં આપણે નકારાત્મક વિચારો, ભાવનાઓ અને નકારાત્મક ઉર્જા ભરીશું તો આપણી પ્રગતિ અવરોધશે, અને જો સકારાત્મક વિચારો, ભાવના અને સકારાત્મક ઉર્જાને ભરીશું તો પ્રગતિના પંથે આગળ વધી શકીશું. અને સફળતાને પામી શકીશું. પરંતુ શું આ સફળતા મેળવવી જ પૂરતી છે?? ના… સફળતા સાથે ભાવનાત્મક રીતે સશક્ત હોવું પણ એટલું જ જરૂરી છે. આપણે સૌ દિવ્ય ભરતી, હિટલર અને ગુરુ દત્ત આ સૌ ખ્યાતનામ વ્યક્તિઓને ઓળખીએ છીએ. આ સૌ સુખી અને સમૃદ્ધ હતા. પણ તેઓ ભાવનાત્મક રીતે સશક્ત ન હતા અને એટલે જ અંતે તેમણે આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. જો આપણે સફળતાના શિખરો પર હોઈશું, સમૃદ્ધ હોઈશું, પણ જો આપણે ભાવનાત્મક રીતે સશક્ત નહીં હોઈએ તો આ બધુ જ નકામું છે. માટે હંમેશા ભાવનાત્મક રીતે પણ સશક્ત રહેવું… અને જે પરિસ્થિતિ સર્જાય એમાંથી તક કાઢવા અને એમાંથી બહાર નીકળવા પ્રયત્નશીલ રહેવું. કારણ કે તક તો પરમાત્મા બધાને આપે જ છે. એને ઓળખી ઝડપી લેવી કે ન ઓળખીને છોડી દેવી એ આપના હાથમાં જ હોય છે.

આપણે સામાન્ય રીતે જ્યારે વહેલા ઊઠવું હોય ત્યારે એલાર્મ મૂકીએ છીએ. અને ઘણી વખત તો આપણે એલાર્મ પણ બંધ કરીને પાછા સૂઈ જતાં હોઈએ છીએ… અને વહેલા ઉઠાવનું આયોજન નિષ્ફળ થાય છે. કારણ કે એ રીતે ઉઠવામાં આપણી અંદર સ્ફૂર્તિનો અભાવ રહે છે. પણ આપણી પોતાની અંદર એક માનસિક ઘડિયાળ રહેલી છે, જો એને એમ કહી દઈએ કે “મારે આટલા વાગ્યે ઊઠવું છે તો એ માનસિક ઘડિયાળ જ આપણને ઉઠાડી દે છે, અને એ પણ સ્ફૂર્તિ સાથે… એકવાર પ્રયત્ન કરી જો જો ચોક્કસ વિના એલાર્મ ઉઠી શકશો…

મિત્રો, આપણું મન એટલું સશક્ત છે કે આપણે ઈચ્છીએ તો આપણી ગંભીરમાં ગંભીર બીમારી પણ મનની એ શક્તિથી દૂર થઈ શકે છે. અને જો આપણે મનમાં ભરી દઈએ કે આપણે બીમાર છીએ તો જો બીમાર ન પણ હોઈએ તો પણ થઈ શકીએ છીએ. માટે જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દવા અને ડોક્ટરની મદદ લેવાની સાથે મનની શક્તિને પણ મજબૂત કરી કહેવાનું રાખો કે “હું સ્વસ્થ થઈ ગયો/ગઈ છું. મારી બીમારી દૂર થઈ ગઈ છે” આપણાં મનની એ અસીમ શક્તિ આપણને ખુબ જ જલ્દી સાજા કરી દેશે.

આપણું મન એ અખંડ ઉર્જા શક્તિનો પાવર જનરેટર છે. એ જે વિચારે તે બધુ જ કરી શકે છે, આપને એક ઉદાહરણ આપું તો ગુજરાતમાં એક સંત છે કે જેઓએ છેલ્લા ૮૦ વર્ષથી કંઈ જ ખાધું પીધું નથી. તેમ છતાં તેઓ સક્રિય અને સ્વસ્થ રહે છે. એમને એક પત્રકારે પુછ્યું કે,”આ શક્ય કઈ રીતે છે?” ત્યારે તેમણે માત્ર એટલું કહ્યું હતું કે,”હું રોજ સવારે ૧૫ મિનિટ સૂર્ય પાસેથી ઉર્જા લઉં છુ અને આખો દિવસ ઉરજવાન રહી શકું છું.” વિચારો મિત્રો જો કોઈ વ્યક્તિ માત્ર ૧૫ મિનિટ સૂર્ય ઉર્જા લઈ જીવી જ નહીં પણ આટલા તંદુરસ્ત અને સક્રિય રહી શકતા હોય તો આપણે તો શું શું ન કરી શકીએ… બધુ જ કરી શકીએ.. બસ જરૂર છે મનની શક્તિ ને ઓળખવાની અને ઇનો સદુપયોગ કરવાની…

મિત્રો આપણાં આ મન પાસે એવી અપાર શક્તિ છે કે આપણે જે ઇચ્છીએ એને આપણી તરફ આકર્ષિત કરી શકીએ છીએ.. અશક્ય કંઈ જ નથી. જો કે આ મનની શક્તિ વિશે લખવા બેસીએ તો આખું પુસ્તક લખી શકાય.. આ અખંડ ઊર્જાના સ્રોત એવા આપણાં મનને ચાલો યોગ અને સાધના થકી ઓળખવા પ્રયત્ન કરીએ અને જીવનમાં કંઈક સર્જનાત્મ કામ કરીએ… જીવનમાં આપણાં પોતાના માટે તો ઘણું કર્યું, હવે આ મનની શક્તિનો સદુપયોગ કરી દુનિયા માટે કંઈક કરીએ… ખરેખર એક સુખદ અનુભવ થશે… સાથે આ મનની શક્તિ થકી આપણને પણ લાભ તો ખરો જ. ચાલો જીવન બદલાવાના પંથે અગ્રેસર થઈએ.. જીવન બદલીએ, સંસાર બદલીએ… પોતાની અંદર સકારાત્મકતા ભરી સંસારને સકારાત્મકતા વહેંચીએ. અને પોતાની મનની શક્તિથી જ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પ્રાપ્ત કરીએ.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના… જરાય નહીં.

આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો વાત. અને આ ડરને દૂર કરવા અને પરીક્ષાથી બચવા આપઘાત જેવા ખોટા રસ્તે ચાલી નીકળે છે. જે ખરેખર ખોટું છે. મિત્રો, પરીક્ષા એ આપણને ડરાવવા કે હેરાન કરવા માટે નથી, બલ્કે આ પરીક્ષા એ આપના સર્વાંગી વિકાસ માટે અને આપની લાયકાતને પારખવા અને વધારવા માટેની પગદંડી છે. જેને પાર કરી આપણે સફળતાના મુકામે પહોંચીએ છીએ. માટે ક્યારેય પરીક્ષાથી ગભરાવું જોઈએ નહીં. બલ્કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત કરવી જોઈએ અને પોતાની મહેનત ઉપર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

જો કે હા, આવા પ્રેરક લેખ, પ્રેરક વકતાવ્યો માત્ર પ્રેરણા પૂરી પાડી શકે છે, બાકી આત્મવિશ્વાસ સૌએ પોતાની અંદરથી જાતે જ જગાવવો પડે. અંદરથી આત્મવિશ્વાસ ન જાગે ત્યાં સુધી કંઈ જ શક્ય નથી. માટે આત્મવિશ્વાસ કેળવો અને સાચા રસ્તે મહેનત કરવા કટિબદ્ધ રહો. કારણ કે મહેનત વગર કંઈ જ મળતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ મહેનત કરવા તૈયાર જ નથી હોતો, એને મહેનત વિના જ ઘણું બધુ મેળવવું હોય છે, અને એ નિષ્ક્રિય બેસી રહે છે. અને પરીક્ષાની ઘડીએ આ આળસ જ ભયને જન્મ આપે છે. માટે એ પણ કહીશ કે ક્યારેય મહેનત કરવામાં આળસ કરવી જોઈએ નહીં. કારણ કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત એ જ સફળતાની ચાવી છે, જેનો કોઈ ટૂંકો રસ્તો નથી.

આજે વાત કરીએ ધોરણ દસ અને બારમાં ભણી રહેલા અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે, અને સાથે જ બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા મિત્રો માટે…! થોડા ઘણા સૂચનો અને ઉપાયો કે જે આ કહેવાતા પરીક્ષાના ભયને દૂર કરવામાં મદદ કરી શકે છે. પણ હા એક વાત યાદ રાખજો મિત્રો આ બધા જ ઉપાય કે સૂચન ત્યારે જ કામ લાગે છે જ્યારે આપણને પોતાને એના ઉપર વિશ્વાસ હોય. એ વગર એ સૂચનોનો કોઈ મતલબ નથી. માટે વિશ્વાસ કેળવી આ સૂચનોનું અનુસરણ કરજો.

વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું એમ કહીશ કે મમ્મી-પપ્પા, ગુરૂજનો અને વડીલો તમારા ઉપર જે અપેક્ષા રાખે છે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવો. માટે એ અપેક્ષાઓ પ્રત્યે જે ભય મનમાં હોય એને કાઢી નાખો. અને વિશ્વાસ રાખો કે તમે એ અપેક્ષાઓને પૂરી કરવા સક્ષમ છો એટલે જ તમારા વડીલો અને ગુરૂજનો આપેક્ષા રાખી રહ્યા છે. હવે જ્ઞાન મેળવવાનો સૌથી ઉત્તમ ઉપાય એટલે વાંચન. થોડું થોડું કરીને પણ રોજ વાંચન ચાલુ રાખવું જોઈએ. અરીસા સામે ઊભા રહી મોટા અવાજે વાંચવું જોઈએ. અને આ વાંચન દ્વારા મેળવેલું જ્ઞાન સ્થાયી રૂપે યાદ રાખવું હોય તો એને લખવાનું રાખવું જોઈએ. પરીક્ષાની તૈયારી માત્ર પરીક્ષા આવે ત્યારે નહીં પણ આખું વર્ષ મહેનત કરો. વાંચન અને લેખન દ્વારા જ્ઞાનનું સિંચન પોતાના મગજમાં કરો. રોજ સવારના ત્રણથી ચાર કલાક વાંચન માટે ફાળવો. સવારનો સમય ખૂબ જ લાભદાયી રહે છે, કારણ કે આપણું મન એ ખૂબ અતિક્રિયાશીલ હોય છે, અતિ ચંચલ હોય છે, અને એટલે જ વિચારોનો વંટોળ આપણી એકાગ્રતાને ભંગ કરી શકે છે, રાત્રિના આઠ કલાકના આરામ બાદ જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા મન મગજમાં વિચારોના વંટોળની ગતિ મંદ હોય છે જેને નિયંત્રિત કરી આપણે મનને વાંચનમાં એકાગ્ર કરી શકીએ છીએ. અને એકાગ્રતા પૂર્વક કરેલું કોઈ પણ કામ સફળ જ નીવડે… પછી એ વાંચન જ કેમ ના હોય…! સવાર સવારમાં વાંચન અને લેખન કરેલું જલ્દી યાદ રહી જાય છે. આ સિવાય શાળા અને ટ્યુશન ક્લાસમાં ગંભીરતા પૂર્વક ધ્યાન આપો. વિષયોને માત્ર રટો નહીં. શબ્દે શબ્દ સમજીને વાંચો, લખો. જો સમજીને વાંચશો અને લખવાની પ્રેક્ટિસ રાખશો તો ચોક્કસ યાદ રહી જશે અને ક્યારેય ભૂલી નહીં જવાય. વાંચન અને લેખન માટે સમય પત્રક બનાવવું જોઈએ. અને શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરી ભણવું જોઈએ. જ્યારે પણ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા બેસો ત્યારે આપણાં મગજમાં એકમાત્ર વિષય, અભ્યાસક્રમ, અને પ્રશ્નપત્ર હોવું જોઈએ. એ સિવાય કોઈપણ પ્રકારના પાસ, નાપાસ, સફળ, અસફળ વગેરે જેવા વિચારો મનમાં આવવા જોઈએ નહીં. બસ આત્મવિશ્વાસ પોતાના ઉપર અને શ્રદ્ધા ભગવાન ઉપર રાખી પ્રશ્નપત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષા આપવી.

આ સાથે એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુની અતિ હંમેશા નુકસાનકારક જ હોય છે. માટે ક્યારેય પુસ્તકિયા કીડા બનવા પ્રયત્ન ન કરવો. ભણતર, વાંચન અને લેખનની સાથે પોતાના મગજને આરામ અને મનોરંજન થકી રિફ્રેશ રાખવું પણ જરૂરી છે. તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દિવસમાં છ કલાકની ઊંઘ અને બે-ચાર કલાકની મનોરંજક પ્રવૃતિને પણ ભણતરની સાથે સ્થાન આપવું જોઈએ. સંગીત સાંભળવું, વાર્તા કે નવલકથાના પુસ્તક વાંચવા, થોડુઘણું ટીવી જોવું અથવા થોડીવાર બગીચામાં ફરવું, મિત્રો સાથે મજાક મસ્તી કરવી, પોતાની મનગમતી રમત રમવી. આમ મગજને સ્ફૂર્તિલૂ અને તરોતાજા રાખવા માટે પણ સમય ફાળવવો જોઈએ. જેથી આપણો સર્વાંગી વિકાસ સુદૃઢ રીતે થાય.

ચાલો આ સાથે સૌ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ…! અને જીવનની પરીક્ષા આપી રહેલા સૌ લોકોને પણ સકારાત્મક રહી બસ આવેલ પરીક્ષાને માણવા અને ભગવાન પર શ્રદ્ધા રાખી નિષ્ઠા પૂર્વક મહેનતથી પરીક્ષા પાર કરવી… સફળતાના રૂપમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય પણ મળશે જ.

હાર્દિક કલ્પદેવ પંડયા