કરો સવારની સકારાત્મક શરૂઆત અને બનાવો દિવસ આખો તહેવાર..!!

એવું કહેવાય છે કે જેની સવાર સુધરી એનો આખો દિવસ સુધરી ગયો! પણ કેમ? કારણ કે સવાર એટલે નવા દિવસની શરૂઆત. નવો દિવસ એટલે નવું જીવન અને નવો પ્રારંભ…!!! અને એટલે જ કહેવાય છે કે દિવસની શરૂઆત એટલે કે સવાર સકારાત્મક રીતે થાય અને આનંદ પૂર્વક થાય એ ખૂબ સારું. અને એ માટે આપણે સૌએ કેટલી સકારાત્મક આદતોને કેળવવી જોઈએ. અને આજે એ જ વિષે હું વાત કરવા જઈ રહ્યો છુ.

દિવસની શરૂઆતના પહેલા બે કલાક ઓછામાં ઓછા આ સકારાત્મક પ્રવૃત્તિ માટે ફાળવવા જોઈએ. તો ચાલો જોઈએ એ સકારાત્મક પ્રવૃત્તિ કઈ છે. પહેલા તો ઊઠીને તરત મોબાઇલ અને એવા બીજા આધુનિક ઉપકરણોને હાથમાં લેવાની આદત છોડવી. અને ઉઠ્યા બાદ સીધા જ બીજા કામોમાં લાગ્યા વિના દસ મિનિટ મૌન પાળવું.. આમ તો હું લગભગ એક કલાક ઓછામાં ઓછું મૌન પાળવાની સલાહ આપું છું. પણ શક્ય ન હોય તો પણ દસ મિનિટ તો ચોક્કસ મૌન પાળવું અને એક જગ્યાએ ચૂપચાપ બેસી રહેવું. હા, મનોમન જે ભગવાનને માનતા હોઈએ એમનું નામ જપ કરી શકાય, મંત્રોચ્ચાર કરી શકાય. ત્યાર પછી એક ચિત્ત થઈ ધ્યાન કરવું અને આપણાં અંતરની સફરે નીકળવું. ધ્યાન એટલે આપણાં અંતરમાં વિરાજમાન ભગવાન સાથે વાતો કરવાનો એક સોનેરી અવસર.. જ્યારે આપણે ભગવાન સાથે એકાંતનો સમય ગાળી શકીએ છીએ. અને આપણાં પ્રશ્નોનાં ઉકેલ પણ મેળવી શકીએ છીએ. અને સાચું માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ખરેખર આ ધ્યાન એ મનની શાંતિ અને પ્રફુલ્લિતતા મેળવવા માટે ખૂબ કારગર સાબિત થઈ શકે છે.

ત્યાર બાદ હળવી પણ શરીરને સ્વસ્થ રાખવા જરૂરી એવી કસરતો કરવી. કસરત અને યોગાસન માટે વધુ નહીં તો પણ વીસથી પચ્ચીસ મિનિટનો સમય ફાળવવો જોઈએ. આપણી તન્દુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિની વૃદ્ધિ માટે એ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કસરત અને યોગાસન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે શરીરની એક એક માંસપેશીઓ ખુલી જાય છે, જકડન જેવુ ક્યાંય પણ હોય તો તે નીકળી જાય છે. અને લોહીનું ભ્રમણ આખા શરીરમાં સપ્રમાણ થવા લાગે છે. આ પ્રવૃત્તિ એટલે આપણી અંદર એક ઉર્જાનો સંચાર કરવાનો ઉત્તમ ઉપાય. શરીરની તન્દુરસ્તી માટે જેટલી જરૂરી કસરત છે એટલું જ જરૂરી પ્રાણાયામ પણ છે. પ્રાણાયામ એટલે આપણાં શરીરની બોત્તેર હજાર નાડીઓમાં સપ્રમાણ ઑક્સીજન પહોંચાડવાનો સરસ ઉપાય. આ પ્રાણાયામ દ્વારા આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરી શકીએ છીએ. આમ તો પ્રાણાયામ ઘણા પ્રકારના છે. અને દરેક પ્રાણાયામનું એક આગવું મહત્વ છે. પણ સર્વ સામાન્ય પ્રાણાયામ એટલે અનુલોમ વિલોમ… ઓછામાં ઓછા બાર સાઇકલ આ અનુલોમ વિલોમ કરવાથી આપણાં શરીરની બધી જ નાડીઓમાં સપ્રમાણ ઑક્સીજન પહોંચી શકે છે. અને એ સાથે જ આપણાં શરીરમાં વહેતા લોહીનું શુદ્ધિકરણ ખૂબ જ સરસ રીતે થાય છે.

ત્યાર બાદ આપણે થોડો સમય આપણાં ધ્યેયની પૂર્તિ માટે પણ ફાળવવો જોઈએ. અહીં હું એમ કહીશ કે એક નોટબૂક બનાવવી જોઈએ, જેમાં આપણે રોજ પોતાનો ધ્યેય એટલે કે “GOAL” લખીએ અને પછી તેને ત્રણ વખત મોટેથી વાંચીએ. આમ કરવાથી આપણાં અર્ધજાગૃત મનને આપણે તૈયાર કરી શકીએ છીએ આપણાં સપનાઓ અને ઇચ્છાઓને પૂરા કરવા કાર્યરત થવા માટે. આ લખાણ પૂરું કર્યા પછી આપણે વિઝ્યુલાઇઝેશન અને એફરમેશનની પ્રવૃત્તિ એટલે કે આપણાં સ્વપ્નના જીવનને મનની આંખો આગળ કાલ્પનિક રીતે ચિત્રબદ્ધ કરવું અને તેને સત્ય માનવા આપણાં અર્ધજાગૃત મનને તૈયાર કરવું. આ એક આકર્ષણના સિદ્ધાંત રૂપ પ્રવૃત્તિ છે જેના દ્વારા આપણે આપણાં સપનાઓ સાકાર કરી શકીએ છીએ.

અને ત્યાર બાદ સૌથી છેલ્લે “love yourself” પ્રવૃત્તિ એટલે કે પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું… ચોક્કસ આ પ્રવૃત્તિ કરવી જોઈએ. આપણી અંદર સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે આ ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિ છે. કારણ કે જો આપણે પોતાની જાતને પ્રેમ નહીં કરી શકીએ તો પછી આપણે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકીશું? અને એ સાથે જ આપણે આપણાં કામને પણ કેવી રીતે પ્રેમથી નિષ્ઠાપૂર્વક કરી શકીશું? બસ આ બધુ પૂરું કરવામાં આપણને આ પ્રવૃત્તિ ખરેખર મદદરૂપ થાય છે. આપણને આપણાં નિર્ણયો પર પણ ઘણી વખત અવિશ્વાસ ઊભો થતો હોય છે અને એ જ અપૂરતો વિશ્વાસ જ આપણી નિષ્ફળતાનું કારણ બને છે. માટે જો આપણે આ પ્રવૃત્તિ કરીએ તો ચોક્કસ આપનો આત્મવિશ્વાસ વધશે અને આપણે આત્મવિશ્વાસ સાથે પોતાના નિર્ણયો લઈ શકીશું. અને સફળતા પણ પ્રાપ્ત કરી શકીશું.

આટલું પણ કરીને જો આપણે આપણાં દિવસની શરૂઆત કરીએ તો જે સકારાત્મક ઉર્જા આપણી અંદર ઉદ્દભવે છે તે આપણને આખો દિવસ સકારાત્મક અને સ્ફૂર્તિવાન બની રહેવામાં મદદ કરે છે અને આપણાં બધા જ કામ સફળ થાય છે. એટલું જ નહીં પણ ઘર પરિવારમાં પણ સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે અને પ્રેમ અને સ્નેહભર્યા સંબંધો વધુ મજબૂત થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થય અને સફળતા લાવવા આપણી દિવસની શરૂઆત ચોક્કસ આ પ્રકારની સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કરવી જોઈએ.

તો ચાલો કરીએ શરૂઆત આજથી જ સકારાત્મક સવારની… આ સરસ મજાની પ્રવૃતિઓથી સવારને સકારાત્મક બનાવી દિવસની શરૂઆત કરીએ. આપણાં ઇચ્છિત ભવિષ્યની ડોર આપણાં હાથમાં લઈએ. બનાવીએ આપણાં જીવનને તહેવાર આ સકારાત્મક આદતો કેળવીને..!!

હાર્દિક કલ્પદેવ પંડ્યા

બાળપણ ખોવાઈ રહ્યું છે!!

બાળપણ… આહા… શબ્દ સાંભળતા જ મનમાં એક બાળક જન્મ લઈ લે… આખાય ચહેરા પર ચમક આવી જાય. અંતરમન ખેલકૂદ કરવા થનગની ઊઠે. પણ ખરેખર આજે જોઈએ તો બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે.

નાના બાળકોની વાત કરીએ તો, બાળકોમાં પણ બાળપણથી જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે એમનું બાળપણ એમની પાસેથી છીનવી લીધું છે. અને આ જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે પણ બાળક બની બાળકો સાથે રમવાની એ મજા ને ભૂલી ગયા છીએ.

યાદ કરવા બેસીએ કે છેલ્લે ક્યારે નિખાલસ બાળક બની એક બાળકની જેમ બાળકો સાથે રમ્યા હતાં??? તો કદાચ દિવસ આખો નીકળી જશે પણ એક દિવસ શું, એક ક્ષણ પણ એવી યાદ નહીં આવે. ઘણું તો આપણે બાળકની નિખાલસતા અને પ્રમાણિક્તા પણ આપણા બાળપણમાં જ છોડી આવ્યા છીએ. લાલચ અને લોભ, ઈર્ષા અને દ્વેષ ભાવ એટલી હદે આપણે પોતાની અંદર ભરી દીધા છે કે આપણે સાચું ખોટું બધુ જ ભૂલી ગયા છીએ. બાળકોને આપણે સાચું બોલવાના, પ્રમાણિક્તા અને ઈમાનદારીના પાઠ ભણવીએ પણ આપણે પોતે જ એમાંથી કશું આપણા જીવનમાં ન ઊતારીએ તો બાળકોમાં એ સંસ્કાર ક્યાંથી આવે? બાળકો બાળપણમાં જે કંઈ શીખે છે એમાંથી નેવું ટકા નિરિક્ષણ દ્વારા… જે જુએ છે એ જ શીખે છે… હવે આપણે જ ઘૂસખોરી, અપ્રમાણિકતા, અને ભ્રષ્ટાચારને આદરીશું તો બાળકો બીજું શું શીખશે.? આપણે જ વાતે વાતે ગુસ્સા, ઝગડા અને વાદવિવાદ કરીશું અને પોતાને સાચા પાડવાના ખોટી રીતે પ્રયત્ન કરીશું તો બાળકો બીજું શું શીખશે?

ખેર… આજે તો વાત માત્ર એ બાળપણને જીવવાની અને એ બાળપણ સમું જીવન માણવાની જ કરવી છે… તમે ક્યારેય નાના ભૂલકાઓને ચિંતાતુર જોયા છે ખરાં??? ના જરાય નહીં… એ હંમેશા નિશ્ચિંત જ જોવા મળે… કારણ કે એમને જીવન જીવતા નહીં પણ માણતા આવડે છે. એ જીવનની દરેકે દરેક પળને માણી જાણે છે. અને એટલે જ એમના ચહેરા પર સ્મિત કાયમી અકબંધ રહે છે. અને ભગવાન પણ એ ભોળા બાળપણમાં જ વસે છે… બાળકો જે કંઈપણ નવું કરે એમાં જલ્દી સફળ થાય છે, પ્રાથમિક ધોરણોમાં તેઓ હંમેશા પહેલા ને બીજા નંબરે પાસ થાય છે, એનું કારણ ખબર છે? કારણ કે એ સમયે એ માત્ર સફળતાની હોડમાં દોડ નથી લગાવતા પણ જે કંઈ કામ કરે એ પોતાના આનંદ માટે અને કંઈક નવું શીખવાની જિજ્ઞાશા સહ કરે છે. અને એ જ ગુણ એમને સફળતા અપાવે છે. કારણ કે એ જે-તે કામ(ભણતર)માં પોતાને ખુશ રહેવાનુ કારણ શોધતા હોય છે… પોતાનો આનંદ શોધતા હોય છે. પણ એ આનંદમાં ક્યારેય કોઈનું નુકસાન કરવાની ભાવના નથી હોતી. અને એ જ પવિત્રતા એમના જલ્દી સફળ થવાનું મુખ્ય કારણ છે. આપણે જેમ જેમ મોટા થતાં જઈએ છીએ એમ એમ આપણી અંદર પોતાની પ્રગતિના વિચારો કરતાં બીજાની અધોગતિ અથવા બીજાની પ્રગતિ પ્રત્યે ઈર્ષાભાવ પહેલા આવે છે અને એ જ કારણ છે કે આપણે સફળતાને પામી શકતા નથી. આપણાં ભાવ અને વિચાર જો બાળક જેવા સકારાત્મક,  શુદ્ધ અને પવિત્ર જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે તો આપણે જીવનમાં જે સફળતા જોઈએ છે એ પ્રાપ્ત કરી જ શકીએ અને એટલું જ નહીં એ સફળતા અને સુખને માણી પણ શકીએ.

જીવનનો કોઈપણ તબક્કો હોય એમાં આપણી અંદર એક બાળક હંમેશા જીવંત રહેવું જ જોઈએ. એની એ નિખાલસતા, ભોળાપણું, અને પવિત્રતા એ આપણાં જીવનને ઉત્તમ અને આદર્શ બનાવવા માટેના મૂળભૂત મૂલ્યો છે. આ બાળપણ જ છે જે જીવનનો સાચો અર્થ શીખવે છે… જીવનનો સાચો અર્થ જીવન માત્ર જીવી નાંખવામાં નહીં પણ જીવનને માણવામાં છે.. દરેકે દરેક દિવસ અને દરેકે દરેક પળ એક તહેવારની જેમ માણવી જોઈએ…

પણ આ બાળકને શોધવા અને એ બાળકને આપણાં જીવનમાં જીવંત રાખવા કરવું તો શું??

૧) પોતાના જીવનમાં એક બાળક જીવંત રાખવા હંમેશા અકારણ સ્મિત રાખી સૌને મળીએ.

૨) નાનામાં નાની પ્રવૃત્તિ વિના કોઈ સંકોચ કરવા તૈયાર રહેવું.

૩) રમતો રમવામાં ક્યારેય શરમ ન અનુભવતા નિખાલસ બની રમવી.

૪) જાતને ખુશી ક્યાંથી મળે એ શોધવામાં રસ કેળવવો.

૫) હંમેશા પોતાની સાથે બીજા માટે પણ સકારાત્મક વલણ અને મદદની ભાવના કેળવવી.

૬) બાળકની જેમ કોઇની સાથે ઝગડો થાય તોય અંતે તો સામે ચાલીને એ મન મુટાવ દૂર કરીએ…

આવા કેટલાય ગૂણો છે બાળકો પાસે શીખવાના… બસ એ જ શીખી પોતાની અંદર જીવનભર જીવંત રાખીએ અને આપણાં બાળકોને પણ શીખવીએ…

ચાલો, ફરી એ ખોવાઈ ગયેલા આપણી અંદરના બાળકને શોધી લઈએ અને જીવનને માણવાની શરૂઆત કરીએ.. જીવનને સાર્થક બનાવીએ.

હાર્દિક કલ્પદેવ પંડયા

મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ… સ્વતંત્રતા દિન… આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે દેશની સેવા કરવાનું વિચાર્યું છે ખરું? દેશની સેવા કરવી એટલે કંઈ દેશની સીમા પર જઈ સુરક્ષામાં તૈનાત થવાની જરૂર નથી. દેશ પ્રત્યેની આપણી અમુક મૂળભૂત ફરજો અને જવાબદારીને નિષ્ઠા પૂર્વક નિભાવીએ એ પણ દેશની સેવા જ છે.

ચાલો જાગ્યા ત્યારથી સવાર કહેવતને સાચી પાડી આજથી જાગી જઈએ અને કંઈક નવું વિચારીએ… આપણાં મહાન ભારત દેશને એક નવો દૃષ્ટિકોણ આપીએ.

આ હડતાળ, દંગા, ફસાદના નામે કામ રોકી સાર્વજનિક જગ્યાએ તોડફોડ અને ધમાલ કરી જે વિરોધ નોંધાવી છીએ શું એની ખરેખર જરૂર છે ખરી? જો વિરોધ કરવો જ હોય તો કંઈક ક્રિએટિવ રીતે ન કરી શકાય…

જેમ કે… થોડા સમય પહેલાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફના હડતાળના સમાચાર મળ્યા હતા. એ વખતે કેટલાય દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હડતાળના નામે ઈલાજ રોકવાની જગ્યાએ એ જ ડૉક્ટરો હોસ્પિટલના ખર્ચે દર્દીઓ પાસેથી પૈસા લીધા વગર સારવાર કરે તો? ખર્ચો વધશે પણ કમાણી નહીં થાય તો હોસ્પિટલ મેનેજમેન્ટ ડોકટોરોની વાત માની જ લેશે ને. અને દર્દીઓ પણ સચવાઈ જશે. દર્દીઓના અને તેમના સગાસંબંધીઓના આશિષ મળશે એ તો પાછું બોનસ… કહો શું આ રસ્તો ખોટો છે કે સાચો??

ફેક્ટરી વર્કર અને નોકરિયાતો પણ પગાર વધારા માટે હડતાળ કરે છે. પણ વિચરતા નથી કે નુકસાન કેટલું થાય છે. પોતાના જ ઘરમાં પૈસાની ખેંચ જે પહેલાથી હતી એ વધે… માનસિક તાણ વધે… મજૂર કક્ષાના છોકરાછૈયાં તો બિચારા ભૂખ્યા મરે… પણ હવે જો વિરોધનાં નામે એવું કરે કે ડબલ ટ્રીપલ પ્રોડક્શન/માર્કેટિંગ વધારી દે તો ફેક્ટરી/કંપની માલિકોને માલ/સેવા વેચવામાં નાકે દમ આવી જાય તો બોલો શું એ તમારી માંગ પૂરી ન કરે??

હવે વાત કરીએ ફિલ્મોની… તો પી.કે.થી લઈને ઓહ માય ગોડ ને એવી કેટલીયે ફિલ્મોના વિરોધ અને વિરોધના નામે તોડફોડ, દંગા એનો તો જાણે ટ્રેન્ડ છે. શું આપણી શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક ભાવના એટલી ખોખલી છે કે ફિલ્મના એક નાનકડા દૃશ્ય કે ડાયલોગ દ્વારા એ આહત થઈ જાય?? ફિલ્મ જોવી, ન જોવી એ આપનો અંગત વિષય છે આપણે ન જોવી હોય તો ન જોઈએ.. વધુમાં વધુ આપણાં પ્રિયજનો અને ઓળખીતાને આગ્રહ કરીએ કે એ પણ ન જૂએ. અને એમને કહીએ કે એ એમના ઓળખીતાઓને ના પાડે.. આમ શાંતિ પૂર્વક વિરોધ ન કરી શકાય? ફિલ્મ બનાવવી એ પ્રોડ્યુસર, ડાઈરેકક્ટરનું કામ છે. એ પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા આ કામ કરે છે. અને સાથે જ કેટકેટલા નાનામોટા કર્મચારીઓનું પેટ પાળે છે. ફિલ્મો એ આપણાં સમાજનું જ એક દર્પણ છે પણ એ દર્પણ બતાવવામાં જો એ કોઈ ભૂલ કરતાં હોય તો ભૂલ બતાવો પણ શાંતિથી… કોઈ ફિલ્મ જોવા જશે જ નહીં તો ૨-૪ દિવસમાં ફિલ્મ ઉતરી જશે. પેલા ડાઈરેકક્ટરને પણ સમજાઈ જશે કે એની ફિલ્મમાં કંઈક ખોટું હશે એટલે જ ફિલ્મ ન ચાલી… કિસ્સો પૂરો. એમાં બસો અને બાઈકો બાળવાની ને લોકોના હાડકાં તોડવાની, હુલ્લડો કરવાની શું જરૂર છે?

આ બધાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે ટ્રાફિક નિયમોને પણ તાક પર મૂકી દઈને વાહન ચલાવીએ છીએ. શું એ ખોટું નથી?? આપણાં પોતાના માટે જ જોખમી નથી? આ ટ્રાફિકના નિયમો પાળી “દુર્ઘટના કરતાં દેરી ભલી” કહેવતને માની ન શકીએ?? આપણાં અને બીજાના પણ જીવનું રક્ષણ આ નિયમ પાલનથી કરીએ તો એ પણ દેશ સેવા જ છે ને???

એમ જ કાર, સ્કુટર વગેરે વાહનોની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાહનોમાં ઈન-બીલ્ટ સ્પુટમ ટેન્ક અને ડસ્ટબીન મૂકે તો કેવું? પબ્લિક પણ એનો આગ્રહપૂર્વક ઉપયોગ કરે તો કેટલું સરસ? આ તૈયાર નાસ્તાના પેકેટ બનાવતી કંપનીઓ એવી ઑફર કાઢે કે ખાલી પેકેટ પાછા આપો અને ૫૦% પૈસા પાછા મેળવો. ૧૦૱. નું એક પેકેટ(ખાલી) દુકાન પર પાછું આપો તો ૫૱ પરત મેળવો અને ૫ ૱ વાળું પેકેટ આપો તો ૨ ૱ પરત… બોલો કોઈ કચરો બહાર ફેંકી દે.? ખીસ્સામાં ભરી રાખે ને.. ખરું કે ખોટું?? દેશમાં સ્વચ્છતા લાવવાનો આ રસ્તો ન અપનાવી શકીએ આપણે??

પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવીએ. દેશમાં પ્રદૂષણ થતું અટકાવવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. કાપડની થેલી માટે કપાસનું ઉત્પાદન વધારીએ.. તમાકુની ખેતી કરવાની જગ્યાએ વરિયાળીની ખેતી કરીએ.. તમાકુની પ્રોડક્ટ જો બે ૱ એ વેચાતી હોય તો વરિયાળીના પેકેટ પાંચ ૱ માં વેચીએ. એલ્કોહોલિક પ્રોડક્ટની જગ્યાએ દુધ, છાશ, ને જ્યુસની ફેક્ટરી નાખીએ. ભલે એ દુધ, છાશ દસને બદલે ત્રીસમાં વેચીએ.. કમ સે કમ ભારતની યુવા શક્તિ વ્યસનથી તો મુક્ત રહેશે. આપણાં દેશનો યુવા, વૃદ્ધ, તરુણ વ્યાસંમુક્ત થશે તો સ્વસ્થ રહેશે. લાંબુ જીવશે. કર્મઠ બની કામ કરશે અને પોતાના પરિવારની સમૃદ્ધિની સાથે દેશમાં પ્રગતિ લાવવામાં પણ યોગદાન આપી શકશે. ચાલો આવા નાનામોટા સુધારા આપણી જાતે લાવી બને એટલું આપણે દેશને સુધારવામાં, દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવામાં યોગદાન આપીએ. અને આ સ્વતંત્રતાના પર્વને એક અનોખી રીતે ઉજવીએ. આખું વર્ષ ઉજવીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.

સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.

ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ

અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના… જરાય નહીં.

આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો વાત. અને આ ડરને દૂર કરવા અને પરીક્ષાથી બચવા આપઘાત જેવા ખોટા રસ્તે ચાલી નીકળે છે. જે ખરેખર ખોટું છે. મિત્રો, પરીક્ષા એ આપણને ડરાવવા કે હેરાન કરવા માટે નથી, બલ્કે આ પરીક્ષા એ આપના સર્વાંગી વિકાસ માટે અને આપની લાયકાતને પારખવા અને વધારવા માટેની પગદંડી છે. જેને પાર કરી આપણે સફળતાના મુકામે પહોંચીએ છીએ. માટે ક્યારેય પરીક્ષાથી ગભરાવું જોઈએ નહીં. બલ્કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત કરવી જોઈએ અને પોતાની મહેનત ઉપર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

જો કે હા, આવા પ્રેરક લેખ, પ્રેરક વકતાવ્યો માત્ર પ્રેરણા પૂરી પાડી શકે છે, બાકી આત્મવિશ્વાસ સૌએ પોતાની અંદરથી જાતે જ જગાવવો પડે. અંદરથી આત્મવિશ્વાસ ન જાગે ત્યાં સુધી કંઈ જ શક્ય નથી. માટે આત્મવિશ્વાસ કેળવો અને સાચા રસ્તે મહેનત કરવા કટિબદ્ધ રહો. કારણ કે મહેનત વગર કંઈ જ મળતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ મહેનત કરવા તૈયાર જ નથી હોતો, એને મહેનત વિના જ ઘણું બધુ મેળવવું હોય છે, અને એ નિષ્ક્રિય બેસી રહે છે. અને પરીક્ષાની ઘડીએ આ આળસ જ ભયને જન્મ આપે છે. માટે એ પણ કહીશ કે ક્યારેય મહેનત કરવામાં આળસ કરવી જોઈએ નહીં. કારણ કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત એ જ સફળતાની ચાવી છે, જેનો કોઈ ટૂંકો રસ્તો નથી.

આજે વાત કરીએ ધોરણ દસ અને બારમાં ભણી રહેલા અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે, અને સાથે જ બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા મિત્રો માટે…! થોડા ઘણા સૂચનો અને ઉપાયો કે જે આ કહેવાતા પરીક્ષાના ભયને દૂર કરવામાં મદદ કરી શકે છે. પણ હા એક વાત યાદ રાખજો મિત્રો આ બધા જ ઉપાય કે સૂચન ત્યારે જ કામ લાગે છે જ્યારે આપણને પોતાને એના ઉપર વિશ્વાસ હોય. એ વગર એ સૂચનોનો કોઈ મતલબ નથી. માટે વિશ્વાસ કેળવી આ સૂચનોનું અનુસરણ કરજો.

વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું એમ કહીશ કે મમ્મી-પપ્પા, ગુરૂજનો અને વડીલો તમારા ઉપર જે અપેક્ષા રાખે છે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવો. માટે એ અપેક્ષાઓ પ્રત્યે જે ભય મનમાં હોય એને કાઢી નાખો. અને વિશ્વાસ રાખો કે તમે એ અપેક્ષાઓને પૂરી કરવા સક્ષમ છો એટલે જ તમારા વડીલો અને ગુરૂજનો આપેક્ષા રાખી રહ્યા છે. હવે જ્ઞાન મેળવવાનો સૌથી ઉત્તમ ઉપાય એટલે વાંચન. થોડું થોડું કરીને પણ રોજ વાંચન ચાલુ રાખવું જોઈએ. અરીસા સામે ઊભા રહી મોટા અવાજે વાંચવું જોઈએ. અને આ વાંચન દ્વારા મેળવેલું જ્ઞાન સ્થાયી રૂપે યાદ રાખવું હોય તો એને લખવાનું રાખવું જોઈએ. પરીક્ષાની તૈયારી માત્ર પરીક્ષા આવે ત્યારે નહીં પણ આખું વર્ષ મહેનત કરો. વાંચન અને લેખન દ્વારા જ્ઞાનનું સિંચન પોતાના મગજમાં કરો. રોજ સવારના ત્રણથી ચાર કલાક વાંચન માટે ફાળવો. સવારનો સમય ખૂબ જ લાભદાયી રહે છે, કારણ કે આપણું મન એ ખૂબ અતિક્રિયાશીલ હોય છે, અતિ ચંચલ હોય છે, અને એટલે જ વિચારોનો વંટોળ આપણી એકાગ્રતાને ભંગ કરી શકે છે, રાત્રિના આઠ કલાકના આરામ બાદ જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા મન મગજમાં વિચારોના વંટોળની ગતિ મંદ હોય છે જેને નિયંત્રિત કરી આપણે મનને વાંચનમાં એકાગ્ર કરી શકીએ છીએ. અને એકાગ્રતા પૂર્વક કરેલું કોઈ પણ કામ સફળ જ નીવડે… પછી એ વાંચન જ કેમ ના હોય…! સવાર સવારમાં વાંચન અને લેખન કરેલું જલ્દી યાદ રહી જાય છે. આ સિવાય શાળા અને ટ્યુશન ક્લાસમાં ગંભીરતા પૂર્વક ધ્યાન આપો. વિષયોને માત્ર રટો નહીં. શબ્દે શબ્દ સમજીને વાંચો, લખો. જો સમજીને વાંચશો અને લખવાની પ્રેક્ટિસ રાખશો તો ચોક્કસ યાદ રહી જશે અને ક્યારેય ભૂલી નહીં જવાય. વાંચન અને લેખન માટે સમય પત્રક બનાવવું જોઈએ. અને શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરી ભણવું જોઈએ. જ્યારે પણ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા બેસો ત્યારે આપણાં મગજમાં એકમાત્ર વિષય, અભ્યાસક્રમ, અને પ્રશ્નપત્ર હોવું જોઈએ. એ સિવાય કોઈપણ પ્રકારના પાસ, નાપાસ, સફળ, અસફળ વગેરે જેવા વિચારો મનમાં આવવા જોઈએ નહીં. બસ આત્મવિશ્વાસ પોતાના ઉપર અને શ્રદ્ધા ભગવાન ઉપર રાખી પ્રશ્નપત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષા આપવી.

આ સાથે એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુની અતિ હંમેશા નુકસાનકારક જ હોય છે. માટે ક્યારેય પુસ્તકિયા કીડા બનવા પ્રયત્ન ન કરવો. ભણતર, વાંચન અને લેખનની સાથે પોતાના મગજને આરામ અને મનોરંજન થકી રિફ્રેશ રાખવું પણ જરૂરી છે. તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દિવસમાં છ કલાકની ઊંઘ અને બે-ચાર કલાકની મનોરંજક પ્રવૃતિને પણ ભણતરની સાથે સ્થાન આપવું જોઈએ. સંગીત સાંભળવું, વાર્તા કે નવલકથાના પુસ્તક વાંચવા, થોડુઘણું ટીવી જોવું અથવા થોડીવાર બગીચામાં ફરવું, મિત્રો સાથે મજાક મસ્તી કરવી, પોતાની મનગમતી રમત રમવી. આમ મગજને સ્ફૂર્તિલૂ અને તરોતાજા રાખવા માટે પણ સમય ફાળવવો જોઈએ. જેથી આપણો સર્વાંગી વિકાસ સુદૃઢ રીતે થાય.

ચાલો આ સાથે સૌ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ…! અને જીવનની પરીક્ષા આપી રહેલા સૌ લોકોને પણ સકારાત્મક રહી બસ આવેલ પરીક્ષાને માણવા અને ભગવાન પર શ્રદ્ધા રાખી નિષ્ઠા પૂર્વક મહેનતથી પરીક્ષા પાર કરવી… સફળતાના રૂપમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય પણ મળશે જ.

હાર્દિક કલ્પદેવ પંડયા

મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

આ મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે… પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શકે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા તૈયાર ના હોઈએ, આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ એ સ્વીકારીએ નહીં ત્યાં સુધી કોઈ આપણને સાચો રસ્તો બતાવી, એ તરફ વાળી નહીં શકે…

જાગવાની ઈચ્છાશક્તિ આપણાંમાં નહીં હોય ત્યાં સુધી એલાર્મ પણ આપણને જગાડી નહીં શકે

આખી વાત ઈચ્છાશક્તિની છે… જો આપણી અંદર ઈચ્છાશક્તિ ના હોય, તો આપણને કોઈ કંઈ જ કરાવી શકવાના નથી…! આ પ્રેરક લેખ કે વકતવ્યો એલાર્મ જેવા છે… એ આપણી અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલ સકારાત્મક ઉર્જાના પુંજને જગાડવાનું કામ કરે છે..! પણ જાગવાનુ કામ તો આપણે જાતે જ કરવું પડે…! પણ પ્રોબ્લેમ એ છે કે આપણને એલાર્મમાં સ્નુઝનો પણ વિકલ્પ આપેલો હોય છે અને એની આપણને આદત પડી ગઈ છે, સ્નુઝ દબાવી પાછા સૂઈ જવાનું… આ વકતવ્યો સાંભળીએ કે લેખ વાંચીએ એટલે પૂરું નથી થઈ જતું, એ વિચારોને અમલમાં મૂકવા પડે, પોતાના જીવનમાં પરિવર્તન લાવવા તૈયાર થવું પડે… જો ઈચ્છાશક્તિનો અભાવ હોય, પોતાની ભૂલ સ્વીકારવાના અને પોતે ખોટા છે એ વાત સ્વીકારવાના સ્વભાવનો અભાવ હોય તો આપણે આ પ્રેરક શબ્દોને સ્વીકારી નહીં શકીએ અને પોતાની ભૂલો પણ નહીં સમજાય. તો તમે જ કહો ફાયદો ક્યાંથી મળવાનો??

જેમનામાં ઈચ્છાશક્તિ હોય છે એ લોકો પોતાના ધ્યેયને વળગી રહે છે અને ક્યારેય નિષ્ક્રિય બેસી નથી રહેતા. હંમેશા કર્મઠ બની પોતાનું કામ કરતાં રહે છે, પોતાની ભૂલ સ્વીકારવામાં સંકોચ નથી કરતાં, ભૂલ સુધારવા કટિબદ્ધ રહે છે, પોતાની ફરજો નિષ્ઠા પૂર્વક નિભાવતા રહે છે, અને જે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે છે, જીવનમાં પરિવર્તન લાવવાથી ડરતા નથી, જોખમ લેવા તૈયાર રહે છે, એ હંમેશા સફળ થાય જ છે… આ ફરજો નિભાવવાની અને સખત મહેનત સાથે ઈમાનદારીથી કામ કરવાની ઈચ્છાશક્તિ હોયને તો પ્રેરણા આપોઆપ અંદરથી જ મળી જાય… બહારથી કશું જ મેળવવાની જરૂર નથી. પ્રેરક લેખો કે વકતાવ્યો તો આપણને એક દિવસ માટે સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે, પણ જે પ્રેરણા અંદરથી મળે છે એ આજીવન મરીએ ત્યાં સુધી આપણને કર્મઠ બની કામ કરવાની અને સફળતા મેળવવાની શક્તિ અને સ્ફૂર્તિ આપે છે… હા બધાની અંદર પ્રેરણા જાગૃત અવસ્થામાં નથી હોતી કેટલાકની અંદર આ પ્રેરણાનો પ્રકાશપુંજ સુસુપ્ત અવસ્થામાં આવી ગયો હોય છે ત્યારે પ્રેરક લેખો અને વકતાવ્યો એમને જાગૃત થવામાં મદદ કરે છે… પણ મૂળે એક વાત ચોક્કસ કે એ પ્રેરક શબ્દોથી મળેલ ઉર્જાને સક્રિય કરી આપણાં એ પ્રેરણના પ્રકાશપુંજને જાગૃત આપણે જ કરવો પડે..! એ સિવાય આ શબ્દોનો કોઈ અર્થ નથી. માટે પ્રેરક વક્તયો સાંભળવા અને પ્રેરક લેખ વાંચવા ખરા પણ એ પહેલા એ શબ્દોને હું મારા જીવનમાં ઊતરીશ અને મારા જીવનમાં પરિવર્તન કરીશ એ બાહેંધરી પોતાની જાતને આપવી અને પોતાની ઇચ્છાશક્તિને પ્રબળ કરવી જ રહી.

જો મહેનતમાં પ્રમાણિક્તા નહીં હોય, તો સફળતા અને સમૃદ્ધિ પણ આપણી પાસે પ્રમાણિક્તા દાખવશે નહીં…!

પોતાની જાતને કહેવું પડે કે મારે સફળ થવું છે.. કામ કરવું છે અને મહેનતથી ઉપર ઊઠવું છે… અને હું એ માટે સક્ષમ છું, કટિબદ્ધ છું. સફળતાનો કોઈ ટૂંકો રસ્તો નથી… અને આ રસ્તા પર કુદકા મારીને એને ટૂંકો પણ ન જ કરાય… કુદકા મારવા જઈશું તો ચોક્કસ પડીશું જ… આ સફળતાના રસ્તે તો શાંતિ, સમજદારી અને ઈમાનદારી પૂર્વક ચાલીને જ જવું પડે…! તો જ સફળતા મળશે, બાકી નિષ્ફળતા જ મળશે…! જો મહેનતમાં પ્રમાણિક્તા નહીં હોય, તો સફળતા અને સમૃદ્ધિ પણ આપણી પાસે પ્રમાણિક્તા દાખવશે નહીં… ગમે ત્યારે દગો દઈ જશે…! અને આપણે સફળતાના આસમાનેથી ભોંયતળીએ પછડાઈશું…! એક વાત હંમેશા યાદ રાખવી કે જો નિષ્ફળતાને સ્વીકારવાની હિંમત આપણી અંદર હશે તો જ આપણે સફળતાને પણ મેળવી અને માણી શકીશું. જો નિષ્ફળતાને સ્વીકારીશું નહીં તો સફળ થઈ જ નહીં શકીએ…! કારણ કે નિષ્ફળતાને સ્વીકારીશું તો ભૂલ શું કરી એ સમજી શકવા સક્ષમ થઈશું. અને ભૂલ સમજાઈ જશે તો એ સુધારવાના રસ્તા પણ મળી જશે… અને ભૂલ સુધારી લઈશું એટલે સફળતા પણ મળી જ જશે. અને એ ભૂલ સુધારીને મેળવેલ સફળતાનું જે સુખ હશે એ આપણને એક અનોખો આનંદ આપશે… મન પ્રફુલ્લિત થઈ જશે અને આપણને જીવન જીવતા અને માણતા પણ આવડી જશે…

બાકી આપણે બધા  જ અહીં સફળ થવા અને દુનિયાનું બધુ સુખ માણવા જ જનમ્યા છીએ… આપણાં જીવનમાં જે પરીક્ષાનો સમય આવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે એ બીજું કંઈ નહીં પણ મારા પ્રગતિ માટે ભગવાને સર્જેલી મારી કાબેલિયત પારખવા માટેની પરીક્ષા જ છે જે પરીક્ષા પણ ભગવાન પોતે જ આપે છે, મને તો માત્ર એમાંથી પસાર જ કરે છે… અને એટલે જ હું ઉત્તીર્ણ થઈને મસ્ત મજાનાં ફળ મેળવું છું. આપણે આ વાત પર ભરસો કરતાં શીખવું પડશે…! ભગવાન પર શ્રદ્ધા રાખવાની જરૂર છે..! પછી જુઓ કોઈ સમય તકલીફ વાળો નહીં લાગે… મન દુખી નહીં થાય… ચહેરા પરનું સ્મિત ક્યાંય નહીં ખોવાય…! એક એક દિવસ… એક એક પળ તહેવાર સમી થઈ જશે..! અને તહેવાર તો ઉજવવા માટે જ હોય ને..! આખું જીવન માત્ર જીવી ન નાખીએ…! તહેવારની જેમ માણીએ…!

પોતાની અંદર જીવન માણવાની ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરીએ… આપણને અને આપણાં થકી બીજાને પણ જીવન માણવાની પ્રેરણા આપોઆપ મળી જશે.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

નસીબ એટલે વળી શું??

આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.” કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે?

દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ “નસીબ” શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી છે. દરેક માણસ પોતાના જીવનકાળમાં અનેક ઘટનાઓમાંથી પસાર થાય છે, જન્મ, બાળપણ, શાળાજીવન, મિત્રમંડળ, જીવનસાથી, નોકરી-ધંધો, અને પછી પોતાના બાળકો… અને આમ જ જીવનકાળ અવિરત ચાલ્યા કરે છે.  અને આ બધી જ ઘટનાઓ દરમિયાન જે શબ્દ સૌથી વધારે આપણે સાંભળીએ છીએ તે છે “નસીબ”…

દોસ્તો, આ “નસીબ” એટલે આપણાં ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે આપણાં જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી હોતી. બસ એ ઘટના ઘટે છે અને એને આપણે માત્ર સ્વીકારવાની હોય છે. સ્વીકારવી જ પડે છે… જેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું. બસ આને કહેવાય “નસીબ”. પણ હા હોં! આ “નસીબ”ને આપણાં નિયંત્રણમાં લાવવું એટલું અઘરું પણ નથી જ. બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખી આગળ વધીએ અને સકારાત્મક્તા પૂર્વક સાચા રસ્તે સખત મહેનત કરીએ. બસ પછી જુઓ આપણું નસીબ કેવું બદલાય છે અને આપણી ઇચ્છા મુજબના પરિણામ આવે છે.

“જે છે, તે છે” બસ આ સ્વીકારી આગળ વધીશું તો ભયમુક્ત જીવન જીવી શકીશું. જે “નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે.” આ વાત સમજી ગયા એ સૌ સફળતા તરફ એક ડગલું આગળ વધી ગયા. કારણ કે તેમના જીવનમાં કોઈ પણ તકલીફો આવશે તોય એ ડગી નહીં જાય પણ “આ તો ભગવાન તરફથી થતી મારી પરીક્ષા છે. મને કંઈક સરસ પરિણામ આપવા માટે.” એમ કહી એ તકલીફ સામે લડી જશે. અને ક્યારેય એને અફસોસ પણ નહીં અનુભવાય, કારણ કે એ જાણે છે કે “મેં જે કર્યું છે એનું જ આ પરિણામ છે.” બસ આપણે પણ આ જ શીખવાનું છે. અને પછી જુઓ જીવન કેવું ખુશખુશાલ થઈ જાય છે.

આ નસીબ એટલે ભગવાન રામનું ચૌદ વર્ષનું વનવાસ, ભગવાન કૃષ્ણનું એક સામાન્ય શિકારી દ્વારા મોત, અને મીરાને ઝેર પીવાની ફરજ પડવી…. અને ઈતિહાસમાં અમર થઈ ગયેલ અનેક મહાનુભાવોના જીવનમાં આવેલ મુશ્કેલીઓ… તો પછી આપણે કોણ વળી?

બસ આટલું યાદ રાખો:

  • જે છે, તે છે…
  • જે થવાનું છે, તે તો થઈને જ રહેશે.
  • બસ એને સ્વીકારીને આગળ વધવું અને જીવનને માણવું.!

જે થાય છે તે સારા માટે જ થાય છે…

ઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું? ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન? આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. “ભગવાન, તું તો મારો દુશ્મન છે.”

દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને જન્મ આપ્યો છે એ કંઈ આપણને હેરાન કે દુખી કરવા માટે નહીં. ભગવાન આપણને જે આપે છે એ સારા માટે જ હોય છે. પછી એ દુ:ખ જ કેમ ના હોય. ભગવાન ચાહે તો આ દુનિયામાં બધુ સારું, સકારાત્મક અને “મોજા હી મોજા” વાળું જ રહે પણ જો એમ થાય તો સકારાત્મકતા અને સારી વસ્તુઓની કિંમત શૂન્ય થઈ જાય. બસ એટલે જ એમણે આપણને સુખની સાથે દુ:ખ અને આનંદની સાથે તકલીફની અનુભૂતિ આપી કે જેથી આપણે સુખ, આનંદ, હેપ્પી ફીલિંગની કદર કરતાં શીખીએ. જેમ શાળામાં એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે પરીક્ષા આપવી પડે એમ તમે કોઈ ઉત્તમ ફળને લાયક છો કે નહીં એ જાણવા ભગવાન પણ તમારી પરીક્ષા તો લે જ ને??? આ જે કંઈ પણ ખરાબ સમય છે એ ખરાબ નહીં તમારી પરીક્ષાનો સમય છે. ભગવાન જ પરીક્ષા લે છે અને એ જ પરીક્ષા આપે પણ છે બસ એમ માની આગળ વધો દ્રઢપણે પરિસ્થિતિનો સામનો કરો. પોતાની અંદર આત્મવિશ્વાસ રાખો. સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે.

તમારો તમારા પ્રિયજન સાથે ઝગડો થયો છે? તો સમજો કે ભગવાન પણ ચાહે છે કે તમારા વચ્ચે સંબંધ પાક્કો અને મજબૂત બને. અને આમેય જ્યાં સાચા હૃદયના સંબંધો હોય ત્યાં જ ઝગડા અને મનદુ:ખ વગેરે શક્ય છે. કારણ કે ત્યાં જ તો અપેક્ષાઓ હોય છે. બાકી આજના સમયમાં અપેક્ષાઓ પારકા પાસે કોણ રાખે છે? તો એમની વાતોનું ખોટું લાગે અને ઝગડા થાય ખરા?? તમને તમારા જ લીધેલા નિર્ણય પર પસ્તાવો થાય છે?? તો બે વાત યાદ રાખો કે થઈ ગયું એને તમે બદલી શકતા નથી તો એ માટે ચિંતા કે ખોટા મૂંઝાઈને ફાયદો નથી. અને બીજું ભગવાને તમારા માટે કંઈક ઉત્તમ શોધી રાખ્યું છે. અને તમારા માટે પ્રગતિનો માર્ગ શોધી રાખ્યો છે. સમય આવ્યે એ મળી જ જશે. આ તો બે નાના ઉદાહરણો છે. આવા કેટલાય સવાલો છે જે મનમાં ઉઠતાની સાથે જ આપણે ભગવાનને ગાળો સુદ્ધાં આપતા સંકોચ નથી કરતાં.

પણ દોસ્તો, જો ભગવાને બધુ જ આપણને સહેલાઈથી આપી દીધું હોત તો આપણને એની કોઈ કિંમત જ ન રહેત બસ એટલે એ આપણને આ રીતે પરીક્ષા/કસોટી દ્વારા જે આપણે મેળવ્યું છે અથવા મેળવવાના છીએ એના માટે લાયક બનાવે છે કે આપણી લાયકાત પારખે છે. આપણને દરેક વસ્તુની કદર કરતાં શીખવે છે. માટે એના પર શ્રદ્ધા રાખો અને કર્મ કરે જાવ. જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એને સહર્ષ સ્વીકારો. અને મળેલ જીવનનો આનંદ માણો અને તકલીફો માટે પણ ભગવાનને આભાર કહો. પછી જુઓ આપોઆપ તકલીફો કેવી દૂર થઈ જાય છે.

આગળ કહ્યું એમ સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે. માટે હમેશાં સકારાત્મક વિચારો આવે એ વાત પર વધુ ધ્યાન આપો. કોઈ પણ પરિસ્થિતિના સકારાત્મક અને નકારાત્મક બંને પાસા જોવાની આદત કેળવો. હા, નકારાત્મક પાસા તરફ પણ જોવું કારણ કે જોશો તો જ તો એનાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેશો.

આ મંત્રને ગાંઠ વાળીને પોતાની પાસે રાખી લો.
“જે થાય છે તે સારા માટે જ થાય છે…”
અને પછી જીવન ઉત્તમ જ ઉત્તમ… તહેવાર જ તહેવાર… કોઈ સવાલ નહીં અને કોઈ મૂંઝવણ નહીં.

બસ એક દ્રઢ આત્મવિશ્વાસ… જે થઈ રહ્યું છે તે સારા માટે જ છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ હશે. ભગવાન મને કંઈક ઉત્તમ આપવાનો છે… તૈયાર થઈ જા બેટા…!

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સ્વતંત્રતા કોને કહેવાય?

આ સ્વતંત્રતા એટલે શું? આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી.

લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે?

નાના ભૂલકાઓને પૂછશો સ્વતંત્રતા એટલે શું? તો સૌથી પહેલા તો એમને અંગ્રેજીમાં ભાષાંતરીત કરીને પૂછવું પડશે કે “વોટ ઈઝ ફ્રીડમ ફોર યૂ?” અને પછી એમનો જવાબ મળશે. ખેર અત્યારે ભાષાની ચર્ચા રહેવા દઈએ. વાત સ્વતંત્રતાની છે. એ ભૂલકાઓ કહેશે કે આખો દિવસ રમવાની અને ટીવી જોવાની વિના કોઈ રોકટોક પરવાનગી એટલે સ્વતંત્રતા… ભાઈ હવે આ અબોધ ઉંમરે તો આ જ માંગ હોય ને એમની… એય ખોટા તો નથી જ. અત્યારે લોકો છોકરાઓને હજી તો સરખું બોલતા પણ ના આવડતું હોય ને શાળાના બોઝા તળે મૂકી દે છે. શું કામ? તો જવાબ હોય આ દુનિયાની ભાગદોડમાં પોતાને સક્ષમ બનાવતા શીખે. માં-બાપથી છૂટો થાય. સ્વાવલંબી બને. અરે એમ કહોને કે બે-ચાર કલાક તમનેય એમના અબોધ નખરાં ઉઠાવવાથી છુટકારો(સ્વતંત્રતા) મળે.

કિશોરાવસ્થામાં તાજેતરમાં પ્રવેશેલા બાળકોને પુછો તો કહેશે અમને મન મરજી મુજબ ઘરની બહાર ફરવા મળે, શું કરીએ છીએ કોની સાથે ફરીએ છીએ, શું વાતો કરીએ છીએ એ પૂછતાછ ના થવી જોઈએ એ સ્વતંત્રતા. સાચે આ ઉંમરે જ્યારે બાળકોને માતપિતા કરતાં મિત્રોની વધુ જરૂર હોય છે ત્યારે મા-બાપનું માતપિતાપણું  બાળકોના મનમસ્તિસ્ક પર હાવી થવા તૈયાર જ બેઠું હોય છે. આ ખોટું છે એ જાણતાં હોવા છતાં…. ત્યારે સ્વતંત્રતાની વ્યાખ્યા તો આવી જ હોવાની ને?

યુવા વર્ગ… આ યુવાનીમાં સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેનો ફરક કરવાની સમજશક્તિ કેળવાયેલી નથી હોતી અને એ સમયે મા-બાપ નહીં પણ સાચા માર્ગદર્શકની જરૂર હોય છે જે સંતાનને તેમની જ ભાષામાં ફરક સમજાવે અને એ પ્રમાણે વર્તવાની સમજ આપે. અહીં પણ મા-બાપ સમાજની શરમના નામે, પોતાના સ્ટેટસના નામે સંતાનો પર પોતાનું માતપિતાપણું થોપે છે અને છેવટે સ્વતંત્રતાનો મતલબ પરિપક્વતાથી સમજવાની જગ્યાએ સ્વછંદતા સંતાનના મન અને મગજ પર વર્ચસ્વ પાડી દે છે. અને એમના જ પતનને  નોતરે છે. અહીં ભૂલ સંતાનોની નથી જ કે તેઓ ખોટા રસ્તે વળ્યા. ભૂલ છે માતપિતા અને વડીલોની… આ કટુસત્ય નિખાલસતા અને સકારાત્મકપણે સ્વીકારવું જ રહ્યું.

વૃદ્ધાવસ્થાનો સમય… આ એક એવો સમય છે જ્યારે વ્યક્તિનું મગજ પરિપક્વતા વાળું અને હૃદય અબોધ બાળક સમું હોય છે. આ સમયે વ્યક્તિ બીજું કશું જ ઇચ્છતી નથી હોતી સિવાય પ્રેમ, સ્નેહ અને માન-સન્માન… પણ યુવાપેઢી કે જેને સ્વચ્છંદતાની આદત પડી ગઈ છે એ વડીલોને પ્રેમ અને સ્નેહ તો ઠીક માન પણ આપવામાં માનતી નથી. બસ “તમને ખબર ના પડે..” “તમે જુનવાણી લોકો…” અને આવા જ કેટલાય હૃદયને વીંધી નાખે એવા શબ્દોથી અપમાન કરી દે છે. તેમની કોઈ પણ દલીલ આ યુવા વર્ગને ખોટી જ લાગે છે. અને છેવટે આ વડીલોની સ્વતંત્રતાનું કરૂણ મોત થાય છે.

હવે ખરેખર સ્વતંત્રતા એટલે શું?

દોસ્તો, પોતાની બધી જ ફરજોને ઈમાનદારી પૂર્વક નિભાવીને સ્વજનોની ઇચ્છા અને ભાવનાનું સન્માન કરી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સર્વાંગી સંમતિ પૂર્વક પરવાનગી મેળવવી અને ઈચ્છુક જીવન જીવવું એટલે સાચી સ્વતંત્રતા. સ્વતંત્રતા એમ જ નથી મળતી. સ્વતંત્રતા એક રીતે હકનું જ બીજું નામ છે. અને તમને ખબર જ હશે કે હક પોતાની સાથે ફરજ લઈને આવે છે. એ જો ના નિભાવી શકો તો તમને તમારા હકો પર અધિકાર બતાવવાનો પણ અધિકાર નથી.

બાળકો મા-બાપને સન્માન આપે એમની વાત માની તેઓ જે કહે છે એ એમના સારા માટે જ કહે છે એ વિશ્વાસ રાખી માં-બાપના કહ્યા મુજબ વર્તવાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો એમની ઇચ્છાને મા-બાપ પૂરી કરી એમને સ્વતંત્રતાનો અહેસાસ કરાવશે. જો યુવાવર્ગ નાનામાં નાની વાત માતાપિતા સાથે સાઝા કરશે અને એમના મંતવ્યોને ધ્યાનમાં લેવાની તૈયારી બતાવશે તો કોઈ પણ રોકટોક અને પૂછતાછ વગર મા-બાપ પણ તેમને બધા જ પ્રકારની છૂટ(સ્વતંત્રતા) આપશે. જો માં-બાપ પણ બાળકોના મિત્ર બની એમના સલાહકાર બનવાની જગ્યાએ માર્ગદર્શક બનશે તો સંતાન પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ફરક કરતાં આસાનીથી શીખશે. યાદ રાખો સલાહ આપનાર અને લેનાર બેય એમ જ વિચારે છે કે એ બીજા માટે છે. એટલે યુવાન સંતાનના સલાહકાર બનવા કરતાં માર્ગદર્શક બનો. અને છેલ્લે વાત વૃદ્ધાવસ્થાની…. જો શિશુહૃદય ધરાવતા વૃદ્ધ મા-બાપની ઇચ્છાઓને માન આપવાની ફરજ સાચા હૃદયથી સંતાનો નિભાવશે તો મા-બાપ પણ તેમની ઇચ્છા અને ભાવનાનું ધ્યાન રાખશે અને સંતાનો તથા મા-બાપ બેય પરસ્પર સ્વતંત્રતાનો અહેસાસ કરશે અને કરાવશે.

દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…

હાર્દિક કલ્પદેવ પંડ્યા